Sunday, May 30, 2010

ધો.૧૦માં માર્કશીટમાં જ પ્રમાણપત્ર નો સમાવેશ.

ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામા લેવાયેલી ધો. ૧૦ એસએઅસસીની પરીક્ષાનું પરિણામ આગામી તા. ૩જી જૂને જાહેર થનારુંં છે. જોકે પરીક્ષાના ફોર્મ જ્યારે જાન્યુઆરી મહિનામાં ભરવામાં આવ્યા ત્યારે પરીક્ષાર્થીઓ પાસેથી પરીક્ષા ફી ઉપરાંત માર્કશીટ માટે રૃ.૧૦ અને પ્રમાણપત્ર રૃ.૧૦ અલગથી ઉઘરાવવામાં આવ્યા હતા. પરંતુ હવે નિર્ણય એવો લેવાયો છે કે તમામ પરીક્ષામાં પાસ થનારા વિદ્યાર્થીઓને માર્કશીટ તેમજ પ્રમાણપત્ર એક સાથે એક જ સીટમાં આપવું. જો આમ કરવામાં આવે તો ઘણો ખર્ચ બચી શકે તેમ છે. પરંતુ બચેલી લાખો રુપિયાની રકમ વિદ્યાર્થીઓને પરત મળશે કે કેમ ? તે યક્ષ પ્રશ્ન ઊભો થયો છે.

બોર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ધો. ૧૦ની પરીક્ષામાં ૮,૭૨,૬૧૬ પરીક્ષાર્થીઓ બેઠા હતા. જેમાં ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે ૯૧ હજાર પરીક્ષાર્થીઓનો ઉમેરો થયો છે. આ આંકડાને લક્ષમાં લેવામાં આવે તો દરેક પરીક્ષાર્થી પાસેથી રૃ. ૨૦ લેખે કુલ્લે રૃ. ૧,૭૪,૫૨,૩૨૦ની રકમ ઉઘરાવવામાં આવી છે.

બોર્ડ દ્વારા વિદ્યાર્થીને સામાન્ય રીતે જે માર્કશીટ આપવામાં આવે છે તેની સાઇઝ નવ બાય સાત ઇંચની હોય
છે. નાપાસ થનારા વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન હોતો નથી. તેથી દર વર્ષે સ્વાભાવિક રીતે આવી રકમ બોર્ડ પાસે બચતી રહે છે. પરંતુ આ વર્ષે બોર્ડ દ્વારા એવો નિર્ણય લેવાયો છે કે પાસ થનારા તમામ પરીક્ષાર્થીઓને માર્કશીટની અંદર જ ઉપરના ભાગે જ પ્રથમ પ્રયત્ને પાસ થયાનું પ્રમાણપત્ર પણ માર્કશીટમાં જ પ્રિન્ટ કરીને આપી દેવુ તેથી અલગથી પ્રમાણપત્ર આપવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય.

જોકે આ પ્રકારના નિર્ણયના કારણે  ૮,૭૨,૬૧૬ જ માર્કશીટ છાપવાની રહે છે. બોર્ડનું ધો. ૧૦નું પરિણામ સામાન્ય રીતે ૭૦ ટકા કે તેનાથી ઊંચુંુ આવતું રહે છે. તે જોતાં બોર્ડ દ્વારા આ પ્રકારે ૬.૧૦ લાખ જેટલા પ્રમાણપત્ર અલગથી છાપવાનો ખર્ચ બચાવી લેવાયો છે. બીજી તરફ હાલ જે માર્કશીટ અપાય છે તેની સાઇઝમાં એક ઇંચનો વધારો કરીને તે નવ બાય નવ ઇંચની કરી દેવાઇ છે.

અગાઉની જે માર્કશીટ છે તેની પડતર કિંમત સરેરાશ રૃ. ૬.૫૦ જેટલી થાય છે. બોર્ડના જ સૂત્રોના જણાવ્યા મુજબ એક ઇંચની સાઇઝનો વધારો થતાં પ્રતિ માર્કશીટ- પ્રમાણપત્રનો ખર્ચ રૃ. ૦.૫૦ પૈસા વધતાં તેની પડતર કિંમત રૃ. ૭ જેટલી થવા જઇ શકે છે. આ બાબતને લક્ષમાં લેતા બોર્ડને પાસ થનારા ૬.૧૦ લાખ જેટલા પરીક્ષાર્થીઓને રૃ. સાત લેખે અલગથી પ્રમાણપત્ર આપવાનો ખર્ચ બચી રહેતા આ રકમ લગભગ રૃ. ૪૨.૭૦ લાખથી પણ વધુ થવા જાય છે.

ઉપરાંત નાપાસ વિદ્યાર્થીઓને જે માર્કશીટ આપવાની થાય છે તે તો જૂની સાઇઝ પ્રમાણે જ બનાવવાનો નિર્ણય લેવાયો છે તેથી તે માર્કશીટની કિંમત રૃ. ૬.૫૦ પ્રમાણે જ થવા જઇ રહી છે. તે તબક્કે મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ પ્રકારના ફેરફારના કારણે પાસ થનારા વિદ્યાર્થીઓ પાસેથી રૃ. ૨૦ લેખે જે ફી ઉઘરાવવામાં આવી છે તેના બદલે ખર્ચ માત્ર રૃ. ૭ પ્રમાણે જ થઇ રહ્યો છે તો બાકીની રકમ વિદ્યાર્થીઓને પરત મળી શકશે ખરી ?

બોર્ડના ચેરમેન હસમુખ અઢિયા કહે છે કે :- 


અમદાવાદ : બોર્ડના ચેરમેન હસમુખ અઢિયાનો આ સંદર્ભે સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, માર્કશીટ તથા પ્રમાણ પત્ર એક સાથે જ પ્રિન્ટ કરીને આપવાનો નિર્ણય લેવાયો છે. પરંતુ કેટલા રૃપિયા માર્કશીટ માટે અને કેટલા રૃપિયા પ્રમાણપત્ર માટે ઉઘરાવવામાં આવ્યા હતા તેનો મને હાલ કોઇ ખ્યાલ નથી. અગાઉ કેવી રીતે પૈસા પરત અપાયા હતા કે નહીં તેનો પણ મને કોઇ આઇડિયા નથી.પરંતુ જે કોઇ નિર્ણય લેવાશે તે વિદ્યાર્થીઓના હિતને લક્ષમાં લઇને લેવાશે.

વિદ્યાર્થીઓને રકમ પરત આપવી જોઈએ

અમદાવાદ : ધો. ