Thursday, December 30, 2010

કાંકરિયાની એક ટ્રીપ Rs. ૧૬૨૦માં પડશે

કિડ્ઝ સિટી કે ‘કેશ સિટી’? આજથી શરૂ થઇ રહેલા કિડ્ઝ સિટીની અધધધ એન્ટ્રી ફી
સ્ટેન્‍ડિંગ કમિટીમાં કોંગ્રેસના વિરોધને ફગાવી શાસક ભાજપે દરખાસ્ત બહુમતીથી મંજુર કરી

કિડ્ઝ સિટીની ફી

બાળક ૧૦૦
વયસ્ક ૧૫૦

કાંકરિયાની ખર્ચાળ મુલાકાતે આવતા શહેરીજનો પાસેથી ડગલે ને પગલે ફી પેટે રૂપિયા વસૂલતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશને શુક્રવારથી શરૂ થઈ રહેલા ‘કિડ્ઝ સિટી’ માટે પણ અધધ કહેવાય એટલી એન્ટ્રી ફી ઠોકી બેસાડી છે. બાળકદીઠ ૧૦૦ રૂપિયા અને વયસ્કદીઠ ૧૫૦ રૂપિયાની પ્રવેશ ટિકિટ રાખવાની દરખાસ્ત પણ શાસક ભાજપે ગુરુવારે મળેલી સ્ટેન્‍ડિંગ કમિટીની બેઠકમાં મંજુરી કરી દીધી છે. કોર્પોરેશન માટે ‘એટીએમ’ સાબિત થઈ રહેલા કાંકરિયાની મુલાકાત ચાર સભ્યના પરિવારને અંદાજે ૧૬૨૦ રૂપિયામાં પડશે.


શાસક ભાજપે કાંકરિયા લેકફ્રન્ટમાં ૧૨ કરોડના ખર્ચે કિડ્ઝ સિટીનું નિમાર્ણ કર્યું છે. તેમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન પ્રાપ્ત થશે, તેવાં સ્વપ્નાં બતાવાયાં હતાં. શુક્રવારથી કિડ્ઝ સિટીનો વિધિવત્ પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે જ કિડ્ઝ સિટીમાં ૧૪ વર્ષથી નાનાં બાળકો માટે પ્રવેશ ફી ૧૦૦ રૂપિયા તથા તેમની સાથે આવનારા વાલી માટે ૧૫૦ રૂપિયા પ્રવેશ ફી વસૂલ કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં રજુ કરાઈ હતી.


ઉપરાંત કિડ્ઝ સિટીના સોવેનિયર સહિતના ચાર્જ નક્કી કરવા અને સંચાલન કરવાના નિયમો વગેરે જરૂરી કાર્યવાહી કરવા તથા ખર્ચ કરવાની સત્તા કમિશનરને સોંપવાની દરખાસ્ત રજુ કરાઈ હતી.


મ્યુનિ. માલેતુજારોનાં બાળકો માટે નહીં પરંતુ આમ આદમી માટે ચાલતું હોવાનું અને સંસ્થાનું મનોરંજન માટે પણ સામાજિક ઉત્તરદાયિત્વ હોય તેવું ભૂલીને સત્તાના મદમાં મેયર અસિત વોરાએ એવું જણાવ્યું હતું કે ‘આ તો એન્ટરટેઈનમેન્ટની વાત છે. આવવું હોય તે આવે ન પોષાય તે ન આવે.’ હવે આવતીકાલે કિડ્ઝ સિટીનું ઉદ્દઘાટન ખુદ મોદીના હસ્તે છે ત્યારે તે પોતાના સપનાને બચાવી શકશે કે અસિત વોરાના હસ્તે રોળાવા દેશે તે તો કાલે જ જાણ થશે.
કિડ્ઝ સિટીનો સફાઈ ખર્ચ મહિને ૧.પ લાખ!
મ્યુનિ. કોર્પોરેશનના ભાજપના સત્તાધિશો દ્વારા પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવા લાખોનું આંધણ કરતાં બિનજરૂરી કોન્ટ્રાકટ આપી દેવાય છે અને અંતે પ્રજાએ તે બોજ સહન કરવાની નોબત આવે છે. સ્ટેન્ડિંગ કમિટીએ આવો જ એક નિર્ણય આજે કર્યો હતો. કિડ્ઝ સિટીની સફાઈનો કોન્ટ્રાકટ માસિક ૧.પ લાના ખર્ચે આપવાનું ઠરાવતાં કોંગ્રેસે તેનો વિરોધ કરી જણાવ્યું હતું કે જયારે મશીનરી મ્યુનિ.ની હોય તો આટલી ઉંચી રકમનો કોન્ટ્રાકટ આપવાની કોઈ જરૂર નથી. મશીનરી મ્યુનિ.ની હોય તો આ કામગીરી ૭૦ રૂપિયાનો રોજમદાર પણ કરી શકે. જો મેયર અસિત વોરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલ સહિતે પોતાના મળતિયાઓને લાભ કરાવી આપવાની મમત છોડી પ્રજાના નાણાનો વિચાર કરવો જોઈએ. આજે ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં એવો નિર્ણય લેવાયો હતો કે કાંકરિયામાં બનાવાયેલા કિડ્ઝ સિટીનો સફાઈનો કોન્ટ્રાકટ ભારત વિકાસ ગૃપ ઈન્ડિયાને માસિક દોઢ લાખમાં આપવો.
કોંગ્રેસ કાર્યક્રમનો બહિષ્કાર કરી આંદોલન છેડશે
મ્યુનિ. વિરોધ પક્ષના નેતા બદરૂદ્દીન શેખે જણાવ્યું હતું કે કિડ્ઝ સિટીની ફી ઉપરાંત અન્ય તમામ ફી સામાન્ય વર્ગને પોષાય તેમ નથી. એક પરિવાર આવે તો કાંકરિયામાં તેને ૧ર૦૦થી ૧પ૦૦ રૂપિયાનો ખર્ચ થઈ જાય. આવા તઘલખી નિર્ણયનો વિરોધ કરવા કોંગ્રેસ આવતીકાલના ઉદ્દઘાટનના કાર્યક્રમનો બહિષ્કાર કરશે. અને આગામી દિવસોમાં આ મામલે આંદોલન પણ છેડશે.
બે બાળક સહિત ચાર વ્યક્તિના કુટુંબનો ખર્ચ
ખર્ચનું નામ
ફી
કુલ ખર્ચ
પ્રવેશ ફી
૧૦
૪૦
ટ્રેન
રપ
૧૦૦
તિથર્ડ બલૂન
૧૦૦
૪૦૦
પ્રાણી સંગ્રહાલય
૧૦
૪૦
કિડ્ઝ સિટી
૧૦૦/૧પ૦
પ૦૦
બાલવાટિકા
૧ર
બોટિંગ
૧૦
૪૦
નગીનાવાડી
૧૦
૪૦
એમ્યુઝમેન્ટ પાર્ક
પ૦
પ૦
નાસ્તો
ર૦૦
ર૦૦
કુલ રૂપિયા

૧૪રર

Friday, December 24, 2010

ચેસમાં ગુજરાતે સર્જ્યો વિશ્વવિક્રમ

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સ્થળે ૨૦,૪૮૬ ખેલાડીઓએ એકીસાથે શતરંજ રમીને એક નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ અગાઉ મેક્સિકોમાં ૧૩,૩૪૬ ખેલાડીઓએ શતરંજ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રાજ્યના ચેસના ખેલાડીઓએ આ વિક્રમ તોડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં ગુજરાતને પ્રતિષ્ઠારૂપ સ્થાન અપાવ્યું છે.

સૌથી વધુ ખેલાડીઓ દ્વારા રમવાનો રેકોર્ડ
ચેસ ઘેર ઘેર રમાય તેવી નેમઃ નરેન્દ્ર મોદી

સ્વર્ણિમ જયંતી વર્ષ નિમિત્તે આયોજિત ચેસ મહોત્સવમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ તારિકા વારાએ સત્તાવાર ઘોષણા કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત થયા બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને હજારો રમતવીરોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. સ્વર્ણિમ ચેસ મહોત્સવમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનશક્તિના સાક્ષાત્કાર દર્શન કરાવતાં શતરંજની રમતને ઘેર ઘેર સુધી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે,

અત્યાર સુધી ભારતના ફાળે ૨૯૯ વિશ્વવિક્રમ આવ્યા છે અને આજે ગુજરાતે શતરંજમાં વિશ્વવિક્રમ નોંધાવીને ૩૦૦માં વિક્રમની ભેટ આપી છે. ગુજરાતે અગાઉ અમદાવાદમાં ૧૧ લાખ વૃક્ષો રોપી, ૫૦ લાખ લોકોએ પુસ્તક વાંચી, તાનારીરી સંગીત મહોત્સવમાં ૯૯ કલાકની ગાયકીના રેકોર્ડ સ્થાપ્યા છે. શતરંજની રમત એ આજની લાઇફ સ્ટાઇલમાં ધૈર્ય અને ધીરજના ગુણ શીખવે છે અને માનસિક મનોબળ મજબૂત બનાવે છે. શતંરજએ રમત નહીં પણ જિંદગી જીવવાની કલા છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન છે ત્યારે આ રમત શાળા અને પરિવારમાં વધુ પ્રચલિત બને તેવી સરકારની નેમ છે.

વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે આ અનેરા પ્રસંગે જણાવ્યું કે, ‘એક વર્ષ અગાઉ શતરંજની સ્પર્ધાનો વિચાર મુખ્યમંત્રીએ ખુદ રજૂ કર્યો ત્યારે તેમની દીર્ઘદૃષ્ટિનો મને પરિચય થયો. મારી એક ઇચ્છા રહી હતી કે શતરંજની રમત વધુ ને વધુ પ્રચલિત બને. જે ગુજરાત સરકારે સાકાર કરીને બતાવ્યું છે. આજે ગુજરાતે જ્યારે એક રેકોર્ડ નોંધાવ્યો છે ત્યારે મને અનહદ ખુશી થઇ છે.’  રમતગમત મંત્રીએ પણ પ્રસંગોપાત વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ, અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

સમગ્ર મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કુલ ૧૪૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ શતરંજની રમતમાં પોતાનું કૌશલ્ય દેખાડયું હતું. એકી સાથે ૬૪ ટેબલ પર શતરંજ રમતાં ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથનને પણ પ્રભાવિત કર્યાં હતા. મુખ્યમંત્રીએ પણ ૧૦ હજાર ટેબલ પર શતરંજ ખેલતાં ખેલાડીઓને નિહાળીને પ્રોત્સાહિત કર્યા હતા.

આનંદ માટે ૨૪-૧૨ ફરી આનંદમય

અમદાવાદ : વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ માટે ૨૪ ડિસેમ્બરનો દિન ફરી મહત્ત્વનો બની રહ્યો હતો. ૨૦૦૦માં આ જ દિવસે તેણે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને આ જ દિવસે ગુજરાતે પણ ચેસમાં વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

Tuesday, December 21, 2010

અમદાવાદ-મુંબઇમાં મોટા આતંકી હુમલાની આશંકા

- ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી દરમિયાન ઇન્ડિયન મુજાહિદ્દીન સહિતના ૩૩ ભાગેડુ આતંકીઓ હુમલાની પેરવીમાં
- કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ ત્રાસવાદીઓની વાતચીત આંતરતા મળેલી સ્ફોટક વિગતો બાદ બંને શહેરોમાં એલર્ટ જાહેર

ગુજરાત પોલીસને શક છે અને બાતમી મળી છે કે ઈન્ડિયન મુજાહિદ્દીનના ત્રણ શંકાસ્પદ ત્રાસવાદીઓ, મુજીબ, આફ્રીદી પઠાણ અને સુભાન એલિયાસ તૌકીર અમદાવાદમાં ઘૂસી ગયાં છે. પોલીસ, ઓટીએસ હાઈ એલર્ટ પર છે. સાંજે ચાર વાગ્યે આ અંગે પત્રકાર પરિષદ પોલીસ સંબોધશે, સમગ્ર અમદાવાદ શહેરમાં સઘન ચેકિંગ.

ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત બનતાં બે મહાનગરો અમદાવાદ-મુંબઇમાં ત્રાસવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. રેલવેમાં પણ ડોગ સ્કવોડ સાથે ચેકિંગ શરૂ કરી દેવાયું છે. કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદીઓની વાતચીત આંતરતા હુમલાની હકીકત ઉજાગર થઈ છે. લશ્કર-એ-તોઈબા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આતંકીઓ આ બંને શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને હુમલો કરે તેવી સંભાવના છે, એમ ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, તાજેતરમાં વારાણસીના ઘાટ પર ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. બાદમાં આતંકીઓએ ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો હતો, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગોધરા રમખાણોના કેસમાં ક્લીનચીટ આપવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેમણે મુંબઈ જેવાં મહાનગરોમાં પણ તબાહી મચાવવાની ધમકી આપી હતી. જેના કારણે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ સતર્ક બની ગઈ હતી.

દરમિયાન સંસ્થાઓએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓ અને ભારતમાંના સ્લીપર સેલના સભ્યો વચ્ચે થયેલી વાતચીત આંતરી હતી. જેમાં આતંકીઓએ મુંબઈ અને અમદાવાદમાં હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું ઉજાગર થયું હતું. જે પછી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને આ બાબતે એલર્ટ જારી કરાયું છે.

અમદાવાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આરોપીઓની યાદી પણ સોંપવામાં આવી હતી. આ યાદી પૈકીના ૧૦ જણા અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં હોવાની સંભાવના છે. તેથી તેમને પકડવા તમામ શહેર અને જિલ્લા પોલીસને એલર્ટ કરવામાં આવી છે.

એટીએસના વડા અજય તોમરે કહ્યું છે કે અમને કેન્દ્રીય એજન્સીઓ તરફથી અમદાવાદ અને મુંબઈમાં આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરતો અહેવાલ મળ્યો છે. અમને જ્યારે પણ આવા અહેવાલ મળે છે ત્યારે અમે ગંભીરપૂર્વક તપાસ કરીએ છીએ અને આ વખતે પણ કરી રહ્યા છીએ.

Thursday, December 9, 2010

ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય શાહનવાઝના ગુજરાત સંપર્કોની તપાસ

વારાણસીમાં વિસ્ફોટનો માસ્ટર માઈન્ડ ઈન્ડિયન મુજાહિદ્દીનનો સભ્ય ડો. શાહનવાઝ હોવાનું ઉત્તરપ્રદેશ પોલીસની તપાસમાં ખૂલ્યુ છે. તેની સાથે હાલ દુબઈસ્થિત અસદઉલ્લા અખ્તરની પણ સંડોવણીની શંકા છે. શાહનવાઝનો ભાઈ સૈફ ઉર્ફે રાહુલ શર્મા અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં હાલ સાબરમતી જેલમાં બંધ છે. અમદાવાદ બ્લાસ્ટમાં પણ શાહનવાઝની સંડોવણી હોય શકે છે જે આધારે  ગુજરાત પોલીસે તેના સંપર્કા શોધવા રાજ્યમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સાબરમતી જેલમાં બંધ શાહનવાઝના ભાઈ સૈફની પુછપરછ માટે કાલે યુપી પોલીસ આવે તેવી શક્યતા છે.

વારાણસી બ્લાસ્ટઃઅમદાવાદના વોન્ટેડ આરોપીઓ પૈકીના એકે મુંબઈથી ઈ-મેઈલ કર્યો ?
સાબરમતી જેલમાં બંધ શાહનવાઝના ભાઈ સૈફની પૂછપરછ માટે આજે યુપી પોલીસ આવે તેવી શક્યતા

શાહનવાઝનો ભાઈ સૈફ અગાઉ દિલ્હીના બાટલા હાઉસ બ્લાસ્ટમાં દિલ્હી પોલીસના હાથે ઝડપાયા બાદ અમદાવાદ વિસ્ફોટમાં સંડોવણી ખૂલતા સૈફને અહીં લવાયો હતો. શાહનવાઝ જયપુર અને દિલ્હી બ્લાસ્ટમાં પણ વોન્ટેડ છે.

૩૦ વર્ષનો શાહનવાઝ મૂળ આઝમગઢનો છે.  દિલ્હી બ્લાસ્ટ પછી અસદઉલ્લા દુબઈ ભાગી ગયો હતો. શાહનવાઝને મુંબઈ પોલીસ પણ શોધી રહી છે. શાહનવાઝનું નામ ખૂલતા જ ગુજરાત એટીએસ તેમજ એસઓજીની ટીમો બનાવી તેના સંપર્કો તેમજ તેના સાગરીતો સહિત શંકાસ્પદોને ઝબ્બે કરવા સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. ગુજરાત એટીએસની એક ટીમ વારાણસી જઈ રહી છે.

ઈ-મેઈલ મુંબઈ ખાતેથી કરવામાં આવ્યો હતો. આ ઈ-મેઈલ અમદાવાદ બ્લાસ્ટના ૩૬ વોન્ટેડ આરોપી પૈકીના એકે કર્યો હોવાનું અનુમાન  છે. ગુજરાત પોલીસસુત્રો પ્રમાણે, ઈન્ડીયન મુજાહુદ્દીનનું નોર્થ અને સાઉથ મોડયુલ સતત સંપર્કમાં હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. કેમ કે, વારાણસી નોર્થમાં આવેલુ છે જયારે ઈ-મેઈલ મુંબઈથી મોકલવામાં આવ્યો છે. જો આ બંન્ને મોડયુલ સંપર્કમાં હોય તો ગુજરાતને મોટો ખતરો હોય શકે. બીજીતરફ મુંબઈથી મોકલવામાં ઈ-મેઈલ અને ભૂતકાળમાં અમદાવાદ બ્લાસ્ટ પછી મળેલા ઈ-મેઈલનું એનાલીસીસ કરવામાં આવી રહ્યુ છે. અમદાવાદ બ્લાસ્ટમાં ઈ-મેઈલ મોકલનાર અકબર અને મોહસીન પૈકી મોહસીન ચૌધરી હજુય વોન્ટેડ છે.

દ્વારકા, સોમનાથ, જગન્નાથ મંદિરની સુરક્ષા વધારાઇ

વારાસણી બ્લાસ્ટની જવાબદારી સ્વીકારતા ઈ-મેઈલમાં ઈન્ડિયન મુજાહિદ્દીને મંદિરોને ટાર્ગેટમાં લીધા હોવાના ખુલાસાને પગલે દ્વારકા, સોમનાથ, જગન્નાથ સહિતનાં મંદિરોની સુરક્ષામાં વધારો કર્યો હોવાનું કાયદો અને વ્યવસ્થાના વડા સુધીરસિન્હાએ જણાવ્યું હતું. અમદાવાદના કેમ્પ હનુમાનના મંદિરમાં આર્મી દ્વારા મોબાઈલ જામર ગોઠવી દેવામાં આવ્યા છે.

Wednesday, December 8, 2010

જજોની નિમણૂક મુદ્દે હાઈકોર્ટમાં હડતાળ

હાઈકોર્ટમાં એકતરફ દર વર્ષે હજારોની સંખ્યામાં નવા કેસોનો ઉમેરો થઈ રહ્યો છે. જ્યારે તેના નિકાલ માટે સુપ્રીમ કોર્ટે કુલ જજોની મંજૂર કરેલી જગ્યાઓ પૈકી માંડ અડધા હોદ્દાઓ પર જ નિમણૂક થઈ છે. આ સામે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરફથી નવા નામોની ભલામણ થયે ૧૯ મહિના થવા છતાં સુપ્રીમ કોર્ટ, કેન્દ્રીય કાયદા મંત્રાલય અને વડાપ્રધાન કચેરી સુદ્ધાં કોઈએ આ અંગે કાર્યવાહી કરી ન હોવા સામે આજે હાઈકોર્ટના વકીલોનો રોષ ભભૂકી ઊઠયો હતો. હાઈકોર્ટ પ્રત્યેના આ વલણના વિરોધમાં તમામ વકીલોએ કાર્યવાહીનો જડબેસલાક બહિષ્કાર કર્યો હતો. જો ટૂંક સમયમાં હકારાત્ત્મક પ્રતિભાવ નહીં મળે તો અનિશ્ચિત મુદતની હડતાળનું પગલું ભરવાની પણ તૈયારી દર્શાવી છે.

ન્યાયતંત્ર પ્રત્યેના પૂર્વગ્રહયુક્ત વલણ સામે વકીલો રોષે ભરાયા 


૧૯ મહિના પૂર્વે જજોનાં નામોની ભલામણ કરી હોવા છતાં નિષ્ક્રિયતા : ગુજરાત હાઈકોર્ટમાં ૪૨ના બદલે ફક્ત ૨૩ જજ

છેલ્લા ઘણાં મહિનાથી ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશને હાઈકોર્ટમાં જજોની ખાલી પડેલી જગ્યાઓ ભરવા પ્રયાસ હાથ ધર્યા હતા. ગુજરાત હાઈકોર્ટમાં ૪૨ જજની નિમણૂક મંજૂર થઈ છે, પરંતુ હાલ માત્ર ૨૩ જજ છે. બીજી તરફ પૂર્વ જસ્ટિસ એસ. રાધાકૃષ્ણને ૨૦૦૯માં નવા જજ તરીકે ૧૨ નામની ભલામણ કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટના નવ જજની બંધારણીય બેન્ચે (કોલેજિયમ) અભિપ્રાય નિશ્ચિત કરી કેન્દ્રીય કાયદા મંત્રાલયને આખરી મંજૂરી માટે મોકલ્યો હતો. હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશનના પ્રમુખ યતીન ઓઝાએ આ અંગે કહ્યું હતું કે, હાઈકોર્ટના વકીલો તરફથી સુપ્રીમ કોર્ટમાં પાંચ વખત, કેન્દ્રીય કાયદા મંત્રીને ૧૦ અને વડાપ્રધાન કચેરી સમક્ષ બબ્બે વખત રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ જ નિર્ણય લેવાયો નથી. ગુજરાતની રાજકીય નેતાગીરી સાથે કેન્દ્ર સરકારને જે રાજકારણ રમવું હોય તે રમે પણ ન્યાયતંત્ર પ્રત્યેના આ પૂર્વગ્રહયુક્ત વલણ સામે વકીલોએ રોષ વ્યક્ત કરવા હડતાળ પાડી છે.

નોંધનીય છે કે, આજે સવારથી જ એસોસીએશનના અગ્રણીઓએ હાઈકોર્ટના બે મુખ્ય દરવાજા પર ગોઠવાઈ જઈને રોજિંદા ક્રમ મુજબ આવતા વકીલોને કાર્યવાહીથી અળગા રહેવા વિનંતી કરી હતી. જેનો પ્રતિભાવ એવો સજ્જડ હતો કે, એકમાત્ર એડ્વોકેટ કિશોર પાલ સિવાય કોઈ જ વકીલ કેમ્પસમાં પ્રવેશ્યા ન હતા. ત્યાર પછી સવારે ૧૧:૦૦ વાગ્યે જજોએ સ્થાન ગ્રહણ કર્યા બાદ સરકારી વકીલોને પણ કાર્યવાહી વિનાના જોઈને મોટાભાગના જજ બોર્ડ પરના તમામ કેસમાં ક્લાર્કને નવી મુદતની સૂચના આપી ચેમ્બરમાં જતા રહ્યા હતા.

‘ગુજરાત એ વિવાદિત જજોનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી’

બીજા રાજ્યોની હાઈકોર્ટમાંથી ગુજરાત હાઈકોર્ટમાં બદલી કરાતા કેટલાક જજ અંગે હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસીએશને ગંભીર પ્રતિક્રિયા આપી હતી. તેમના જણાવ્યાનુસાર અન્ય રાજ્યોમાં જે જજ સામે કૌભાંડ કે અનિયમિતતા જેવી ફરિયાદ ઉઠે તેમને અહીં ટ્રાન્સફર કરાય છે. ગુજરાત એ વિવાદાસ્પદ જજો માટેનું ડમ્પિંગ ગ્રાઉન્ડ નથી તેમ કહેતા એસોસીએશન પ્રમુખે કહ્યું હતું કે, આગામી સમયમાં પંજાબ-હરિયાણાના બે, મદ્રાસ હાઈકોર્ટના એક અને ઓરિસ્સાના એક  જજની ગુજરાતમાં બદલી થઈ રહી છે. આ ચારેય જજ સામે વિવિધ ફરિયાદો થયેલી છે.

Thursday, December 2, 2010

SITની નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ!

  • એસઆઈટીએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
  • 2002ના રમખાણોના મામલામાં ક્લિનચીટ
  • એસઆઈટીને મોદી વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નહીં
  • એસઆઈટીના સૂત્રોને ટાંકી અંગ્રેજી અખબારમાં અહેવાલ
  • જજોને સોંપાયેલા સ્ટેટસ રિપોર્ટમાંથી કોઈ જાણકારી નહીં



સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપી દીધી છે. એસઆઈટીના રિપોર્ટમાં મોદીને આ આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી પર દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરનીના વિધવા ઝકીયા જાફરીએ આરોપ લગાવ્યો હતો કે ગોધરા કાંડ બાદ 2002ના હુલ્લડો સમયે નરેન્દ્ર મોદીએ પોતાની બંધારણીય જવાબદારીઓનું વહન કર્યું ન હતું.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસઆઈટીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એક અંગ્રેજી અખબારે એસઆઈટીના સૂત્રોને ટાંકીને આ રિપોર્ટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ છ દિવસ પહેલા જ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રિમ કોર્ટને સોપ્યો છે. સુપ્રિમ કોર્ટે ગત વર્ષ 27 એપ્રિલે સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક આર. કે. રાઘવનની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીને ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકીયા જાફરનીની ફરિયાદ પર તપાસ કરવાનું કહેવાયું હતું. ત્યાર બાદ એસઆઈટીએ જાફરીની ફરીયાદમાં આરોપી બનાવાયેલા શખ્સો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહીતના શખ્સોની તપાસ કરી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એસઆઈટી દ્વારા પુછપરછ 9 કલાક સુધી ચાલી હતી.


ઝકીયાએ મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હુલ્લડખોરોને ભડકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝકીયાના પતિ અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની ગુજરાતના કોમી રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાય હતી. આરોપ લાગ્યો હતો કે પોલીસે હુલ્લડોને રોકવા માટે કંઈ જ કર્યું ન હતું. સુપ્રિમ કોર્ટની જસ્ટિસ ડી. કે. જૈન, જસ્ટિસ પી. સદશિવમ અને જસ્ટિસ આફતાબ આલમની ખંડપીઠ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ થયેલા રિપોર્ટ સંદર્ભે હજી સુધી કોઈ જ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ રિપોર્ટ આપનારા અગ્રણી અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે, એસઆઈટીએ ઝકીયા જાફરીની ફરીયાદ પર તપાસ પૂરી કરી દીધી છે અને તેને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવાઓ હાથ લાગ્યા નથી.

Friday, October 15, 2010

નરેન્દ્રા મોદી : પ્રજાના મિજાજે કોંગ્રેસનો કચ્ચરઘાણ વાળ્યો છે.

મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં ઇવીએમની ગરબડને કારણે હાર થઈ હોવાના કોંગ્રેસના આક્ષેપને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નકાર્યો હતો. ગોધરા અને દાહોદની જાહેરસભામાં તેમણે કહ્યું હતું કે, પ્રજાના મિજાજના મશીને કોંગ્રેસનો કચ્ચરઘાણ વાળ્યો છે. વોટબેંકની રાજનીતિ કરતાં વિકાસની રાજનીતિ ચાલશે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગુરુવારે ગોધરા અને દાહોદની સભાને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં દિલ્હીથી નીકળેલો એક રૂપિયો ઘસાઈને ગરીબના હાથમાં ૧૫ પૈસા થઈ જતો હતો. કોઈ પંજો તરાપ ન મારે તે માટે ગાંધીનગરમાં ચોકીદાર તરીકે છું, માટે ઠેરઠેર યોજાયેલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ગરીબોને હાથોહાથ કરોડો રૂપિયાની સહાય આપી છે. કોંગ્રેસે મોંઘવારી હટાવવાનું વચન આપ્યુ હતું પરંતુ તેમ ન થતાં હવે કોંગ્રેસને હટાવવી પડે, તેમ તેમણે ઉમેર્યું હતું.

Thursday, September 30, 2010

LIVE અયોધ્યા :ચુકાદાનું કાઉન્ટ ડાઉન

દેશ-દુનિયાની સાથે સાથે સમગ્ર અયોધ્યામાં પણ આજે રામજન્મભૂમિ-બાબરી મસ્જિદની વિવાદીત જમીન પર સાડા ત્રણ વાગ્યે થનારી ચુકાદાની સુનાવણીનો ખામોશીથી રાહ જોવાય રહી છે. કિલ્લામાં પરિવર્તિત થઈ ચુકેલી લખનૌ બેન્ચના કોર્ટ રૂમ નંબર-21માં બપોરે સાડા ત્રણ કલાકે જસ્ટિસ ડી.વી.શર્મા, એસ.યૂ.ખાન અને સુધીર અગ્રવાલની બેન્ચ ચુકાદો સંભળાવશે. આ કોર્ટરૂમનો દરવાજો બપોરે અઢી વાગ્યે ખોલવામાં આવ્યો છે. ત્યાર બાદ તમામ પક્ષકારોના વકીલો દાખલ થશે અને બરાબર સાડા ત્રણ કલાકે ત્રણેય જજોની બેન્ચ ચુકાદો આપશે.

ચાર સ્તરીય સુરક્ષા

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેન્ચમાં સુરક્ષાનો એવો બંદોબસ્ત કરવામાં આવ્યો છે કે મામલા સાથે સંલગ્ન લોકો સિવાય અન્ય કોઈ અંદર જઈ શકશે નહીં. એકવાર અંદર ગયા બાદ ચુકાદાની સુનાવણી પૂર્ણ ન થાય, ત્યાં સુધી કોઈ બહાર આવી શકશે નહીં. લખનૌમાં ઉપસ્થિત હાઈકોર્ટ પરિસરના સમગ્ર વિસ્તારને નો એન્ટ્રી ઝોનમાં ફેરવી દેવાયો છે. કોર્ટ પરિસરમાં મોબાઈલ લઈ જવાની પરવાનગી નથી. કેટલાંક જજો અને અધિકારીઓને બાદ કરતાં કોર્ટ પરિસરમાં કોઈના માટે પાર્કિંગની પરવાનગી પણ નથી. મીડિયાકર્મીઓ માટે લખનૌના જિલ્લાધિકારી કાર્યાલયમાં જ મીડિયા સેન્ટર બનાવાયું છે. જીત કે હારને લઈને અતિરેક ભરી પ્રતિક્રિયા પર પ્રતિબંધ છે. કોર્ટ પરિસરમમાં ચાર સ્તરીય સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. સુરક્ષા સંબંધી નિયમાવલીને સખ્તાયપૂર્વક લાગુ કરવામાં આવી છે.

પોલીસ અને મીડિયાનો જમાવડો

લખનૌની સડકો પર માત્ર પોલીસ અને મીડિયાના લોકો જ દેખાય રહ્યાં છે. સમગ્ર રાજ્યમાં લગભગ 2 લાખ જવાનો તેનાત છે. દેશ-વિદેશના ઘણાં પત્રકારો કવરેજ માટે અહીં હાજર છે. મીડિયા સંસ્થાનોએ લાઈવ કવરેજની પૂર્ણ તૈયારીઓ કરી છે. અહીંની હોટલોમાં રૂમ ઉપલબ્ધ નથી, છત પણ બુક કરાવાય છે. હોટલોમાં ટીવી ચેનલોએ પોતાના અસ્થાયી સ્ટુડિયો બનાવી લીધા છે.

રાજ્યના માહિતી વિભાગે એક મીડિયા સેન્ટર બનાવ્યું છે. અહીં 500 પત્રકારોને બેસવાની વ્યવસ્થા છે. તેમાન માટે ચા-નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈન્ટરનેટ જેવી સુવિધાઓ પણ આપવામાં આવી છે.

4-30 પહેલા ચુકાદાની ખબર નહીં પડે

દુનિયા સામે આ ચુકાદો સાંજે સાડા ચાર કલાકે આવે તેવી શક્યતા છે. જજ સાડા ત્રણ કલાકે ચુકાદો વાંચવાની શરૂઆત કરશે. આશા છે કે ચુકાદાનો મહત્વનો ભાગ 60-80 પાનાનો હોઈ શકે છે. જજ એટલો ભાગ વાંચશે. ત્યાર બાદ મીડિયા સેન્ટર સુધી ખબર પહોંચાડતા ઓછામાં ઓછી 15 મિનિટ લાગશે. જો કે હાઈકોર્ટની વેબસાઈટ પર 4 વાગ્યે ચુકાદાની પૂર્ણ કોપી ઉપલબ્ધ કરવાનો દાવો કરવામાં આવ્યો છે. હાઈકોર્ટના ચુકાદાની 500 કોપીઓ તૈયાર છે. ચુકાદો સંભળાવાયા બાદ તેને વહેંચવામાં આવશે.

Saturday, September 4, 2010

અમિત શાહ નું પરીક્ષણ થશે : CBIના ડોક્ટરો

સોહરાબુદ્દીન બનાવટી એન્કાઉન્ટરમાં પકડાયેલા પૂર્વ ગૃહરાજ્ય મંત્રી અમિત શાહને ગૂમડું થવાને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે સીબીઆઇ તેમના ડોક્ટરો મારફત અમિત શાહની બીમારીનું પરીક્ષણ કરાવશે. જો તેમની બીમારી ખોટી સાબિત થશે તો સીબીઆઇ સિવિલના ડોક્ટરો વિરુદ્ધ પણ ફરિયાદ કરે તેવી સંભાવના છે.

અમિત શાહ સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક મહિના કરતાં વધુ સમય રહ્યા બાદ જેલની બહાર નીકળ્યા છે. અમિત શાહને ગૂમડું થયું હોવાથી છેલ્લા ચાર દિવસથી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરંતુ તેઓ બીમારીના બહાના હેઠળ પરિવારના સભ્યો અને કાર્યકરોને મળી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સીબીઆઇએ અમિત શાહને જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં બહાર ખાનગીમાં સર્વેલન્સ ગોઠવી છે. આ અંગે સીબીઆઇ કોર્ટને રિપોર્ટ પણ કરવાની છે.

શાહને જે બીમારીથી અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે તે બીમારીની સારવાર જેલની હોસ્પિટલમાં પણ થઇ શકે છે તેમ સીબીઆઇના સૂત્રો જણાવે છે. પરંતુ જેલસત્તાવાળાઓ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ શાહની અમદાવાદ સિવિલમાં સારવાર કરવાની સલાહ આપ્યા બાદ દાખલ કરવામાં આવ્યા હતા.

સીબીઆઇનાં સૂત્રોના જણાવ્યાનુસાર અમિત શાહની બીમારી ખરેખર સાચી છે કે, ખોટી તે તપાસવા તેમના ડોક્ટરોની પેનલ આગામી એક-બે દિવસમાં અમિત શાહની બીમારીનું પરીક્ષણ કરવાના છે. જો ડોક્ટરની પેનલ દ્વારા અમિત શાહની બીમારી ખોટી સાબિત થશે તો સીબીઆઇ સિવિલના ડોક્ટરો વિરુદ્ધ પણ ફરિયાદ કરે તેવી સંભાવના છે.

Sunday, August 29, 2010

કલગી ના ફાર્મ-હાઉસ પર જુગાર રમાતા પોલીસ ના દરોડા .

સોલા ભાગવત વિદ્યાપીઠની પાછળ સોલા ગામમાં આવેલા સર્વે નંબર ૯૩૪-૩ ખાતેના નાથીબા ફાર્મ હાઉસમાં ચાલતી લો ગાર્ડન જિમખાના કલબમાં તીનપત્તીનો જુગાર ચાલી રહ્યો હોવાની બાતમીના આધારે જેસીપી સેકટર ૧ સહિતના પોલીસ કાફલાએ શનિવારે મોડી રાત્રે આ ફાર્મ હાઉસમાં ત્રાટકી સૂત્રધાર ભૂરા ઉર્ફે મૌલિક પટેલ સહિત ૭૦ જુગારીની ધરપકડ કરી કુલ રૃ. ૧.૧૭ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસની રેડને પગલે નાસભાગ મચી હતી અને ફાર્મહાઉસના પાછળના દરવાજેથી ૬૦થી પણ વધુ જુગારીઓ વગેરે ખેતરોમાં ફરાર થઇ ગયા હતા. પોલીસે આ કલબના ભાગીદારો દિનેશ કલગી અને મહેન્દ્ર
કલગીને 'ફરાર આરોપી' તરીકે બતાવ્યા હતા.

સોલાની ક્લબમાંથી સૂત્રધાર મૌલિક પટેલની ધરપકડઃ મહેન્દ્ર - દિનેશ કલગી ફરાર, ૩૬ કાર, ૪૯ ટુ વ્હીલર, ૭૧ સેલફોન સહિતનો મુદ્દામાલ જપ્ત
પોલીસની રેડ પડે તો ચેતવણી મળી શકે તે માટે જુગારના અડ્ડાના સંચાલકે ફાર્મહાઉસની દીવાલો પર સીસી ટીવી કેમેરા ગોઠવ્યા હતા. તેથી પોલીસ અધિકારીઓ સાદા ડ્રેસમાં આવ્યા હતા. ત્રણ આઇપીએસ અધિકારીઓની એક સાથે આવેલી રેડને પગલે કલબ સંચાલકોમાં તેમજ ગેરકાયદે કલબોની પરમિશન આપતા પોલીસ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ઝોન ૧ના ડીસીપી બ્રજેશકુમાર ઝાને બાતમી મળી હતી કે સોલા ભાગવત વિદ્યાપીઠ પાછળ નાથીબા ફાર્મ હાઉસમાં મૌલિક ઉર્ફે ભુરો રમેશભાઇ પટેલ, કે જે સોલાગામમાં મોટા માઢ ખાતે રહે છે, તે કલબની આડમાં જુગારનો અડ્ડો ચલાવે છે. આ બાબતની જાણ સેકટર ૧ના જેસીપી સતિષ શર્માને કરાતા તેમણે રેડ પાડવા સ્પેશિયલ ટીમ બનાવી હતી. જેમાં ડીસીપી ઝોન ૧ બી. કે. ઝા, ઝોન ૨ એસ. એમ. કટારા, એસીપી 'એલ' ડિવિઝન બી. કે. આયર સહિતના અધિકારીઓ ઉપરાંત માધવપુરા, કારંજ, સાબરમતી પોલીસનો સ્ટાફ સામેલ કર્યો હતો. લગભગ દસથી પંદર વાહનો સાથેનો આ કાફલો શનિવારે રાત્રે ૧૧ના સુમારે બે પંચો સાથે ત્રાટકયો હતો. નાસભાગ મચતા ૬૦ શખસો વાહનો પડતાં મૂકી ઉઘાડા પગે જ ફાર્મના પાછળના દરવાજેથી ફરાર થઇ ગયા હતા.

પોલીસ પહેલા માળે પહોંચી ત્યારે મોટા હોલમાં નવ બોર્ડ બનાવીને જુદા જુદા લોકો તીન પત્તીનો જુગાર રમતા હતા. તેમની પાસેથી કુલ રૃ.  ૩,૭૮,૮૭૫ની રોકડ જપ્ત કરી હતી. ઉપરાંત રૃ. ૧,૨૯,૪૦૦ના ૭૧ ફોન, ૩૬ કાર, ૪૯ ટુ વ્હીલર સહિત રૃ. ૧,૧૧,૮૭,૦૦૦નાં વાહનો, જુગાર રમવાનાં સાધનો મળીને કુલ રૃ. એક કરોડ, ૧૭ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૬૯ આરોપીની ધરપકડ કરી હતી.

કલબના કાઉન્ટર પર બેઠેલા આરોપી મૌલિક ઉર્ફે ભુરા પાસે લાઇસન્સ માંગ્યું હતું, જે તેની પાસે ન હતું. તેથી તેની પણ ધરપકડ કરી હતી. ભુરાના કાઉન્ટર પરથી પોલીસને મોંઘી બ્રાન્ડના ઇંગ્લિશ દારૃની બે બોટલો મળી હતી. ભુરા પાસેથી ૧૫ હજારની રોકડ અને બે ફોન કબજે લેવાયા છે. કાઉન્ટરમાંથી શ્રેષ્ઠ જિમખાના પ્રા. લી., નાથીબા ફાર્મ હાઉસના સભ્યપદનું ઓળખપત્ર રજિસ્ટર, સ્ટાફ રજિસ્ટર, હિસાબી ચોપડા વગેરે કબજે લીધાં હતાં.

કારંજ પોલીસના પીએસઆઇ સી. પી. સાદિયાની ફરિયાદને આધારે પોલીસે જુગારધામ ચલાવવાનો અને જુગાર રમવાનો ગુનો દાખલ કરી ભુરા સહિત ૭૦ની ધરપકડ કરી હતી. તેના ભાગીદારોમાં કોચરબ ગામ ખાતે પરબડી વાસમાં રહેતા મહેન્દ્ર અંબાલાલ પટેલ ઉર્ફે મહેન્દ્ર કલગી અને પાલડી ખાતે સાગર સમ્રાટ એપાર્ટમેન્ટમાં રહેતા દિનેશ ઉર્ફે કલગી ઠક્કરને ફરાર બતાવવામાં આવ્યા હતા. પોલીસે નબીરાઓની કારોનો કાફલો જપ્ત કર્યો તેમાં રાજકીય કનેકશન ધરાવતાં, કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એકસાઇઝની કાર તેમજ એડવોકેટની કારોનો સમાવેશ થાય છે. પોલીસે પકડેલા જુગારીઓમાં ચાર પોલીસ કોન્સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. તે પૈકી નરેન્દ્રસિંહ લખુભા ગોહિલ મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

૧.૧૭કરોડમાલમતા કબજે

રાજકીય આગેવાનો, એડવોકેટ, પોલીસ, સેન્ટ્રલ એક્સાઇઝ, કસ્ટમ ઓફિસર સહિતના સંખ્યાબંધ નબીરાઓની મોટરકારોનો કાફલો પકડાયો શનિવારની મોડી રાત્રે ત્રણ આઇપીએસ, એક એસીપી સહિતનો પોલીસનો કાફલો કલગીના ગઢ પર ત્રાટક્યો
નાથીબા ફાર્મ પર દરોડો પડતાં ૬૦ જુગારિયા વાહનો પડતાં મૂકી ખુલ્લા પગે ખેતરોમાં રફુચક્કર
પોલીસ આવે તેની ચેતવણી મળી શકે તે માટે ક્લબ બહાર સીસી ટીવી કેમેરા ગોઠવાયા હતા પણ પોલીસે સાદા વેશમાં છાપા માર્યા

જુગાર રમતા પોલીસવાળાને અધિકારીઓએ ફટકાર્યો

અમદાવાદ : સોલા ગામમાં મોડી રાત્રીના જુગાર અંગે પોલીસે નાથીબા ફાર્મ હાઉસમાં રેડ કરી તે સમયે મણિનગર પોલીસ સ્ટેશનનો પોલીસ કર્મી ત્યાં જુગાર રમતો હતો. આ પોલીસ કર્મીને અગાઉ સોલામાં વહીવટદાર તરીકે પીઆઇએ રાખ્યો હતો. જોકે તે સમયે દારૃ સાથે પકડાયેલા પોલીસ કોન્સ્ટેબલને છોડી દેવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ પગલે પોલીસ અધિકારીએ તેની બદલી મણિનગર ખાતે કરી હતી. જોકે ફરી વખત સોલાની હદમાં આ કોન્સ્ટેબલને જુગાર રમતો જોઇને પોલીસ અધિકારી ઊકળી ઊઠયા હતા.

દોઢસો જોડી ચંપલો બૂટ મળ્યાં

અમદાવાદ : કલબમાં રેડ પડતા નાસભાગ મચી ગઇ હતી. જોકે પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત ૭૦ જણાની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ અધિકારીઓની નજર કલબમાં પડેલા બૂટ ચંપલ પર પડી ત્યારે તેઓ ચોંકી ઊઠયા હતા. કેમકે ઓછામાં ઓછી દોઢસો જેટલી બૂટ ચંપલની જોડી કલબમાં પડી હતી. આમ એક સાથે આટલા બધા આરોપીઓ ભાગી ગયાની જાણકારી પોલીસને મળી હતી.

બે બોક્સ જેટલાં ગંજીફાનાં પાનાં અમદાવાદ : કલબમાં રમવા આવનાર વ્યક્તિ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું પોલીસનું માનવું છે. પોલીસે રેડ કરી ત્યારે મિનરલ વોટરની બોટલો તેમજ નાસ્તાના પડીકા સહિતની વસ્તુઓ પડી હતી જ્યારે કલબમાં પત્તાની અઢળક કેટો પડી હતી. પોલીસે આ ગંજીફાનાં પાનાં ભેગાં કર્યા ત્યારે પાનાંથી બે મોટાં ખોખાં ભરાઇ ગયાં હતાં.

૧૫ કલાકની મહેનત પછી આંકડો મળ્યો

અમદાવાદ : પોલીસે રેડ કરી ત્યારથી લઇને ૧૫ કલાક સુધી સતત કામગીરી ચાલી હતી. જે મુજબ તમામ આરોપીઓ પાસેથી મળી આવેલી રોકડ રકમના કાગળો તેમજ કેસ પેપર તૈયાર કરવામાં મહત્તમ સમય લાગ્યો હતો. પોલીસને તમામ મુદ્દામાલની વિગતો અને ફરિયાદની વિગતો પૂરી કરતા બીજા દિવસે બપોરે ચાર વાગ્યા સુધી કામગીરી કરવી પડી હતી. રેડમાં હાજર તમામ પોલીસ કર્મીની આંખમાં ઊંઘ ઊડીને આંખે વળગતી હતી.

Thursday, August 26, 2010

ભારત ફાઈનલમાં ન્યુઝીલેન્ડ બહાર.

વીરેન્દ્ર સેહવાગના વિસ્ફોટક ૧૧૦ બાદ બોલર્સના શાનદાર પ્રદર્શનની સહાયથી ન્યૂઝીલેન્ડને ૧૦૫ રને મસળી નાખી ભારતે ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. વિજય માટે ભારતે આપેલા ૨૨૪ના લક્ષ્યાંક સામે કિવીઝ ટીમ ૩૦.૧ ઓવરમાં ૧૧૮માં તંબુભેગી થઇ ગઇ હતી. ૯૩ બોલમાં ૧૧૦ રન ફટકારનારા વીરેન્દ્ર સેહવાગને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડે એક સમયે ૫૩ રનમાં જ ૮ વિકેટ ગુમાવી દેતાં ભારતને હજુ વધુ ભવ્ય વિજયની તક હતી. જોકે, કેઇલ મિલ્સે નવમાં ક્રમે આવી ૩૫ બોલમાં ૫૨ રન ફટકારી દેતાં કિવીઝ ૧૦૦નો આંક વટાવવામાં સફળ રહ્યું હતું. આ પરાજય સાથે જ ન્યૂઝીલેન્ડ ત્રિકોણીય શ્રેણીમાંથી બહાર થઇ ગયું છે અને શનિવારે યજમાન શ્રીલંકા સામે ભારતની ટક્કર થશે.  આ મેચમાં કુલ ૧૫ બેટ્સમેન ડબલ ફિગરમાં પહોંચી શક્યા નહોતા.

સેહવાગના ૧૬ ચોગ્ગા, એક છગ્ગા સાથે ૯૩ બોલમાં ૧૧૦ ઃ ૨૨૪ના પડકાર સામે ન્યુઝીલેન્ડના ૧૧૮ ઃ ભારત-શ્રીલંકા વચ્ચે ૨૮ ઓગસ્ટે ફાઈનલ

મેન ઓફ ધ મેચ સેહવાગે ૯૩ બોલમાં ૧૬ ચોગ્ગા અને એક છગ્ગા સાથે ૧૧૦ રન અતિ વિપરીત સંજોગોમાં અને ફાસ્ટ બોલરોને મદદ કરતી પીચ પર બનાવતાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે ૪૬.૩ ઓવરમાં ૨૨૩ રન નોંધાવ્યા હતા. જવાબમાં પ્રવીણકુમાર અને મુનાફ પટેલની ત્રણ-ત્રણ વિકેટો ઝડપતી બોલિંગ સામે ન્યુઝીલેન્ડ ૩૦.૧ ઓવરોમાં ૧૧૮ રનમાં ખખડી ગયું હતું. ભારતે ૬૬ રનમાં ચાર વિકેટો (કાર્તિક ૦, કોહલી ૮, યુવરાજ ૬ અને રૈના ૧) ગુમાવી દીધી હતી. ત્યાર પછી સેહવાગ અને ધોનીએ (૭૫ બોલમાં ૩૮) પાંચમી વિકેટની ભાગીદારીમાં ૧૦૭ રન ઉમેરતા ભારતે વળતી લડત આપી શકે તેવી સ્થિતિ મેળવી હતી.

૨૨૩ રનનો સ્કોર હોઈ ભારતે આ માટે ન્યુઝીલેન્ડની પ્રારંભની વિકેટો ઝડપથી મેળવવી તે જ એક માત્ર વિકલ્પ હતો.૪૨ રનમાં જ ન્યુઝીલેન્ડે છ વિકેટો નાટકીય ધબડકો કરીને ગુમાવતા ભારતનો વિજય નિશ્ચિત થઈ ગયો હતો. પ્રવીણકુમારે પ્રથમ ચારમાંથી ગપ્ટીલ, ટેલર અને સ્ટાઈરિસ એમ ત્રણ વિકેટો ઝડપતા મેચ ભારત તરફી ઔપચારિક બની ગઈ હતી. આખરી બે વિકેટોએ ૬૫ રન ઉમેરતા તેમજ મિલ્સના સાત ચોગ્ગા, ત્રણ છગ્ગા સાથેના ૩૫ બોલમાં ૫૨ રનની મદદથી ન્યુઝીલેન્ડ ૧૧૮ રનના સ્કોરે પહોંચી શક્યું હતું. ભારતે તેની ટીમમાં ચાર ફાસ્ટ બોલરો ઉતાર્યા હતા. ભલે ભારત જીત્યું પણ ફાઈનલમાં શ્રીલંકાને હરાવવા ભારતે બેટિંગ ફોર્મ મેળવવું પડશે. કાર્તિક, કોહલી, યુવરાજ, રૈના, રોહિત શર્મા અને જાડેજાને ટુર્નામેન્ટમાં જ્યારે તક મળી છે ત્યારે નિષ્ફળતા મળી છે.

Friday, August 20, 2010

અમદાવાદ માં રબારી અને ઠાકોર વચ્ચે અથડામણ.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં વીતી મોડી રાત્રે દશામાના ગરબા જોવા નિમિત્તે ઠાકોર તથા રબારીઓ વચ્ચે જૂથ અથડમણ થઈ હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ઘાટલોડિયાના હિરાબાગ ચાર રસ્તા પાસે દશામાના વ્રત પૂર્ણ થવાના પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કેટલાક રબારી યુવકોએ પાણીનો ખાલી જગ હવામાં ઉછાળ્યો હતો. તેથી કમલેશ ઠાકોર નામના વ્યક્તિએ રબારી યુવકોને કહ્યુ કે તેઓ દશામાના ગરબા ચાલેથી તેથી આવી હરકતો ન કરે. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી ઉગ્ર બની હતી અને રબારી યુવકોએ કમલેશ ઠાકોર તથા અન્ય એક વ્યક્તિ સાથે મારઝૂડ કરી હતી. ત્યાર બાદ આ મામલે વધુ માથાકૂટ થતાં રબારી અને ઠાકોર જ્ઞાતિના યુવકો આમને-સામને આવી ગયા હતાં. જૂથ અથડામણમાં પાંચ બાઈક અને એક સાઈકલને આગને હવાલે કરવામાં આવી હતી. ઠાકોર યુવકોનો આક્ષેપ છે કે રબારીઓએ બાઈકો તથા સાઈકલને આગ ચાંપી હતી.

જો કે આ દ્રશ્ય જોઇ કમલેશના સગા સબંધી દોડી આવતા રબારી યુવાનો ભાગ્યા હતા અને નજીકમાં પડેલી બાઈકોની પેટ્રોલની પાઈપો કાઢીને આગ ચાંપી દીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ મચી ગઇ હતી. આ અંગે હરેશભાઇ અંબારામ મેરાજી ઠાકોરની ફરિયાદના આધારે ઘાટલોડિયા પોલીસે ૨૦ થી ૨૫ રબારી યુવાનો વિરુધ્ધ ગુનો નોંધી ચાર જણાંની ધરપકડ કરી છે. જેમાં અમૃત ગોવા રબારી, દિનેશ પ્રભાત રબારી,દેવરાજ શરતાનભાઇ રબારી અને રઘુ ગોવા રબારીનો સમાવેશ થાય છે.

Wednesday, August 11, 2010

કોર્ટ : અમિત શાહની જામીનઅરજીની સુનવણી ૧૭મીએ.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટરકેસમાં અમિત શાહની જામીનઅરજીની સુનાવણી ૧૭મી પર ટળી છે.

છેલ્લા ૧૭ દિવસથી જેલમાં રહેલા અમિત શાહે જામીન મેળવવા માટે સેશન્સ કોર્ટ સમક્ષ અરજી કરી હતી. જેની બુધવારે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન અમિત શાહના એડ્વોકેટ મીતેશ અમીને સ્પેશિયલ સીબીઆઇ જજ જી.કે.ઉપાધ્યાય સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમના સિનિયર એડ્વોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી માટે તેમને જામીનઅરજી બાબતે રજૂઆત કરવા અન્ય તારીખની મુદત આપવી.

અમિત શાહે સીબીઆઇ સ્પેશિયલ કોર્ટમાં જામીન મેળવવા માટે જે અરજી કરી છે, તેની આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જોકે, અરજદારના સિનિયર એડવોકેટ રામ જેઠમલાણી હાજર ન રહેતા આ અરજીની વધુ સુનાવણી ૧૭મી ઓગસ્ટના રોજ યોજાશે તેમ સીબીઆઇ સ્પેશિયલ જજ જી.કે.ઉપાધ્યાયે આદેશ કર્યો છે. આજે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અમિત શાહના એડવોકેટ મિતેશ અમીને રજૂઆત કરી હતી કે, તેમના સિનિયર એડવોકેટ રામ જેઠમલાણી આજે હાજર રહી શકે તેમ નથી, માટે તેમને આવતા અઠવાડિયાની કોઇ પણ તારીખની મુદત આપવી. આ મામલે સીબીઆઇ કોર્ટે સીબીઆઇ એડવોકેટ એઝાઝ ખાન અને રૃબાબુદ્દીનના એડવોકેટને સાંભળી અમિત શાહની રિમાન્ડ અરજી પર ૧૭મી ઓગસ્ટે વધુ સુનાવણી રાખવાનો આદેશ કર્યો હતો.

Friday, August 6, 2010

અમિત શાહ વધુ ૨ દિવસ રિમાન્ડ પર.

સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના માજી ગૃહમંત્રી અમિત શાહના બે દિવસના રિમાન્ડ ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી દીધાં છે. સીબીઆઇ દ્વારા અમીત શાહના રિમાન્ડ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું હતું. આજે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રિમાન્ડ દરમિયાન અમિત શાહની વિડિયોગ્રાફી કરવામાં આવશે નહી.

ચકચારી સોરહાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ ગુજરાતના માજી ગૃહરાજ્યમંત્રી અમીત શાહની ધરપકડ કરી છે. ધરપકડ બાદ સીબીઆઇ દ્વારા અમીત શાહની કોર્ટની મંજુરીથી જેલમાં જ ઓન કેમેરા પુછપરછ પણ કરવામાં આવી હતી પરંતુ જેમાં શાહે પુરતો સહકાર નહિ આપી મૌન ધારણ કરી લેતાં સીબીઆઇ દ્વારા શાહની વધુ પુછપરછ માટે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરાઇ હતી જે અરજી કોર્ટે ફગાવી દીધી હતી.

Monday, August 2, 2010

મેઘરાજ નો કહેર ૨ કલાકમાં ૮ ઇંચ વરસાદ.


અમદાવાદામાં ગઈકાલે પડેલ ભારે વરસાદના પગલે શહેરમાં ભારે વિકટ સ્થિતિ સર્જાઈ હતી. ઠેર ઠેર પાણી ભરાતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અનેક સોસાયટી ઉપરાંત જાહેર માર્ગો પર પણ ગોઠણ સમા પાણી ભરાયા હતા.

જેના કારણે સાંજના સુમારે લાખ્ખો વાહનચાલકોને ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. સેંકડો વાહનો પણ પાણીમાં બંધ પડી જતાં લોકોને વાહનોને ત્યાં જ છોડીને જવાની ફરજ પડી હતી.  બપોરના બે વાગ્યાથી સાંજના ચાર વાગ્યાના બે કલાકના સમયગાળામાં મેમનગર વિસ્તારમાં આઠ ઇંચ વરસાદ વરસતા ચારેબાજુ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી.  મેમનગરમા તો જાણે આભ ફાટયું હોઇ તેવી પરિસ્થિતિ સર્જાતા લોકો ભયભીત બની ગયા હતા. બીજી તરફ રવિવાર અને ફ્રેન્ડશીપ ડેની ઉજવણી માટે નીકળેલા જવાનીયાઓએ ધોધમાર વરસાદનો આનંદ અનોખી રીતે માણ્યો હતો. કેટલાકે ખોટકાઇ પડેલા વાહનોના ચાલકોને મદદ કરી હતી તો ઘણે ઠેકાણે દ્વીચક્રિવાળાની અવળચંડાઇના કારણે મોટરકારવાળા પાણીમાં ફસાઇ ગયા હતા.

Friday, July 30, 2010

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ : ફિલ્મ રિવ્યૂ


કલાકાર : અજય દેવગણ, ઇમરાન હાશમી, કંગના રાણાવત, પ્રાચી દેસાઇ, રણદીપ હૂડા


દિગ્દર્શન : મિલન લૂથરિયા


રેટિંગ :  ૪/૫

સ્ટોરી : ફિલ્મ 1970ના સમયની યાદ તાજી કરાવે છે, જ્યારે સ્મગલિંગ સાવ ધૃણાસ્પદ કાર્ય ગણાતું હતું અને પરોપકારી ડોન સુલતાન મિર્ઝા(રેફરન્સ:હાજી મસ્તાન) તે સમયે માફિયા કિંગ હતો. ફિલ્મ કીર્તિવંત રોબિન હૂડની આકૃ્તિમાં મુંબઈમાં ડોન સુલતાનનો ઉદય અને તેનું આધિપત્ય દર્શાવે છે. સાથે સુલતાનના તેના સૌથી મોટા પ્રશંસક શોએબ ખાન(રેફરન્સ:દાઉદ ઇબ્રાહીમ) સાથેના સંબંધોનું ચિત્રણ છે, જ્યાં બાદમાં શોએબ સુલતાનનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. શોએબ એક ગેંગસ્ટર તરીકે સુલતાનના ગ્રુપમાં જોડાય છે, જેની પાછળ તેનો આશય સુલતાનની સત્તા પચાવી પાડવાનો અને તેના કરતા વધારે સારું રાજ કરવાનો હોય છે. અહીંથી જ મુંબઈમાં ભયંકર ગુનાઓ, ગેંગવોર, શૂટ આઉટ, આતંક શરૂ થાય છે.

મૂવી રીવ્યૂ : તમે 'સત્યા' જોઇ છે અને તમને તે ગમી છે, તમને 'કંપની' પણ પસંદ પડી છે, તેમજ 'બ્લેક ફ્રાઇડે'નો સ્વાદ પણ તમારી જીભને ગમ્યો છે, તમે મુંબઈના અંડરવર્લ્ડ વિશે ઘણું વાંચ્યું પણ હશે તેમ છતાં જો તમને થતું હશે કે હજુ કંઇક વિશેષ જાણવા મળે તો સારું, તો તમારા શ્વાસ થામીને બેસો, કારણ કે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' તમને અંડરવર્લ્ડના અનેક રંગોથી પરિચિત કરાવશે.

ફિલ્મ મુંબઈની સૌથી જાણીતી ક્રાઇમ સ્ટોરીથી રીઓપન થાય છે જેમાં હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમના ઉગ્ર સંબંધો દર્શાવવામાં આવે છે. જો કે ફિલ્મ રીયલ લાઈફ કરતા થોડી વધારે ઉગ્રતા સાથે શરૂ થાય છે. તેમ છતાં તેની તીવ્રતા દર્શકોને સીટ પર જકડી રાખવા માટે પુરતી છે.  

ડિરેક્ટર મિલન લુથરિયાએ તેમની ફિલ્મને માત્ર બંદૂકની ગોળીઓથી લથબથ કરવાની જગ્યાએ તેને ઇમોશનલ ટચ આપવાનો પ્રયોગ પણ કર્યો છે, કદાચ ફિલ્મની મજબૂત પકડનું આ મુખ્ય કારણ છે. ફિલ્મમાં ઓછા હિંસક દ્રશ્યો અને વધારે ઇમોશનલ સરવાળા બાદબાકી જોવા મળે છે. જેમ કે સુલતાન મિર્ઝા(અજય દેવગણ) અન્ડરવર્લ્ડમાં તેના શહેનશાહિયત મોભાથી તેની નવી ટીમના બદમાશ સભ્ય શોએબ ખાન(ઇમરાન હાશમી)ને કાબૂમાં રાખે છે. અને અહીં રજત અરોરાની ડાયનેમિક સ્ક્રીપ્ટ કામ કરી જાય છે. જે ફિલ્મના બે મુખ્ય પાત્રો વચ્ચેના કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એક તરફ જ્યાં સુલતાન મજબૂત નૈતિક મુલ્યો સાથે ચાલનારો બદમાશ છે ત્યાં બીજી તરફ શોએબ નીતિહીન અને મુલ્યોમાં નહીં માનનારો માણસ છે. શોએબ દરેક પ્રકારના દુષ્કૃત્યો પર હાથ અજમાવવા તૈયાર હોય છે, જેમ કે ગેંગ વોર, આતંક, લૂંટફાંટ, લોહીની નદીઓ વહેવડાવવી વગેરે. જાણે તેણે તેની આ હિંસક ક્રિયામાં ભગવાન શોધી લીધા હોય તેમ તે વર્તવા લાગે છે.  "મુંબઈ મેરે નીચે ઓર મેં ધુંએ કી તરહ ઉપર", આ ડાયલોગ જેવી તેની જિંદગી હોય છે. તમામ અનૈતિક કાર્યો તેના જીવનનો ભાગ બની જાય છે. જાણે તે મુંબઈ શહેરને તેના હાથમાં પકડેલા રીમોટ કન્ટ્રોલ દ્વારા જ ચલાવવા લાગે છે. પણ આ બધું બહું લાંબુ નથી ચાલતું.

મહત્વની વાત એ છે કે ફિલ્મમાં સુલતાનના પાત્રને વધારે પડતું ચિતરવામાં નથી આવ્યું, એટલે કે વાસ્તવિક જીવનમાં તેનો જે રોલ હતો તેના કરતા ફિલ્મમાં થોડું પણ વધારે દર્શાવવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો. ફિલ્મમાં તેની નૈતિક પહોંચને જાળવી રાખવામાં આવી છે સાથે સાથે ફિલ્મમાં એક ક્રિમિનલ તરીકેના તેના સર્વોત્કૃષ્ટ પાત્રની સીક્વન્સ પણ જળવાય છે.

અંડરવર્લ્ડની દુનિયા સાથે સંકળાયેલા આ પાત્રોના જીવનમાં હિંસક કર્મોની સાથે પ્રેમ પણ જોડાયેલો છે. આ બંને ગુનેગારોના જીવનમાં સુંદર સ્ત્રીઓ પણ છે. સુલતાન હિરોઇન રેહાના(કંગના રાણાવત) સાથે પ્રેમમાં છે, જે ઓન સ્ક્રીન યાદગાર લાગણીઓની સુગંધ છોડી જાય છે. જ્યારે શોએબ તેની શરમાળ શૉરૂમ ગર્લ મુમતાઝ(પ્રાચી દેસાઇ) સાથે જોવા મળે છે.

'લવ સેક્સ ઓર ધોકા'ના પ્રયોગ બાદ પ્રોડ્યુસર એકતા કપુર ફરી એકવાર એક સંપૂર્ણ એન્ટરટેનર મૂવી આપવામાં સફળ રહી હોય તેવું કહી શકાય. ફિલ્મમાં રસપ્રદ સ્ટોરી છે, વ્યવસ્થિતિ અને અસર છોડનારા સંવાદો છે, પ્રિતમનું સંગીત પણ સારું છે. અને સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન ન થાય તેવા કેટલાક પાત્રોનો અભિનય દર્શકોને સંતોષ કરાવશે. અજય દેવગણ અને ઇમરાન હાશમીએ તેમના ગેંગસ્ટર્સના પાત્રોને પુરતો ન્યાય આપ્યો છે. અભિનયની દ્રષ્ટિએ તેમના પાત્રો આ વર્ષના સૌથી સારા પાત્રો તરીકે યાદ રખાશે. જ્યારે કંગના રાણાવત અને પ્રાચી દેસાઇ પણ ગેંગસ્ટરની વેશ્યા તરીકે આબેહૂબ ઉપસી આવે છે. વધુમાં મુખ્ય પોલીસ તરીકેનું પાત્ર ભજવનાર રણદીપ હૂડા અને સુલતાનના વફાદાર મદદનીશ નાવેદ એહમદના પાત્રો પણ જોવાલાયક છે. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' તમને જરૂરી મસાલો પણ પુરો પાડે છે અને ઇમોશન્સની વચ્ચે ફિલ્મ ચેતનાનો સંચાર પણ કરે છે. ફિલ્મ એકવાર તો જવી જ રહી.
અભિનય : અજય દેવગણ અને ઇમરાન હાશમીનો અભિનય આઇ કેચી છે. કહી શકાય કે આ પહેલા તેમનો આવો અભિનય ક્યાંય જોવા નથી મળ્યો. કંગના અને પ્રાચીના અભિનયને પણ દાદ દેવી ઘટે.

વાર્તા : રજત અરોરાએ હાલના સિનેમાને ધ્યાનમાં રાખીને ડ્રામા જીવંત રહે તેવા પુરા પ્રયત્નો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યા છે.

સંવાદો : અદ્ભૂત, કદાચ ઘણા લાંબા સમય બાદ તમને ઓન સ્ક્રીન કેટલાક સારા સંવાદો આ ફિલ્મના માધ્યમ દ્રારા સાંભળવા મળશે.

સિનેમેટોગ્રાફી : અસીમ મિશ્રા પ્રેમ અને ભૂતકાળના સમન્વય સાથે ઘણી સારી રીતે ફિલ્મમાં જૂના મુંબઈનું ચિત્ર ઉપસાવવામાં સફળ રહ્યા છે.

સંગીત : પ્રિતમે કેટલાક સારા ટ્રેક્સ આપ્યા છે. ખાસ કરીને 'પી લૂં...'

સ્ટાઇલ : ફિલ્મમાં 1970ની ફેશનને જીવંત કરવામાં આવી છે. ખાસ કરીને તમને ફિલ્મમાં પ્રાચી દેસાઇના વસ્ત્રોમાં 'બોબી'ની ડિમ્પલ કાપડિયાની સ્ટાઇલ જોવા મળશે. 

પ્રેરણા : 1970નું મુંબઈનું અંડરવર્લ્ડ.

Thursday, July 29, 2010

સીબીઆઈનું ગીથા જોહરીને સમન્સ : શોહરાબુદ્દીન કેસ


સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના એક પછી એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પુછપરછ કરી રહેલી કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે હાલમાં રાજકોટ પોલીસ કમિશનરના પદે ફરજ બજાવી રહેલા ગીથા જોહરીને આ કેસ અંગે સમન્સ પાઠવ્યું હતું જેમાં તેમને 10 ઓગષ્ટે સીબીઆઈ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જોહરીએ આ કેસની જ્યારે સીઆઈડી તપાસ કરી રહી હતી ત્યારે તેની આગેવાની કરી હતી અને આ અગાઉ પણ જોહરીની સીબીઆઈ આ કેસમાં બેવાર પુછપરછ કરી ચુકી છે.

બીજી તરફ શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમા સીબીઆઈએ બુધવારે મોડી સાંજે રાજયના પૂર્વ ડીજીપી પી.સી.પાંડેને હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હોવાની વિગતો સીબીઆઈ સૂત્રો પાસેથી જાણવા મળી હતી. તેમને ૧૧ ઓગસ્ટે હાજર થવા ફરમાન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, શોહરાબુદ્દીન કેસમાં પી.સી.પાંડેને પહેલીવાર સમન્સ પાઠવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સૌપ્રથમવાર શોહરાબુદ્દીન કેસની તપાસ સોંપાઈ તે સમયે સીઆઈડી ક્રાઈમના એડિ.ડીજી જી.સી.રાયગરના માર્ગદર્શન હેઠળ ગીતા જોહરી દ્વારા તપાસ કરાઈ હતી. આ તપાસના પહેલા જ એકશન ટેન રિપોર્ટમાં એન્કાઉન્ટર ફેક હોવાનું બહાર આવી ગયું હતું. તે પછી ઉચ્ચ સ્તરેથી તપાસને આડે પાટે ચઢાવવાની કામગીરી અને કેસમાં દખલગીરી શરૃ થઈ ગઈ હતી.

આ દરમિયાનના સમયગાળામાં ૩૦ જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે રાજ્યના તે સમયના ડી.જી.પી. પી.સી.પાંડે, શોહરાબ કેસની તપાસ કરી રહેલાં ગીતા જોહરી અને સીઆઈડીના ડી.જી. જી.સી.રાયગર વચ્ચે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં શોહરાબુદ્દીન કેસ સંદર્ભે ચર્ચા કરી અમુક કેસને નુકસાન પહોંચાડવાનો નિર્ણય કરાયો હતો.

જો કે, મિટીંગમાં શું ચર્ચા કરાઈ હતી તે અંગેની તમામ વિગતો સીબીઆઈને મળી ગઈ છે. પરંતુ રાજયના ડીજીપી તરીકે પી.સી.પાંડે પણ આ મિટીંગમા હાજર હતા અને સીબીઆઈ તેમની પાસેથી જ મિટીંગમાં શું ચર્ચા થઈ હતી તે અંગેની વિગતો જાણવા ઈચ્છે છે અને આ જાણવા માટે જ તેમને સમન્સ પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Tuesday, July 27, 2010

અમિત શાહના વકીલ ને ચાર્જશીટ અપાઈ.

સોરાબ બોગસ એન્કાઉન્ટર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આઈ.પી.એસ. અધિકારી ડો. એન.કે. અમીને આજે સીબીઆઈ કોર્ટમાં તાજના સાક્ષી બનવા માટેની અરજી કરતાં ભૂતપુર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમીત શાહની મુશ્કેલીઓમાં વધારો થવાના સંકેતો મળ્યા છે. દરમિયાન, અમિત શાહના જામીન માગતી અરજી પણ આજે કોર્ટમાં દાખલ થઈ છે. આ અરજી સાથે દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઔરામ જેઠમલાણી અદાલતમાં હાજર થયા હતા. જેની સુનાવણી બીજી ઓગસ્ટે થશે.

અજય પટેલ, યશપાલ ચુડાસમા સામે ધરપકડ વોરન્ટ જી.સી. રાયગરની સઘન પૂછપરછ કરતી સીબીઆઇ

તા. 25 જુલાઇ રવિવારના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કોર્ટમાં તા. 24ના રોજ ફાઈલ કરવામાં આવેલી 30000 પાનાની ચાર્જશીટ આજે અમિત શાહના વકીલ મિતેષ અમિનને સોંપવામાં આવી હતી.

આ તરફ વરિષ્ઠ વકીલ અને ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ચાર્જશીટની વિગતો મીડિયામાં લીક થવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.

જેઠમલાણીએ કહ્યું હતું કે, આરોપીને ચાર્જશીટ નથી મળી પરંતુ મીડિયાને તેની માહિતી મળી ગઇ છે અને આ બધુય સીબીઆઈ દ્વારા ગોઠવાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટને લગતા સમાચાર અખબારોમાં દરરોજ આવે છે પરંતુ શાહને હજુસુધી તેની કોપી આપવામાં આવી નથી.

સીબીઆઈ પર વધારે આરોપો મુકતા જેઠમલાણીએ કહ્યું હતું કે આ સીબીઆઈનો દુરઉપયોગ છે અને હું તેની નિંદા કરૂં છું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે ચાર્જશીટની કોપી શાહને આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય જેઠમલાણી રાજ્યસભામાં સોગંદવિધી પુરી કરીને ગઇકાલે તાત્કાલિક શાહનો કેસ જોવા અમદાવાદ આવ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પુછપરછનો કોઇ વાંધો નથી પરંતુ સીબીઆઈ દ્વારા કરાયેલી પુછપરછનું રેકોર્ડિંગ કરવામાં આવે.

Thursday, July 22, 2010

અમિત શાહને સમન્સ : આવતીકાલ સુધીમાં હાજર થવું.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને સીબીઆઇ દ્વારા આજે બપોરે બીજી વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ અમીત શાહના કોઈ સગડ મળ્યા નથી. તેઓ સીબીઆઇ સમક્ષ આવતીકાલ બપોર સુધીની આપવામાં આવેલી સમય મર્યાદા સુધીમાં હાજર થશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી પ્રાપ્તથઈ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે સવારે અમીત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન, ગાંધીનગર સ્થિત મંત્રી બંગલો અને સચિવાલય ખાતેના તેમના કાર્યાલય પર સીબીઆઇના અધિકારીઓ રૂબરૂ જઈને સમન્સ પહોંચાડી આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સીબીઆઇ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી છે અને આ એન્કાઉન્ટરમાં સીબીઆઇ તેમની પૂછપરછ કરવા માંગે છે.

અત્રે નોંધનીય છે કે આ મામલે સીબીઆઈની એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે તથા ત્યાના એક દિગ્ગજ મંત્રીની પણ ધરપકડ થવાની શક્યતા છે.

Wednesday, July 21, 2010

હાઇવે હાઇકોર્ટ ની સામે અમિત જીતવા ની હત્યા.

અમદાવાદમાં હાઈકોર્ટની સામે આવેલા બિલ્ડીંગના પાર્કિંગ પાસે ગિર નેચર યુથ કલબના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. સત્યમેવ કોમ્પલેક્સમાં વકીલને મળી પોતાની જીપ્સી કારમાં બેસવા જતા અમિત ઉપર બાઈક ઉપર આવેલા બે શખ્સોએ પાછળથી ફાયરિંગ કર્યું હતું. અમિત જેઠવાએ પ્રતિકાર કરતા બે હુમલાખોરો બાઈક અને એક તમંચો છોડી પલાયન થઈ ગયા હતા. સાયોના સિટી તરફ દોડીને નાસેલા હુમલાખોરોને પકડવા પોલીસે નાકાબંધી કરી છે. ગિરના જંગલમાં સિંહ અને પર્યાવરણની રક્ષાના નામે લડત આપતા અને અમુક વખત ચર્ચાસ્પદ બનેલા અમરેલી જિલ્લાના ખાંભાના વતની અમિત જેઠવાની હત્યાના કારણ અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. હાઈકોર્ટ સામે ફાયરિંગ કરી હત્યાના બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચમાં દોડધામ મચી ગઈ છે.

વકીલને મળી જીપ્સીમાં બેસવા જતા અમિત જેઠવા પર ફાયરિંગ પ્રતિકાર કરતા બે હુમલાખોરો બાઈક અને તમંચો છોડીને પલાયન

અમરેલી જિલ્લાના ખાંભાના વતની અને છેલ્લા પંદરેક વર્ષથી ગિર નેચર યુથ કલબના નામે ગિરના જંગલમાં પર્યાવરણ અને સિંહની રક્ષા માટે સક્રિય બનેલા અમિત પી. જેઠવા (ઉ.વ. ૩૩) છેલ્લા એકાદ વર્ષથી અમદાવાદના ઘાટલોડીયાના વિશ્વાસ સિટી-૨માં સ્થાયી થયા હતા. પર્યાવરણ અને સિંહોના મુદ્દે અનેક રિટ કરનાર અમિત જેઠવા આજે રાતે હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સમાં બીજા માળે વકીલ વિજય નાગેશને મળવા ગયા હતા.

રાતે પોણા નવ વાગ્યાના અરસામાં વકીલની ઓફીસમાંથી નીકળી પ્રથમ માળે કાગળોની ઝેરોક્સ કરાવી કોમ્પલેક્સના કોર્નર ઉપર પાર્ક કરેલી જીપ્સીમાં બેસવા જતા હતા. ડ્રાયવર સીટનો દરવાજો ખોલ્યો ત્યાં બાઈક ઉપર બે શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું. પીઠમાં ગોળી વાગવા છતાં અમિત જેઠવાએ હૂમલાખોરો ઉપર તરાપ મારી હતી. ઝપાઝપી થતાં હુમલાખોરો બાઈક અને એક તમંચો છોડી નાસ્યા હતા. હુમલાખોરો સત્યમેવ કોમ્પલેક્સના ખૂણેથી સાયોના સિટી તરફ જતા રસ્તે ભાગ્યા હતા.

આ અંગે તરત જ સ્થળ પર પહોંચેલા સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. કુંડલિયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમીત જેઠવાના હાથ પણ પોતાના લોહીવાળા થયા અને એવા જ હાથે ઝપાઝપી કરી હોવાથી નાસી ગયેલા હુમલાખોરોમાંથી એકના શર્ટ પર લોહીના ડાઘ પડયા હોવાનું પોલીસ માની રહી છે. મૃતદેહને તત્ત્કાળ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જે અંગે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ કરવામાં આવી રહી છે. પોલીસને બાઈક નીચેથી એક તમંચો પણ મળ્યો છે. છેલ્લે મળેલી માહિતી મુજબ, આરોપીઓ જે તરફ નાસ્યા ત્યાં પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરેલી તપાસમાં ૧૨ બોરના બે જીવતા કારતૂસ પણ મળ્યા હતા.

હાઈકોર્ટની સામે જ બનેલી ઘટનાની ગંભીરતા જોઈ સેક્ટર-૧ના જેસીપી સતીષ શર્મા, ઝોન-૧ના ડીસીપી બી.કે. ઝા અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Monday, July 19, 2010

સીએના પરિણામમાં ભારતમાં ત્રીજો ક્રમ લાવનારો અમદાવાદ નો અર્ચિત શાહ.

અમદાવાદમાં રહેતા ૨૨ વર્ષના અર્ચિત અતુલભાઈ શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના ઓલ્ડ કોર્સની ફાઈનલ પરીક્ષાના પરિણામમાં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહેલા અર્િચતે બીજી વાર બમણી મહેનત કરી ૮૦૦માંથી ૪૪૯ ગુણ મેળવવાની ઝળહળતી સિદ્ધિ મેળવી છે.

બીબીએ કરી રહેલા અર્િચતે જણાવ્યું હતું કે ‘સખત મહેનત, શ્રદ્ધા અને નસીબે આપેલા સાથથી મને આજે સારી સફળતા મળી છે. પ્રથમ પ્રયાસ વખતે મેં કોચિંગ લીધું હતું પણ મને સફળતા મળી ન હતી. જોકે મેં નિરાશ થવાના બદલે રેન્ક સાથે પાસ થવાના ઈરાદા સાથે બમણી મહેનત કરી હતી. મને આશા ન હતી કે મારો આટલો ઊંચો રેન્ક આવશે જ. પ્રથમ પ્રયાસમાં રહેલી ખામીઓ શોધી મેં આઠ વિષયની તૈયારી માટે સમય ફાળવ્યો હતો. સફળતા માટે  ફેરફારો સાથે અપડેટ રહેવું અને બુદ્ધિશક્તિનો ઉપયોગ મહત્ત્વનો હોય છે. આ માટે રેફરન્સનો મહત્તમ ઉપયોગ અને પેપર સોલ્વ કરવાથી ફાયદો રહે છે.’ ભાવિ પ્લાનિંગ અંગે અર્િચતે કહ્યું કે ‘પહેલાં કોર્પોરેટ ફાઈનાન્સ કંપનીમાં અનુભવ લેવા માંગુ છું, અને ત્યાર પછી થોડા વર્ષ પછી બિઝનેસ શરૃ કરવાનું પ્લાનિંગ છે.’

