Wednesday, February 16, 2011

સેનેટની ચૂંટણીમાં ABVP, વેલફેર બોર્ડમાં NSUIનો ડંકો


વિદ્યાર્થી સેનેટમાં સાત બેઠકો પર એબીવીપીનો ત્રણ બેઠકો પર એનએસયુઆઈનો કબજો

બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરમાં કુલ આઠ બેઠકો એનએસયુઆઈને, છ બેઠકો એબીવીપીને

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની ૮ બેઠકની ચૂંટણીના પરિણામમાં એબીવીપીએ છ બેઠકો પર અને એનએસયુઆઈએ બે બેઠકો પર જીત મેળવતા ઘણાં વર્ષો બાદ એનએસયુઆઈનું પ્રભુત્વ ઘટ્યું છે. જો કે બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ૧૦ બેઠકોની ચૂંટણીમાં એનએસયુઆઈના આઠ ઉમેદવારો વિજેતા બન્યા છે,તેની સામે એબીવીપીના માત્ર બે ઉમેદવારોએ જીત મેળવતા તેમાં એનએસયુઆઈનું પ્રભુત્વ જોવા મળ્યું છે.

મંગળવારે મતગણતરીની પ્રક્રિયા અને બિનહરીફ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે તો વિદ્યાર્થી સેનેટની અગાઉ બિનહરીફ સાથેની મળીને કુલ ૧૦ બેઠકોમાંથી સાત બેઠકો એબીવીપીના ફાળે, ત્રણ બેઠકો એનએસયુઆઇને મળી છે. બીજી તરફ બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની કુલ ૧૪ બેઠકોમાંથી આઠ બેઠકો એનએસયુઆઈને, છ બેઠકો એબીવીપીને ફાળે ગઈ છે.

મંગળવારે વહેલી સવારથી યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિદ્યાર્થી સેનેટ હોલ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ચૂંટણીનાં પરિણામો જાણવા માટે એબીવીપી-એનએસયુઆઈના ઉમેદવારો - મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઊમટી પડ્યા હતા. એક પછી એક પરિણામોની જાહેરાત થતાં વિજેતા ઉમેદવાર- સમર્થકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને વિજયી સરઘસ નીકાળ્યા હતા.

Monday, February 14, 2011

ગુજરાત યુનિ. વિદ્યાર્થી સેનેટની મતગણતરી શરુ


ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની વિદ્યાર્થી સેનેટની આઠ અને બોર્ડ ઓફ 10 બેઠક માટે ચૂંટણી રવિવારે યોજાઈ હતી. તેની મતગણતરી આજે સવારે યુનિવર્સિટી ખાતે આવેલ સેનેટ હોલ ખાતે પ્રારંભ થયો છે. સવારે 10 કલાકે મતગણતરીનો પ્રારંભ થયો હતો.

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની વિવિધ વિદ્યાશાખાની આઠ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ૧૦ બેઠકોની ચૂંટણી રવિવારે ૧૧થી પ સુધી યોજાઈ હતી.

વિદ્યાર્થી સેનેટની ૧૦ બેઠકોમાંથી બે (મેડિકલ-ડેન્ટલ) બેઠકો, બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની કુલ ૧૪ બેઠકમાંથી ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.

એલિસબ્રિજની જી.એલ.એસ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોમર્સ-આર્ટ્સની બેઠક માટે, ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની એજ્યુકેશનની બેઠક માટે મતદાન થયું હતું.

જ્યારે આશ્રમરોડની સી.સી. શેઠ કોલેજ ઓફ કોમર્સ ખાતે ગ્રેજ્યુએટ લેવલની કોમર્સની બેઠક માટે,વસ્ત્રાપુર સ્થિત આર.જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજ ખાતે ગ્રેજ્યુએટ- પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની સાયન્સ બેઠક માટે, ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની લો શાખાની બેઠક માટે મતદાન રાખવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદ જિલ્લાની કોલેજોમાં આવેલા બાવન મતદાન કેન્દ્રોમાં મતદાન થયું હતું.

Tuesday, February 8, 2011

આજે વસંત પચંમીઃ ગુજરાતમાં હજારો લગ્ન


- સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે

- મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો

સમગ્ર ગુજરાતમાં આજે વસંત પંચમીના રોજ હજારોની સંખ્યામાં લગ્ન યોજાઈ રહ્યાં છે. લગ્ન માટે વસંતપંચમી શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે.