સુરતની દીપ્તિ બંકાએ સીએ ફાઇનલના નવા કોર્સમાં ૮૦૦માંથી ૫૧૭ માર્ક મેળવી સમગ્ર ભારતમાં ચોથો ક્રમ પાપ્ત કર્યો છે. પરિણામથી અત્યંત ખુશ દીપ્તિએ જણાવ્યું હતું કે એકાદ ઘટનાથી જીવન ડગુમગુ થવું જોઈએ નહીં અને મારા કપરા દિવસોમાં પરિવારજનોએ મને આપેલું પ્રોત્સાહન આજે આ સ્તરે લઈ આવ્યું છે અને હવે નોકરી કરવી છે.  સીએ ફાઈનલમાં ૨૦મો ક્રમ મેળવનાર રાજકોટના તેજસ રૃપાણીએ ન્યુ કોર્સમાં ૮૦૦માંથી ૪૭૩ ગુણ મેળવ્યા છે. તેજસનું કહેવું છે કે ‘પ્રથમ પ્રયાસે જ સફળતા મેળવવાનું કારણ એટલું જ કે હું કોઈ દબાણમાં રહેતો ન હતો. દિવસમાં મહત્તમ ૧૦ કલાક અભ્યાસ કરતો. ખાસ કરીને તમને ટ્રેઇનિંગમાં જે પ્રેક્ટિકલ જ્ઞાાન મળે છે તે મહત્ત્વનું બની રહે છે.’ તેજસ હવે જોબ કરીને અનુભવ મેળવ્યા પછી સીએ પ્રોફેશનલ બનવા માંગે છે.

પ્રેક્ટિકલ પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછાતાં પરિણામ ઘટ્યું

સી.એ. ઇન્સ્ટિટ્યૂટ વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનના ચેરમેન સીએ નિરેન નાગોરી કહે છે કે, ‘સીએ ફાઇનલની પરીક્ષાના પ્રશ્નોનું માળખું બદલાયું હોવાથી પરિણામ પર વપિરીત અસર પડી છે. અગાઉ પેપરમાં થિયરેટિકલ પ્રશ્નો પૂછાતા હતા. હવે પ્રેક્ટિકલ પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછાતા હોવાથી પરિણામમાં ઘટાડો થયો હોવાનું માની શકાય તેમ છે.’

Sunday, July 18, 2010

વરસાદી વાતાવરણથી લોકો પરેશાન

વરસાદ ની ભર્યું વાતાવરણ હોવા છતા વરસાદ પડતો ન હોવાથી લોકો ખુબજ ત્રાહિમામ થઇ ગયેલા જોવામળે છે.ખાલી અમદાવાદમાં જ વરસાદ નથી બાકી બધે સારો વરસાદ પડી ગયો છે.

અમદાવાદમાં અડધો જુલાઇ મહિનો વીતી ગયો હોવા છતાં હજુ વરસાદ ક્યાંય દેખાતો નથી. છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી વાતાવરણ લોકોને અકળાવી રહ્યું છે. વરસાદ હમણા તૂટી પડશે તેવી ઉત્સુકતા લાવ્યા બાદ વાતાવરણમાં તરત જ ઉઘાડ નીકળી જાય છે. બીજી બાજુ વરસાદ આવતાં પહેલા વાતાવરણમાં પ્રવર્તી રહેલા ભેજના કારણે લોકોને મૂંઝારો થઇ રહ્યો છે.

બે દિવસથી વાદળો છવાય છે પણ વરસાદ નથી આવતો :બપોરે કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટું

જુલાઇ માસ અડધો વીતી ગયો છતાં શહેરમાં હજુ સુધી માત્ર ૬.૬૮ ઇંચ જ વરસાદ પડયો છે. છેલ્લા બ દિવસથી શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે પણ વરસાદ દેખાતો નથી. આજ બપોરે શહેરમાં ઝાપટું તૂટી પડયું હતું જેમાં માત્ર ૧.૬૫ મીમી વરસાદ પડયો હતો. આ વરસાદ ઇંચનો દસમો ભાગ પણ નહોતો. છેલ્લા બે દિવસમાં શહેરમાં એક પણ ઝોનમાં પા ઇંચ પણ વરસાદ પડયો નથી. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ ્અને સૂરજદાદા સંતાકૂકડી રમી રહ્યા છે. શહેરમાં માત્ર તુટક ઝાપટાં લોકોને અકળાવી રહ્યા છે. ભર ચોમાસે લોકોને વરસાદની રાહ જોવી પડી રહી છે.

ભેજના કારણે બ્લડપ્રેશર, ડાયાબીટીશ અને ભારે શરીર ધરાવતાં લોકોને ભારે મૂંઝવણ થઇ હતી. આખો દિવસ અકળાવનારા વાતાવરણને લીધે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. શહેરમાં ઝાપટું આવી ને ગયા બાદ તરત જ તડકો નીકળતા શહેરમાં થયેલો કાદવકિચડ સૂકાઇ જાય છે. જેને લીધે શહેરમાં ધૂળ ખૂબ ઊડી રહી છે. ધૂળના કારણે અસ્થમાના દર્દીઓને પરેશાની થઇ રહી છે. ભારે ગરમી સહન કર્યા બાદ હવે ્અમદાવાદીઓને ભેજ સહન કરવાનો વારો આવ્યો છે. લોકો હવે ધોધમાર વરસાદ આપવા માટે વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.

Friday, July 16, 2010

અમદાવાદમાં ૭૯ પાર્ટી પ્લોટો સીલ : ગેરકાયદે બાંધકામ ને પાર્કિંગ ને લીધે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ૭૯ પાર્ટી પ્લોટને સીલ મારતાં પાર્ટી પ્લોટના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨ પ્લોટ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૪ પાર્ટી પ્લોટને સીલ કરાયા છે. ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગની સુવિધા વિનાના પાર્ટી પ્લોટને સીલ મારવાની ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે અને બે-ત્રણ દિવસમાં આ કાર્યવાહી પૂરી કરાશે.

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨ અને મધ્ય ઝોનમાં ૪ પાર્ટી પ્લોટ સીલ કરાયાઃ પાર્ટી પ્લોટના સંચાલકોમાં ફફડાટ

છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીપ્લોટ્સ સીલ કરવા માટે વિચારણા ચાલી રહી હતી. રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્ત મળી શક્યો નહોતો, તેથી શુક્રવારે પોલીસ બંદોબસ્ત મળતાં જ જુદા જુદા ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતાને પાર્ટીપ્લોટ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવા ડે. કમિશનર તરફથી આદેશ આપવામાં આવ્યો હતો.

પાર્ટીપ્લોટ્સ ઉપર ત્રાટકવાનો આદેશ મળતાં જ પશ્ચિમ ઝોનમાં ૩૨, નવા પશ્ચિમ ઝોનમાં ૧૦, ઉત્તર ઝોનમાં ૧૦, દક્ષિણ ઝોનમાં ૧૩, પૂર્વ ઝોનમાં ૧૦ અને મધ્ય ઝોનમાં ચાર મળી કુલ ૭૯ પાર્ટીપ્લોટને સીલ મારી દેવામાં આવ્યાં હતાં. દરેક ઝોનમાં એસ્ટેટ ખાતાના અધિકારીઓએ દબાણની ગાડીઓ તથા કર્મચારીઓના કાફલા સાથે સવારથી જ પાર્ટીપ્લોટ સીલ કરવાનું શરૂ કર્યું હતું. જે પાર્ટીપ્લોટને સીલ કરવાના બાકી છે તેને આવતીકાલે અને રવિવારે પણ કાર્યવાહી ચાલુ રાખી સીલ મારી દેવાશે. મ્યુનિ. દ્વારા પાર્ટીપ્લોટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાતાં સંચાલકો એકત્ર થઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો અને એક તબક્કે મ્યુનિ. કર્મચારીઓને માર પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

કયા ઝોનમાં કયો પાર્ટીપ્લોટ સીલ કરાયો ?

મધ્ય ઝોન : (શાહીબાગ- ગિરધરનગર) રાણી શક્તિ સેવા સમિતિ, પંચાલ મિલન મંદિર, મહેશ્વરી સેવા સમિતિ, ઘાસીરામ ચૌધરી હોલ

પૂર્વ ઝોન :  (નિકોલ, ઓઢવ, ભાઇપુરા, રાજપુર) જીવણવાડી, ભગવતી મેરેજ હોલ, કમલપૂજા, બળિયાદેવ, દદુ પાર્ટી પ્લોટ, તિલક પાર્ટીપ્લોટ, પ્રિયા પાર્ટીપ્લોટ, પાર્શ્વનાથ જૈન ભવન, પાયલ તથા ગોવર્ધન પાર્ટીપ્લોટ

દક્ષિણ ઝોન : (બાગે ફિરદોસ, વટવા, ઇસનપુર)- શ્રી મનમંદિર ફાર્મ પાર્ટીપ્લોટ, કરણ કમલેશ, શ્રીરામ પાર્ટીપ્લોટ, વૃંદાવન- બંસીધર અને મંગલદીપ પાર્ટીપ્લોટ, ભરત, શકરીબા, જલારામ તથા રાધાકૃષ્ણ પાર્ટીપ્લોટનો તેમજ નાથાભાઇ તેમજ મહાશક્તિ પાર્ટીપ્લોટ અને પાલખી ફાર્મ

નવા પશ્ચિમ ઝોન : (વેજલપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચેનપુર, ગોતા)- વિવેકાનંદ, સૂર્યા તથા કે.કે. નગર પાર્ટીપ્લોટ, વિવાહ, બૂટભવાની તેમજ ઉમિયા પાર્ટીપ્લોટ તથા અમિરાજ અને અવનિ પાર્ટીપ્લોટ ઉપરાંત ડી.એસ. ફાર્મ તથા ક્રિષ્ણા ફાર્મ પાર્ટીપ્લોટળ

પશ્ચિમ ઝોન : (ભૂયંગદેવ, સોલારોડ, નારણપુરા, મેમનગર) સહેલી, મંગળતીર્થ, લાડલી તથા પૂજન પાર્ટીપ્લોટ, ઉત્સવ, શૃંગાર સ્વાગત, અમૃતબાગ તથા અંબિકા પાર્ટીપ્લોટ, ભૂમિ, શ્રીપદ, મનોરમા (કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર) તથા કનક, અતિથિ અને પાર્થ પાર્ટી પ્લોટ, સાજન, આતિથ્ય, પાયલ, હર્ષ, આશીર્વાદ, સુહાગ, અક્ષર અને સોપાન પાર્ટીપ્લોટ, મંગળા ફાર્મ પાર્ટીપ્લોટ, સપ્તક (વિવેક પ્રહલાદભાઈ પટેલ-ભાજપ), સિંદૂર તથા પૂજા પાર્ટી પ્લોટ અને અર્ચના, કેશવબાગ, શકમ્બા, ચંદ્રગુપ્ત તથા માનવમંદિર પાર્ટીપ્લોટ

ઉત્તર ઝોન : (કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર) - ગુલશન પાર્ટીપ્લોટ, પ્લેઝર, પિકનિક, અવસર, રિસર્જન પાર્ટીપ્લોટ તથા શ્રીમતી હરદેવી, શાંતિ પ્રસાદ તથા ગણેશ, મધુસંબંધ અને ખોડિયાર પાર્ટીપ્લોટ

અમદાવાદ એરપોર્ટ માં નવું ટર્મિનલ.

અમદાવાદ માં ડોમેસ્ટીક ટર્મિનલ તો અપડે જોયું હશે પણ એની સામે નવું ટર્મિનલ બન્યું જે ખુબજ દયાન કેન્દ્રિત કરે તેવું છે.

અમદાવાદ એરપોર્ટના નવા ટર્મિનલ -૨નું ડિઝાઈન ખૂબ જ અધ્યતન સ્ટાઇલનું હોવાથી મુસાફરો ઉપરાંત તેમને લેવા કે મુકવા આવતાં લોકોને ઘણી રાહત થશે. આ નવું ટર્મિનલ સંપૂર્ણપણે કાચથી બનેલું હોવાથી અંદર પ્રવેશનારી દરેક વ્યક્તિ રન-વેના સીધા ‘દર્શન’ કરી શકશે.

હાલ ચાલતા ઇન્ટરનેશનલ ટર્મિનલમાં રન-વેથી વિમાનોની અવરજવર જોવા માટે વ્યુઅર્સ ગેલેરીમાં જવું પડે છે અને તેના માટે રૂ. ૬૦ની ટિકિટ લેવી પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ટર્મિનલ-૨માં પ્રવેશ ફી તો રાખવામાં આવશે. પરંતુ તે કેટલી હશે તે હજુ નક્કી થયું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે રન-વેથી અવરજવર કરતા વિમાનો જોવાનો લ્હાવો ટર્મિનલમાં પ્રવેશતી દરેક વ્યક્તિ સરળતાથી લઇ શકશે.

Thursday, July 15, 2010

ભારતીય નાણું રૂપિયા ને મળી નવી ઓળખ.

ભારતીય રૂપિયો હવે ડોલર, પાઉન્ડ સ્ટર્લિંગ, યૂરો અને યેન જેવા ચલણોની કલબમાં સામેલ થઇ જશે, જેને પોતાનું આગવું પ્રતિક ચિન્હ મળી ગયું છે. રૂપિયાનું ચિહ્ન નક્કી કરવા માટે પાંચ સભ્યોની પેનલે આઇઆઇટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડી.ઉદયકુમારના સિમ્બોલને શોર્ટલિસ્ટમાંથી પસંદ કર્યું છે અને તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય કેબીનેટની યોજાનાર બેઠકમાં આ સિમ્બોલને મહોર લાગી જાય તેવી શક્યતા છે.

પાંચ સભ્યોની જજ પેનલે રૂપિયા માટે ચિન્હને જુદા જુદા ચિન્હોમાંથી સિલેક્ટ કર્યો છે. આ ડિઝાઈન આઈઆઈટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડી. ઉદય કુમાર દ્વારા મોકલાવામાં આવી હતી. સભ્યોએ આ ડિઝાઈન એપ્રુવલ માટે કેબિનેટની મોકલી છે જેના પર ફાઈનલ મહોર લાગી જવાની તૈયારીમાં છે.

ઉદય કુમારે આ ચિહ્નની ડિઝાઈન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારો સિમ્બોલ ભારતના ત્રિરંગા ઉપર આધારિત છે જે સિમ્બોલની ઉપરની બે લાઈન દ્વારા દર્શાવાય છે. જેથી રૂપિયાના સિમ્બોલમાં ભારતીય ધ્વજની ઝાંખી થાય. જ્યારે ભારતીય અને રોમન ભાષાનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ R અને દેવનાગરી ‘ર’ એમ બંનેમાં ‘રૂપિયા’ના પ્રથમ અક્ષર તરીકે પ્રસ્તુત કરે છે. જે ભારતીય અને વિદેશી બંને ભાષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

Wednesday, July 14, 2010

ગુરુકુળમાં રથયાત્રા ફરી જેણે ઘણું આકર્ષણ રાખ્યું.

પશ્ચિમ અમદાવાદના મેમનગર ગુરુકુળ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી યોજાતી રથયાત્રા આ વરસે પણ દબદબાપૂર્વક નીકળી હતી. પશ્ચિમ વિસ્તારના શહેરીજનોએ ભક્તિભાવપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન આશરે ચારથી પાંચ હજાર કિલો મગ, જાંબુ, કાકડી અને વિવિધ ફળોનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

યાત્રાના આયોજકો દ્વારા સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પરૂપે ૧૦ હજાર ફળાઉ અને ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. સ્વામીનારાયણ ગુરુકુળના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ભક્તિપ્રસાદદાસજી સ્વામી તથા વિશ્વ હિંદુ પરિષદ અને માનવમંદિરના ૫૦થી વધુ સંતો-મહંતોએ અષાઢી બીજે બપોરે ભગવાનની આરતી ઉતારી હતી જ્યારે ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહિન્દ વિધિ કરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુરુકુળના શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત, હરિયાળું ગુજરાત બને તેવા ઉમદા હેતુથી આ વર્ષે ‘છોડમાં રણછોડ’ એ સૂત્રને સાર્થક કરવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. વ્યસનમુક્તિનાં બેનર્સ દ્વારા નગરજનોને સ્વાસ્થ્ય સંબંધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. શહેરની પરંપરાગત યાત્રાનાં દર્શને જઈ ન શકતા આબાલવૃદ્ધોએ આ યાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

જયારે આપણે જાણીએ છીએ તેમ શહેરમાં તો લોકો ના ટોળે-ટોળાઓ થઇ જાય છે અને આ વખત ની રથયાત્રા માં ખાસ વસ્તુ આપણ ને એ જોવા મળી કે શાહપુર,દરિયાપુર જેવી જગ્યાઓ એ મુસ્લિમ પરિવારો એ દર્શન અને પ્રશાદ લેવા માટે પડ-પડી કરી હતી જેથી તેઓ રથ ને આવકાર્ય અને એમના દર્શન કાર્ય. આ પ્રકાર ની ક્રિયા સાથે ભગવાન આપના પર ખુબજ પ્રેમભાવ દર્શાવા માંગે છે જેથી આપડે લોકો એ હળી-મળીને રેહવું જોઈએ અને એક-બીજાને મદદરૂપ થવું જોઈએ.જેથી આવખતે શહેર નું વાતાવરણ જ કંઈક અલગ આપણ ને જોવા મળે છે.

Monday, July 12, 2010

૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપ માં કરોડોનો સટ્ટો રમાયો - સ્પીન ફેવરીટ.

૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપની રવિવારે મોડીરાત્રે ફાઇનલ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાયો હતો. પ્રથમવાર ફાઇનલમાં પહોંચનાર સ્પેનને હોટ ફેવરિટ ગણાવી તેનો ભાવ ૧.૦૭ પૈસા ખોલ્યો છે. બીજી તરફ ઓક્ટોપસ બાબાની સતત સાચી પડી રહેલી આગાહીને જોતાં ઓક્ટોપસ અને પોપટની આગાહીઓ પર પણ રમાઇ રહેલા સટ્ટામાં બુકીઓએ ઓક્ટોપસ પર પસંદગી ઉતારી તેનો ભાવ ૫૭ પૈસા રાખ્યો છે.

બે વર્ષી ઓક્ટોપસ પૌલે અગાઉથીજ ફૂટબોલની ફાઇનલમાં સ્પેન જીતશે તેવી આગાહી કરતાં બુકીઓએ પણ સ્પેન તરફ પસંદગી ઉતારી સ્પેનનો ભાવ મેચ શરૂ થતાં પહેલાં ૧.૦૭ પૈસા ખોલ્યો છે, જ્યારે નેધરલેન્ડનો ભાવ ૩.૧૦ પૈસા છે. સ્પેન અને નેધરલેન્ડની ફાઇનલ મેચ ડ્રો થવાનો ભાવ ૨.૫૦ પૈસા ભાવ ખોલ્યો છે.

મેચ ઘણીજમતા લોકો માં ઘણા બધા ઉતાર - ચડાવ જોવા મળ્યાતા અને લોકોમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી હતી.જેથી સ્પીન વધારે ફેવરીટ હોવાથી મોટા ભાગના લોકો એ એની તરફ વધારે ધ્યાન આપ્યું હતું ને પસંદ કર્યું હતું.છેલ્લી ઘડીએ દિલધડક ગોલ મારતાની સાથે સ્પીન ૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપ જીતી ગયું.

બીજી તરફ ફૂટબોલ મેચમાં જીત પર આગાહી કરી રહેલા ઓક્ટોપસ અને ફિફા...પોપટ પૈકી બુકીઓએ ઓક્ટોપસ પર પસંદગી ઉતારી ઓક્ટોપસનો ભાવ ૫૭ પૈસા જ્યારે ખાવાનો ભાવ ૫૯ પૈસા ખોલ્યો છે, આજ રીતે પોપટનો ભાવ ૧ રૂપિયો અને ખાવાનો ભાવ ૧.૧૦ પૈસા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Friday, July 9, 2010

અમદાવાદ સહીત ૧3૬ રથયાત્રા નીકળવાની હોવાથી પોલીસ સતર્ક.

રાજ્યમાં આગામી ૧૩મી તારીખે અમદાવાદ સહિત ૮૯ સ્થળોએથી નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અને ૪૭ જેટલી શોભાયાત્રા માટે રાજ્ય પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે તેમ જણાવી રાજ્યના પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલાએ કહ્યું હતું કે, તકેદારીના ભાગરૃપે રાજ્યમાં તમામ પોલીસ અધિકારી અને જવાનોની રજાઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન જરૃર જણાશે તો હેલીકોપ્ટર મારફતે નિગરાની રાખવામાં આવશે. આ વખતે રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ અંગે આઈબી દ્વારા કોઈ જ પ્રકારના ઈનપુટ મળ્યા નથી. પડોશી રાજ્યો દ્વારા પણ ૧૫ થી વધુ કંપનીઓ ફાળવવામાં આવનાર છે.

પોલીસ અધિકારીઓ, જવાનોની રજા પર પ્રતિબંધ ઃ જરૃર પડે હેલિકોપ્ટરનો ઉપયોગ ઃ ખંડવાવાલા

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી૨૦ ટીમો ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી ૧૦-૧૦ કંપનીઓની માગણી રાજ્યના પોલીસવડાએ કરી હતી. જેમાંથી રાજસ્થાનની પાંચ કંપનીઓ ગુજરાતમાં રથયાત્રાના બંદોબસ્ત માટે આવી ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ૧૫ કંપનીઓ એકાદ દિવસમાં આવશે તેમ વધુમાં ખંડવાવાળાએ ઉમેર્યું હતું.

રાજ્યમાં શાંતિમય રીતે રથયાત્રાની ઉજવણીમાં સહેજેય કચાશ ના રહે તે હેતુથી એટીએસ તથા સીઆઈડીના ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને સતત મોનિટરિંગ  રાખવા  સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત ખાનગી કપડાંમાં પણ પોલીસ તહેનાત રહેશે. જે જગ્યાએ રથયાત્રા મોટાપાયે ઉજવાય છે તે તમામ જગ્યાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ફોર્સ રાખી  આવવા-જતાં મુસાફરો અને શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ તલાશી લઈ રહી છે. આ ઉપરાંત એટીએસના હેડકવાર્ટસ ખાતે ૨૮મી જૂનથી ત્રીજી જુલાઈ સુધી  નિષ્ણાતો દ્વારા  બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલની તાલીમ રાજ્યના કેટલાક અધિકારીઓને આપવામાં આવી છે. રથયાત્રા સંદર્ભે પોલીસ વિભાગના અધિકારી તથા અન્ય સ્ટાફની રજાઓ  કેન્સલ કરી તેમને સ્ટેન્ડ ટુ પર રહેવાનો હુકમ પણ રાજ્યના પોલીસવડાએ કર્યો છે. રથયાત્રાના કારણે આર્મીને પણ એલર્ટ રાખવામાં આવી છે.

દરિયાપુર માં જુનું મકાન તૂટી પડ્યું.૨ ના મોત.

અમદાવાદના દરિયાપુર વિસ્તારના પોપટીયાવાડમાં એક વર્ષો જૂનું મકાન શુક્રવારે વહેલી સવારે જમીનદોસ્ત થતા ચાર લોકો દટાયા હતાં જેમાંથી બે ના મોત થયાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યાની આસપાસ દરિયાપુરના પોપટીયાવાડમાં આવેલું એક મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. જેથી તેમાં રહેતા ચાર લોકો દટાયા હતાં. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને આજુબાજુ રહેતા લોકો બચાવ કાર્યમાં જોતરાઈ ગયા

ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે બીજી બાજુ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.

જે પૈકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાસા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે હાલમાં પોલીસની કામગીરી ચાલી રહી હોવાથી મૃતક તેમજ ઇજાગ્રસ્તોના નામ પ્રાપ્ત થઇ શક્યા નથી.

Wednesday, July 7, 2010

આતંગવાદીઓ રથયાત્રા માં અશાંતિ સર્જે તેવી શક્યતા.

થાડોઅક સમયથી ભારત પર આતંગવાદી હુમલાનું જોખમ રહેલું જોવામળે છે.જેથી અમદાવાદ માં રથયાત્રા દરમિયાન અશાંતિ ફેલવવા આતંકવાદી તત્વો સ્થાનિક શખ્સોનો ઉપયોગ કરી શકે છે તેવા ગુપ્તચર શાખાના અહેવાલને પગલે શહેર પોલીસ સફાળી જાગી છે. જે અંતર્ગત કોમી તોફાનોમાં ભૂતકાળમાં પકડાયેલા શખ્સો,પ્રોફેશનલ છુરાબાજ,હિસ્ટ્રિશિટરો તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા શખ્સોની તપાસ માટે પોલીસે શહેરભરમાં ખાસ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ૯૪ પ્રોફેશનલ છુરાબાજ સહિત કુલ ૬૩૬ તત્વોને ચેક કરાયા હતા.

કેટલાક ભાંગફોડિયાં તત્વો દ્વારા રથયાત્રા દરમિયાન વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં ચાલુ વર્ષની રથયાત્રા દરમિયાન આતંકવાદી હુમલાની દહેશત હોવાની આશંકા ગુપ્તચર શાખાએ વ્યક્ત કરી હતી. તેમાં પણ રથયાત્રામાં અશાંતિ ફેલાવવા માટે સ્થાનિક શખ્સોનો ઉપયોગ કરવામાં આવવાનો હોવાની આશંકા ગુપ્તચર શાખાએ વ્યક્ત કરી હતી.

જેની ગંભીરતાથી નોંધ લઇ રથયાત્રા દરમિયાન તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા ૬ જુલાઇને મંગળવારે બપોરે ૩.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ભૂતકાળમાં કોમી તોફાનોમાં સંખ્યાબંધ વખત પકડાયેલા ૧૮૭ શખ્સોને ચેક કરાયા હતા.

આ ઉપરાંત કોમી તોફાનોમાં એક વખત પકડાયેલા, ખૂન-ખૂનની કોશિશ જેવા ગુનાઓમાં પકડાયેલા તેમજ એક કરતા વધારે વખત પકડાયેલા કુલ ૧૩૯ શખ્સોને ચેક કરાયા હતા.

આ સાથે ૨૯૬ હિસ્ટ્રિશિટરો તેમજ ૯૪ પ્રોફેશનલ છુરાબાજ ઉપરાંત જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા ૧૫ આરોપી અને ૯ એમસીઆર કાર્ડધારક (વાહનચોરી, ઘરફોડ,ધાડ,લૂંટ સહિતના મિલકત સંબંધી ગુનાઓમાં એક વખત પકડાયા હોય તેવા) ચેક કરવામાં આવ્યા હતા.

વરસાદ ની સરુઆત થતાજ અમદાવાદ માં ઠેરઠેર ભૂવાઓ પડ્યા.

અમદાવાદમાં વાદળઘેર્યા વાતાવરણ વચ્ચે આજે વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. છેલ્લાં ૨૪ કલાકમાં સરેરાશ ૧૧ મી.મી. વરસાદ પડયો હતો જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસું શરૃ થયા પછી ભુવા પડવાનું પણ ચાલુ રહ્યું છે અને આજે વધુ ૮ ભુવા પડયા છે. વરસાદને કારણે ૧૧ ઝાડ ધરાશાયી થયા છે.

પૂર્વ ઝોનમાં સવા ઈંચથી વધુ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ ૧૧ સ્થળે ઝાડ ધરાશાયી થયા

આજે  પૂર્વમાં ૩૩ મિ.મી., પશ્ચિમમાં ૦.૧૭ મિ.મી., નવા પશ્ચિમ ઝોનમાં ૧.ર૦, મધ્ય ઝોનમાં ૦.પ મિ.મી., ઉત્તર ઝોનમાં ૧૪ મિ.મી., અને દક્ષિણ ઝોનમાં ૧૬ મિ.મી. વરસાદ નોંધાયો છે. શહેરનો સરેરાશ અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. જેના લીધે શહેરમાં ૮ સ્થળે ભૂવા પડયાની અમ્યુકોના કન્ટ્રોલરૃમને ફરિયાદ મળી હતી. જેમાં ઓઢવ વિમલપાર્ક પાસે, ઓઢવ રોડ પર, ઘાંચીની પોળમાં, ખુદ અમ્યુકો કચેરી પાસે દાણાપીઠ, ચંદ્રનગર જવાના રસ્તે અંજલિ ચાર રસ્તા, સુમેરું સોસાયટી વેજલપુર, સોમેશ્વર કોમ્પલેક્ષ થલતેજ રોડ અને બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એમ કુલ ૮ સ્થળે ભૂવા પડયા હતા.

ગોમતીપુર ફાયર સ્ટેશન પાસે, ઓઢવ, બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે, સૈજપુર ગરનાળું, બાલકૃષ્ણનગર, ભાર્ગવ રોડ, બંગલા એરિયા, સત્યનારાયણ દૂધવાળાની ગલી, છોટાલાલની ચાલી, સૈજપુર ટાવર પાસે, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે આ રસ્તા બંધ થઈ ગયા હતા. સૈજપુર ગરનાળામાં તો ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જવાના કારણે લોકોએ બેથી અઢી કિલોમીટર ફરીને જવું પડતું હતું. લોકો આટલી હાલાકી વેઠી રહ્યા હોવા છતાં  અધિકારીઓ કે પદાધિકારીઓનું પેટનું પાણી હલ્યું નહોતું.

Monday, July 5, 2010

શહેર માં મોડીરાત્રે બે ટોળા વચ્ચે પથ્થરમારો, SRP નો ગોળીબાર.

ખાનપુરમાં કલ્યાણીવાસ નજીક બે ધર્મ સ્થળો આવેલા છે. જેમાંથી આજે સાંજે એક ધર્મસ્થળ પાસે સંદલ વિધિનો કાર્યક્રમ ચાલતા હોવાથી લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. સ્પીકરના અવાજને લઇને સંદલ વિધિમાં શણગાર કરતા બે ટોળાં વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર પછી જોતજોતમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો શરૃ થઇ ગયો હતો. જોકે ફરજ પર તહેનાત એસઆરપી જવાનોએ ટોળાંને કાબૂમાં લેવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. પરિણામે ટોળાં વિખેરાઇ  પથ્થરમારો બંધ થઇ ગયો હતો.

કલ્યાણીવાડ પાસેના ધાર્મિક સ્થળ પર કાર્યક્રમ હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જમણવાર ચાલુ હતો ત્યાં બે અલગ અલગ કોમના યુવકો વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચકતા બંને કોમનાં ટોળા આમને સામને આવી ગયાં હતાં અને એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

દરમિયાન સ્થાનિક પોલીસ પહોંચે તે પહેલા બંદોબસ્તમાં તહેનાત એસ આર પીના જવાનો તાત્કાલિક ત્યાં પહોંંચી ગયાં હતાં અને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરીને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. શાહપુર પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને તોફાની તત્વોને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.

શાહપુરમાં અજંપાભરી શાંતિ

દોઢ મહિના પહેલા શાહપુરમાં મોટાપાયે કોમી તોફાનો થયાં હતાં, જેમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. શાહપુર સંવેદનશીલ વિસ્તાર હોવાથી આજુબાજુના વિસ્તારમાંથી પોલીસ કૂમક બોલાવીને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. આ લખાય છે ત્યારે શાહપુરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.

Saturday, July 3, 2010

અમુલ દૂધ માં એક લીટરે ૨ નો વધારો થશે.

ગુજરાત અને દિલ્હીમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં દૂધની કિંમતનો આ વૃદ્ધિદર જુલાઈના બીજા અઠવાડિયાથી લાગુ પડશે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ સોઢીએ જણાવ્યું હતું, "ઈંધણની કિંમતોમાં થયેલી વૃદ્ધિ આ ભાવવધારાનું કારણ છે. ગુજરાતમાં અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ તાજા અને સ્લિમ તેમજ ટ્રિમમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે."

આ વધારાની સાથે અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિની કિંમત ક્રમશ: 30 અને 28 રૂપિયા પ્રતિ લીટર થશે. જ્યારે અમૂલ તાજાની કિંમત 24 રૂપિયા પ્રતિ લીટર થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં અમૂલે બીજી વખત તેની કિંમતમાં વધારો કર્યો છે. આ પહેલા ફેબ્રુઆરી માસમાં જીસીએમએમએફે દૂધની કિંમતમાં વધારો કર્યો હતો.

વરસાદ નું ધમાકેદાર આગમન : અમદાવાદ

ઉનાળાની પ્રચંડ ગરમી બાદ એક પખવાડિયા સુધી અસહ્ય ઉકળાટ, ગરમી વચ્ચે ત્રસ્ત નગરજનોની આતુરતાનો અંત શુક્રવારે મોડી સાંજે આવ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવનના સૂસવાટા, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વર્ષા રાણીનું આગમન થતાં શહેરીજનો નાચી ઊઠયા હતા.