આજે ૮મી ફેબ્રુઆરીએ, મહા સુદ પાંચમ છે, જે વસંત-પંચમી, શ્રી પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસમાં શુભ કાર્યો કરવા લોકો કાગડોળે રાહ જોતા હોય છે.

એક અંદાજે વસંત પંચમીના શ્રેષ્ઠ અને શુભ મૂર્હૂતમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં અંદાજે બે હજારથી વધારે લગ્ન યોજાશે. એક જ દિવસમાં શુભ પ્રસંગોની ભરમાર થતાં મેરેજ હોલ, રસોઇયા, બેન્ડવાળાના એડવાન્સ બુકિંગ કરાવવા પ્રસંગો યોજનારને દોડધામ કરવી પડી રહી છે.

એક દિવસે વધારે સંખ્યામાં લગ્ન હોવાથી મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો પડ્યો હતો. એક દિવસે વધારે સંખ્યામાં વરઘોડા નીકળવાને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

Thursday, January 27, 2011

કાળુપુર વિસ્તારમાં 8 લોકોને બચાવાયા, 10 અંદર ફસાયા



  • દસ થી વધુના દટાયાની આશંકા.
  • 5 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી,
  • 8 લોકોને બહાર કઢાયા, બચાવ કામગીરી ચાલુ
  • કાળુપુરની સૌદાગરની પોળમાં વહેલી સવારે મકાન ધડાકાભેર તુટી પડ્યું. 
  • આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું. 
  • સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ સવારના 8.05 વાગ્યે ઈમારત તૂટી પડી હતી.


અમદાવાદ શહેરનાં અતીગીચ ગણાતા કાળુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળમાં એક પાંચ માળનું નવનીર્મીત મકાન ધડાકાભેર તુટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધરાશાયી થયેલી બીલ્ડીંગના કાટમાળ નીચે દસથી વધુ લોકો દટાયા હોવાની આ શંકા બચાવ ટુકડીઓએ વ્યકત કરી છે. તો બીજી તરફ ફાયરબ્રીગેડ સહિતની ઇમર્જન્સી સર્વિસીસ યુધ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોડાઇ ગઇ છે. સોદાગરની પોળમાં તુટી પડેલા આ મકાનને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ નુકશાન થયું છે

પ્રાથમીક વિગતો અનુસાર, શુક્રવાર વહેલી સવેરે સોદાગરની પોળમાં થોડા સમય અગાઉ બનેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઇ હતી. સ્થાનીકોના જણાવ્યા અનુસાર આ ઈમારતના કાટમાળ નીચે ૨૫થી ૩૦ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયરબ્રીગેડ સહિત ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સહિત તમામ ઇમર્જન્સી સર્વિસીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દિધી છે.

મળતી વિગતો અનુસાર, જે ઈમારત ધરાશાયી થઇ છે તે ગેરકાયદે હોવાનો પણ આક્ષેપ છે, એટલુંજ નહી આ ઈમારતના પાયામાં કોઇ તકલીફ હોઇ બીલ્ડર દ્વારા ફરી ત્યાં કામકાજ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બીલ્ડીંગને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું છે.

Sunday, January 16, 2011

અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ ફાસ્ટ-ટ્રેક પર ચડ્યો

ગુજરાત સરકારે લગભગ R 12 હજાર કરોડના અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે પ્રસ્તાવિત 'સાઈટ સર્વે' પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

રાજ્યના બંદર અને પરિવહન વિકાસ અધિક મુખ્ય સચિવ બી. કે. સિંહાએ માહિતી આપી હતીકે, "મેટ્રો પ્રોજેક્ટ અંગેના સર્વે બે વખત પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. હવે, તેને શરૂ કરવા માટે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે." આ અંગે ડીએમઆરસી દ્વારા જમીનની સમસ્યાના પગલે પ્રથમ તબક્કામાં ઉપરથી જ રૂટને પસાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે નેહરૂનગરથી અમદાવાદ જંકશનનો મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ હશે.

- અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ ફાસ્ટ-ટ્રેક પર ચડ્યો 
- પહેલા તબક્કામાં થલતેજ થી અમદાવાદ જંકશનનો રૂટ તૈયાર કરાશે
- L&T ની PPPના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે R પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી
- નેહરૂનગરથી અમદાવાદ જંકશનનો માર્ગ અંડરગ્રાઉન્ડ હશે
- સરકાર ગિફ્ટ સિટી અને એરપોર્ટને પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સાંકળી લેવા માંગે છે

જાણીતી નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. ઉપરાંત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે R પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી છે. આ માટેના કરાર તાજેતરમાં સંપન્ન થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2011માં કરવામાં આવ્યા હતા. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના મેટ્રો પ્રોજેક્ટ માટે મેટ્રોલિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ માટે વિશેષ કંપની ઊભી કરવામાં આવી છે. જેની R 200 કરોડની સત્તાવાર મૂડી હશે જ્યારે R 10 કરોડની પેઈડ-અપ કેપિટલ હશે. મેટ્રોમાં દૈનિક સત્તર લાખ પ્રવાસીઓ આવ-જા કરશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.

આ મેટ્રો એપીએમસી, વાસણાથી અક્ષરધામ વાયા આશ્રમ રોડ અને કોબા સર્કલ (32.65 કિલોમીટર) ચાલશે. જેમાં 31 સ્ટેશન આવરી લેવામાં આવશે. પહેલા તબક્કામાં થલતેજ થી અમદાવાદ જંકશનનો રૂટ તૈયાર કરાશે જે વાયા સાબરમતિ રિવર ફ્રન્ટ અને દિલ્હી દરવાજા ચાલશે. (10.90 કિમી)ના આ રૂટ પર 11 સ્ટેશન આવેલા છે. સરકાર ગિફ્ટ સિટી અને એરપોર્ટને પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સાંકળી લેવા માંગે છે.

બીજા તબક્કામાં સરકાર સરખેજ થી ગાંધીનગરના ઈંદ્રોડા સર્કલ સુધી લાઈન નાખવા માગ છે. જ્યારે વાસણા થી સરખેજની વચ્ચે અન્ય એક લાઈન પાથરવામાં આવશે. સરકારે વર્ષ 2005માં મેટ્રો માટે સર્વે કરાવ્યો હતો. જોકે, પાછળથી બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમને પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

Thursday, December 30, 2010

કાંકરિયાની એક ટ્રીપ Rs. ૧૬૨૦માં પડશે

કિડ્ઝ સિટી કે ‘કેશ સિટી’? આજથી શરૂ થઇ રહેલા કિડ્ઝ સિટીની અધધધ એન્ટ્રી ફી
સ્ટેન્‍ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધને ફગાવી શાસક ભાજપે દરખાસ્ત બહુમતીથી મંજુર કરી

કિડ્ઝ સિટીની ફી

બાળક ૧૦૦
વયસ્ક ૧૫૦

કાંકરિયાની ખર્ચાળ મુલાકાતે આવતા શહેરીજનો પાસેથી ડગલે ને પગલે ફી પેટે રૂપિયા વસૂલતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને શુક્રવારથી શરૂ થઈ રહેલા ‘કિડ્ઝ સિટી’ માટે પણ અધધ કહેવાય એટલી એન્ટ્રી ફી ઠોકી બેસાડી છે. બાળકદીઠ ૧૦૦ રૂપિયા અને વયસ્કદીઠ ૧૫૦ રૂપિયાની પ્રવેશ ટિકિટ રાખવાની દરખાસ્ત પણ શાસક ભાજપે ગુરુવારે મળેલી સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી કરી દીધી છે. કોર્પોરેશન માટે ‘એટીએમ’ સાબિત થઈ રહેલા કાંકરિયાની મુલાકાત ચાર સભ્યના પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે.


શાસક ભાજપે કાંકરિયા લેકફ્રન્ટમાં ૧૨ કરોડના ખર્ચે કિડ્ઝ સિટીનું નિમાર્ણ કર્યું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થશે, તેવાં સ્વપ્નાં બતાવાયાં હતાં. શુક્રવારથી કિડ્ઝ સિટીનો વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ કિડ્ઝ સિટીમાં ૧૪ વર્ષથી નાનાં બાળકો માટે પ્રવેશ ફી ૧૦૦ રૂપિયા તથા તેમની સાથે આવનારા વાલી માટે ૧૫૦ રૂપિયા પ્રવેશ ફી વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાઈ હતી.