ઠેરઠેર લોકો મોસમના પ્રથમ વરસાદમાં પલળવાનો આનંદ લેવા માટે રોડ ઉપર આવી ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં લોકો ગાડીઓ લઇને ઊમટી પડયા હતા. જ્યારે પોતાના ધંધા-રોજગારના સ્થળેથી ઘરે જઇ રહેલા દ્વીચક્રિ વાહન ચાલકોએ પણ પલળવાનો આનંદ માણ્યો હતો. આજે દિવસભર ઉકળાટ બાદ મોડી સાંજે શહેરમાં ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યાર બાદ રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડયો હતો. જેમાં ચાંદખેડા, સાબરમતી, નરોડા, શાહીબાગ સહિત પૂર્વના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોડી રાત્રે પશ્ચિમ અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડતા સમગ્ર વાતાવણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકોએ કાગડોળે વરસાદની રાહ જોયા બાદ આજે રાત્રે શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવનના સૂસવાટા અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ચારેકોર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સહિત આહ્લાદકતા પ્રસરી ગઈ છે.

કાગડોળે મેઘરાજાની રાહ જોતાં તમામ લોકો જાણે કે નવું જીવન મળ્યાનો અહેસાસ કર્યો હતો. મોડી રાત્રી સુધી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થયાનું અને વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદ પડવાને કારણે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠેલી પ્રજાને ગરમીથી છુટકારો મળ્યો હતો. આ ઉપરાંત મોડી રાત સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-પવનના સૂસવાટા સાથે વરસાદ પડયો હતો.
 

Friday, July 2, 2010

મિસ્ટર અને મિસ્સ અમદાવાદ સેન્ટ્રલ 2010

અમદાવાદ સેન્ટ્રલ મોલે પોતાની જાહેરાત માટે તારીખ ૨૭ જુન ના રોજ મિસ્ટર અને મિસ્સ અમદાવાદ સેન્ટ્રલ નું આયોજન કર્યું હતું. જેમાં મોડેલ્સ અને ફ્રેશર્સ એ ભાગ લીધો હતો.જેમાં ઘણા બધા મોડેલ્સ એ બીજી જગ્યાઓથી વિજેતા થયેલા હતા.જેથી તેઓએ બધાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ સ્પર્ધા માટે તે લોકોએ ઘણી  બધી મેહનત કરી હતી. જેથી લોકો ઘણા ઉત્સાહ સાથે જોવા તૈયાર હતા.

આ સ્પર્ધામાં જેમણે ભાગ લીધો હતો તેમની પાસે થી કેટ વોક કરાવ્યું હતું.અને બીજી ગેમ્સ રમાડી હતી.પણ આપણે જાણીએ જ છીએ કે વિજેતાતો ૧ જ બનવાનું હતું.છતાં પણ લોકો ના સાથ સહકાર થી આ પ્રોગ્રામ સારો રહ્યો અને વિજેતા જાહેર કરાયા હતા.

Thursday, July 1, 2010

કુલપતિ પરિમલ ત્રિવેદી પર અબીવીપી ના કાર્યકરો નો ઘરમાં ઘૂસીને હુમલો.

ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસના કાળા પન્ને લખાય તેવા કિસ્સામાં કુલપતિને ઘરમાં ઘૂસીને વિદ્યાર્થીઓએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. કુલપતિ પરિમલ ત્રિવેદી આજે સાંજે કુલપતિ નિવાસ ઉપર મહેમાન સાથે બેઠા હતા ત્યારે વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)ના દસ વિદ્યાર્થીઓ ઘરમાં ઘૂસી ગયા હતા. રજૂઆતોના મામલે કુલપતિના પગ પકડી લેતા પોલીસ બોલાવાઈ હતી. આથી વિદ્યાર્થીઓએ કુલપતિ ઉપર હુમલો કરી ફેંટો અને ગડદાપાટુનો માર માર્યો હતો અને નખ પણ વગાડયા હતા. ઝપાઝપીમાં કુલપતિનું શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યું હતું. પોલીસે એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સહીત દસ વિદ્યાર્થીઓની લાઠીચાર્જ કરી ધરપકડ કરી છે.

કોઈ કારણ કે રજૂઆત વગર ગેરકાયદે ઘરમાં ઘૂસી હુમલો કર્યાની ફરિયાદઃ ૧૦ની ધરપકડ, લાઠીચાર્જ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલભાઈ હસમુખભાઈ ત્રિવેદી (ઉ.વ. ૪૮) આજે સાંજે મહેમાન સાથે કુલપતિ નિવાસમાં વાતચિત કરી રહ્યા હતા. ૬-૪૫ વાગ્યાના અરસામાં એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય સભ્ય કુણાલ કમલભાઈ શાહ, દીલજીત રૃકકડ, કુણાલ પટેલ, રવિ દેસાઈ, વિપુલ પટેલ, સિધ્ધાર્થ રાઠોડ, રાહુલ ગાયકવાડ, ઈશાન પુરોહીત, આદિત્ય પટેલ અને ચિરાગ સેટ્ટે સહીત ૧૦ વિદ્યાર્થીઓ દરવાજામાં તોડફોડ કરી કુલપતિના ઘરમાં ઘૂસી ગયા હતા.

કુલપતિ શું કહે છે?

કુલપતિએ જણાવ્યું હતું કે, ‘બુધવારે સાંજે નિવાસસ્થાને એબીવીપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને મારા બાળકો-પત્ની પર લાકડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત મને મૂઢ માર મારીને શર્ટ ફાડી નાખ્યો હતો.’

Tuesday, June 29, 2010

રાજપથ ક્લબ : દાણી ગ્રુપ નો વિજય

અમદાવાદની રાજપથ ક્લબના ‘વહીવટ’ પર કબજો જમાવવા ખેલાયેલાં ભીષણજંગમાં સત્તાધારીઓ સામે પડેલાં એન.જી.પટેલે ભારે આક્ષેપો કર્યા પરંતુ ચૂંટણીના પરિણામો જાહેર થતાં તેમના જૂથના ઉમેદવારોની નિયત અને નીત્તિમત્તાની વાતોની પોલ ઉઘાડી પડી ગઈ હતી. આજે જાહેર થયેલાં પરિણામોમાં વર્તમાન પ્રમુખ પરેશ દાણી પેનલનો ૨૪ બેઠકો સાથે ભવ્ય વિજય થયો હતો. જ્યારે સામા જૂથના એન.જી. પટેલ ગ્રૂપને માત્ર ૬ બેઠકો પ્રાપ્ત થઇ હતી. સૌથી વધુ ૩૮૬૧ મત સાથે પરેશ દાણી ચૂંટાઇ આવ્યા હતા. ગઇકાલે મોડી રાતથી જ એન.જી. પટેલ ગ્રૂપના મોટાભાગના ઉમેદવારો ગુમ થઇ ગયા હતા.

ચૂંટણીમાં કુલ ૫૯૧૪ મતદારોએ મતદાન કર્યું હતું. જોકે તેમાંથી ૨૧૦ મત રદ બાતલ થયા હતા. તેથી વેલીડ વોટની સંખ્યા ૫૭૦૪ રહી હતી. પરેશ દાણી પેનલના ૨૪ ઉમેેદવારો વિજયી બન્યા હતા. જયારે છ સભ્યોની હાર થઇ હતી. તે પૈકી ચાર સભ્યો જૂની કારોબારીમાં હોદ્દો ધરાવતા હતા જેમાં રામચંદ્ર પટેલ, નિલેશ શાહ, સંદીપ બ્રહ્મભટ્ટ તથા નૈમેષ પટેલનો સમાવેશ થાય છે જ્યારે પેનલના નવા બે હારેલા ઉમેદવારોમાં શૈલેષ ખટ્ટર તથા એડવોકેટ પરેશ પટેલનો સમાવેશ થાય છે.

ૂબપોરે એક તબક્કો એવો આવ્યો હતો કે પરેશ દાણી પેનલના વધુ બે ઉમેદવારો આગળ રહ્યા હતા અને દાણી પેનલના કુલ ૨૬ ઉમેદવારો જીતે તેવી પણ શકયતા ઉભી થઇ હતી. પરંતુ ગણતરી આગળ વધતાં સ્થિતિ બદલાઇ હતી. જો કે દાણી પેનલના ઉમેદવારો અને તેના ટેકેદારોનો ભરપૂર આત્મવિશ્વાસથી છલકાતા રહ્યા હતા.

ગઇકાલે મોડી રાતે લગભગ સાડા અગિયાર વાગ્યા બાદ મત ગણતરીનો પ્રારંભ કરાયો હતો. જેમાં સૌપ્રથમ ૩૦થી વધુ કે ૩૦થી ઓછા મત આપનારા મતદારોના મત રદબાતલ કરાયા હતા. ત્યાર બાદ ગણતરીની કામગીરી શરૃ કરાઇ હતી. જોકે અહીં કાફેટેરિયાની અને સતત ચા- કોફીની વ્યવસ્થા કરાઇ હતી. મોટાભાગના ટેકેદારો અવારનવાર નાસ્તાની જયાફત ઉડાવીને તેમજ ચા- કોફીના ડોઝ લગાવીને સવાર સુધી ગાડું ગબડાવતા રહ્યા હતા. જેમાં યુવા કલબ મેમ્બરો ઉપરાંત મહિલાઓની સંખ્યા પણ સવિશેષ હતી.

બંને ગ્રૂપના ઉમેદવારોને બે કલાક બાદ ખ્યાલ આવી ગયો હતો કે, પેનલ ટુ પેનલ વોટિંગ થવા પામ્યું નથી. તેથી ત્રણ ટેબલો ઉપર આગળ નીકળી જનારો ઉમેદવાર અન્ય પાંચ ટેબલો ઉપર પાછળ રહેતો હતો. રાતે અંદાજ હતો કે, સવારના છ વાગ્યા સુધી પરિણામો આવી જશે પરંતુ સવારના છ વાગ્યાના બદલે બપોરના બાર સુધી પણ પરિણામ નહિ આવતાં લોકોની ઇંતેજારી પણ વધતી રહી હતી.

સમગ્ર શહેરમાં રાજપથની ચૂંટણી અને આજે તેના પરિણામોની બાબત જ ટોક ઓફ ધ ટાઉન રહેવા પામી હતી. પરિણામો જાણવા માટે લોકો  મીડિયા કચેરીઓમાં તેમજ રાજપથ કલબ ઉપર તેમજ ઉમેદવારોના ટેકેદારો ઉપર સતત ટેલિફોન કરતા રહ્યા હતા.

પરેશ દાણી પ્રમુખ-જે.બી.પટેલ સેક્રેટરી

રાજપથ કલબની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ તે જ ડાયમન્ડ હોલમાં પરેશ દાણીના અધ્યક્ષપદે ક્લબની એજીએમની બેઠક આજે યોજાઇ હતી. જેને પગલે સમગ્ર વિસ્તાર ફટાકડાઓના અવાજથી ધણધણી ઊઠયોે હતો. એજીએમમાં જેમ જેમ પરિણામો જાહેર કરાતા હતા તેમ તેમ સભ્યો દ્વારા ભારે ચિચિયારીઓ અને તાલીઓના ગડગડાટ વચ્ચે તેને વધાવી લેવાતા હતા. જોકે એન.જી. ગ્રૂપના ઉમેદવારોના નામો જાહેર થયા ત્યારે કોઇ જ તાલીઓ કે ચિચિયારીઓ પડી નહોતી તે પણ નોંધપાત્ર બાબત હતી.

આ પ્રસંગે પ્રમુખ પરેશ દાણીએ ક્લબની યુવા શક્તિને વખાણીને તેમને અનુલક્ષીને ક્લબમાં અનેકવિધ એકેડેમિક પ્રવૃત્તિઓ પણ શરૃ કરવાની અને   કાર્રિકર્દીના પંથે આગળ વધી શકે તે માટે અનેકવિધ પગલાં ભરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત આગામી સમયમાં કલબના સભ્યોની સંમતિથી કલબ દ્વારા ભવ્ય રિસોર્ટ શરૃ કરવાની પણ વિચારણા હોવાનું તેમણે જણાવ્યું હતું.ઉપરાંત કલબના માઇનોર સભ્યોને મેજર સભ્ય બનવા માટે ઇન્સ્ટોેલેશન દ્વારા રકમ ભરપાઇ કરી શકે તે દિશામાં પગલાં ભરવાની તેમજ મેમ્બરશિપ ફી ઝીરોે કરવાની શક્યતાઓ પણ તપાસવાની તેમને હાલને તબક્કે ખાતરી આપી હતી.

Monday, June 28, 2010

નશાખોરો ને પોલીસ એ જવા દીધા : વસ્ત્રાપુર

અમદાવાદ શહેર પોલીસની કાર્યપધ્ધતિના બે કિસ્સાની ચર્ચા જાગી છે. વસ્ત્રાપુર અને નારણપુરામાં પ્રજાજનોએ પકડીને સોંપેલા આરોપીઓને પોલીસ સાચવી શકી નહોતી. વસ્ત્રાપુર તળાવ પાસે હીટ એન્ડ રન સર્જ્યા પછી લોકો ઉપર કાર દોડાવનાર નશાખોરોને પોલીસે નિશ્ચિત કારણોસર જવા દીધા હતા. ટોળાંએ અકસ્માત સર્જનાર કારમાં તોડફોડ કરી હતી. આશ્ચર્ય એ વાતનું છે કે, વસ્ત્રાપુર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કિસ્સાની પોલીસ સ્ટેશનમાં નોંધ સુધ્ધાં નથી.

રોષે ભરાયેલા ટોળાંએ કારની તોડફોડ કરી ગંભીર ઘટનાની પોલીસમાં કોઈ નોંધ નથી!

વસ્ત્રાપુર તળાવ પાસે મંદિરની સામે આવેલા પાનના ગલ્લા ઉપર રાતે ૧૧ વાગ્યાના અરસામાં યુવકો વાતો કરતા ઉભા હતા. પૂરઝડપે આવેલી સફેદ રંગની કારે ચાર ટુ વ્હીલર્સને અડફેટમાં લીધા હતા. લોકોમાં દોડધામ મચી ગઈ હતી. અકસ્માત સર્જનારાંઓને પકડવા અમુક યુવકો દોડયા તો ચાલકે કાર રિવર્સમાં લઈ કાર તેમના ઉપર દોડાવી હતી. પરંતુ, લોકોના ટોળાં એકત્ર થઈ જતાં ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર થોડે આગળ જઈ ઉભી રહી ગઈ હતી. કારમાં રહેલા ચાર યુવકોમાંથી બે નાસી ગયા હતા અને બે લોકોના હાથમાં આવી ગયા હતા. પકડાયેલા બે શખ્સોને પ્રજાજનોએ મેથીપાક આપ્યો હતો.

નજરે જોનારાઓએ જણાવ્યા મુજબ, દારૃના નશામાં રહેલા બે યુવકો દાદાગીરી કરતા હોવાથી લોકોમાં રોષ વધુ ભભૂક્યો હતો અને કારના કાચ ફોડી નાંખ્યા હતા. કોઈએ ફોન કરતાં પોલીસ આવી પહોંચી હતી. પ્રજાજનોની હાજરીમાં જ પોલીસે એક શખ્સનું મોં સૂંઘ્યું હતું અને 'દારૃ પીધો છે ને?' તેવો સવાલ કર્યો હતો. પરંતુ, કોઈ વાત થતાં આ યુવકને વાનમાં બેસાડી દેવાયો હતો.

લોકોમાં રોષની કારણ બનેલા યુવકની જાહેરમાં ધોલાઈ કરવાનું નાટક કરનાર પોલીસની લાઠીઓ પછી સામાન્ય લોકો ઉપર વરસી હતી.

આ બનાવની વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધ સૂધ્ધાં જોવા મળી નથી. કારના હીટ એન્ડ રન અને તોડફોડના ઘટનાક્રમ પછી મિનિટોમાં જ વસ્ત્રાપુર તળાવ વિસ્તાર સૂમસામ બની ગયો હતો. પોલીસની ત્રણ-ત્રણ વાન આવી હોવા છતાં આરોપીઓને મુક્ત કરી દેવાયાં હતાં.