ઉપરાંત કિડ્ઝ સિટીના સોવેનિયર સહિતના ચાર્જ નક્કી કરવા અને સંચાલન કરવાના નિયમો વગેરે જરૂરી કાર્યવાહી કરવા તથા ખર્ચ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.


મ્યુનિ. માલેતુજારોનાં બાળકો માટે નહીં પરંતુ આમ આદમી માટે ચાલતું હોવાનું અને સંસ્થાનું મનોરંજન માટે પણ સામાજિક ઉત્તરદાયિત્વ હોય તેવું ભૂલીને સત્તાના મદમાં મેયર અસિત વોરાએ એવું જણાવ્યું હતું કે ‘આ તો એન્ટરટેઈનમેન્ટની વાત છે. આવવું હોય તે આવે ન પોષાય તે ન આવે.’ હવે આવતીકાલે કિડ્ઝ સિટીનું ઉદ્દઘાટન ખુદ મોદીના હસ્તે છે ત્યારે તે પોતાના સપનાને બચાવી શકશે કે અસિત વોરાના હસ્તે રોળાવા દેશે તે તો કાલે જ જાણ થશે.
કિડ્ઝ સિટીનો સફાઈ ખર્ચ મહિને ૧.પ લાખ!
મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો દ્વારા પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવા લાખોનું આંધણ કરતાં બિનજરૂરી કોન્ટ્રાકટ આપી દેવાય છે અને અંતે પ્રજાએ તે બોજ સહન કરવાની નોબત આવે છે. સ્ટેન્ડિંગ કમિટીએ આવો જ એક નિર્ણય આજે કર્યો હતો. કિડ્ઝ સિટીની સફાઈનો કોન્ટ્રાકટ માસિક ૧.પ લાના ખર્ચે આપવાનું ઠરાવતાં કોંગ્રેસે તેનો વિરોધ કરી જણાવ્યું હતું કે જયારે મશીનરી મ્યુનિ.ની હોય તો આટલી ઉંચી રકમનો કોન્ટ્રાકટ આપવાની કોઈ જરૂર નથી. મશીનરી મ્યુનિ.ની હોય તો આ કામગીરી ૭૦ રૂપિયાનો રોજમદાર પણ કરી શકે. જો મેયર અસિત વોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિતે પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવાની મમત છોડી પ્રજાના નાણાનો વિચાર કરવો જોઈએ. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો હતો કે કાંકરિયામાં બનાવાયેલા કિડ્ઝ સિટીનો સફાઈનો કોન્ટ્રાકટ ભારત વિકાસ ગૃપ ઈન્ડિયાને માસિક દોઢ લાખમાં આપવો.
કોંગ્રેસ કાર્યક્રમનો બહિષ્કાર કરી આંદોલન છેડશે
મ્યુનિ. વિરોધ પક્ષના નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે કિડ્ઝ સિટીની ફી ઉપરાંત અન્ય તમામ ફી સામાન્ય વર્ગને પોષાય તેમ નથી. એક પરિવાર આવે તો કાંકરિયામાં તેને ૧ર૦૦થી ૧પ૦૦ રૂપિયાનો ખર્ચ થઈ જાય. આવા તઘલખી નિર્ણયનો વિરોધ કરવા કોંગ્રેસ આવતીકાલના ઉદ્દઘાટનના કાર્યક્રમનો બહિષ્કાર કરશે. અને આગામી દિવસોમાં આ મામલે આંદોલન પણ છેડશે.
બે બાળક સહિત ચાર વ્યક્તિના કુટુંબનો ખર્ચ
ખર્ચનું નામ
ફી
કુલ ખર્ચ
પ્રવેશ ફી
૧૦
૪૦
ટ્રેન
રપ
૧૦૦
તિથર્ડ બલૂન
૧૦૦
૪૦૦
પ્રાણી સંગ્રહાલય
૧૦
૪૦
કિડ્ઝ સિટી
૧૦૦/૧પ૦
પ૦૦
બાલવાટિકા
૧ર
બોટિંગ
૧૦
૪૦
નગીનાવાડી
૧૦
૪૦
એમ્યુઝમેન્ટ પાર્ક
પ૦
પ૦
નાસ્તો
ર૦૦
ર૦૦
કુલ રૂપિયા

૧૪રર

Friday, December 24, 2010

ચેસમાં ગુજરાતે સર્જ્યો વિશ્વવિક્રમ

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સ્થળે ૨૦,૪૮૬ ખેલાડીઓએ એકીસાથે શતરંજ રમીને એક નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ અગાઉ મેક્સિકોમાં ૧૩,૩૪૬ ખેલાડીઓએ શતરંજ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રાજ્યના ચેસના ખેલાડીઓએ આ વિક્રમ તોડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં ગુજરાતને પ્રતિષ્ઠારૂપ સ્થાન અપાવ્યું છે.

સૌથી વધુ ખેલાડીઓ દ્વારા રમવાનો રેકોર્ડ
ચેસ ઘેર ઘેર રમાય તેવી નેમઃ નરેન્દ્ર મોદી

સ્વર્ણિમ જયંતી વર્ષ નિમિત્તે આયોજિત ચેસ મહોત્સવમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ તારિકા વારાએ સત્તાવાર ઘોષણા કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત થયા બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને હજારો રમતવીરોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. સ્વર્ણિમ ચેસ મહોત્સવમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનશક્તિના સાક્ષાત્કાર દર્શન કરાવતાં શતરંજની રમતને ઘેર ઘેર સુધી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે,

અત્યાર સુધી ભારતના ફાળે ૨૯૯ વિશ્વવિક્રમ આવ્યા છે અને આજે ગુજરાતે શતરંજમાં વિશ્વવિક્રમ નોંધાવીને ૩૦૦માં વિક્રમની ભેટ આપી છે. ગુજરાતે અગાઉ અમદાવાદમાં ૧૧ લાખ વૃક્ષો રોપી, ૫૦ લાખ લોકોએ પુસ્તક વાંચી, તાનારીરી સંગીત મહોત્સવમાં ૯૯ કલાકની ગાયકીના રેકોર્ડ સ્થાપ્યા છે. શતરંજની રમત એ આજની લાઇફ સ્ટાઇલમાં ધૈર્ય અને ધીરજના ગુણ શીખવે છે અને માનસિક મનોબળ મજબૂત બનાવે છે. શતંરજએ રમત નહીં પણ જિંદગી જીવવાની કલા છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન છે ત્યારે આ રમત શાળા અને પરિવારમાં વધુ પ્રચલિત બને તેવી સરકારની નેમ છે.

વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે આ અનેરા પ્રસંગે જણાવ્યું કે, ‘એક વર્ષ અગાઉ શતરંજની સ્પર્ધાનો વિચાર મુખ્યમંત્રીએ ખુદ રજૂ કર્યો ત્યારે તેમની દીર્ઘદૃષ્ટિનો મને પરિચય થયો. મારી એક ઇચ્છા રહી હતી કે શતરંજની રમત વધુ ને વધુ પ્રચલિત બને. જે ગુજરાત સરકારે સાકાર કરીને બતાવ્યું છે. આજે ગુજરાતે જ્યારે એક રેકોર્ડ નોંધાવ્યો છે ત્યારે મને અનહદ ખુશી થઇ છે.’  રમતગમત મંત્રીએ પણ પ્રસંગોપાત વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ, અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

સમગ્ર મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કુલ ૧૪૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ શતરંજની રમતમાં પોતાનું કૌશલ્ય દેખાડયું હતું. એકી સાથે ૬૪ ટેબલ પર શતરંજ રમતાં ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથનને પણ પ્રભાવિત કર્યાં હતા. મુખ્યમંત્રીએ પણ ૧૦ હજાર ટેબલ પર શતરંજ ખેલતાં ખેલાડીઓને નિહાળીને પ્રોત્સાહિત કર્યા હતા.

આનંદ માટે ૨૪-૧૨ ફરી આનંદમય

અમદાવાદ : વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ માટે ૨૪ ડિસેમ્બરનો દિન ફરી મહત્ત્વનો બની રહ્યો હતો. ૨૦૦૦માં આ જ દિવસે તેણે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને આ જ દિવસે ગુજરાતે પણ ચેસમાં વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.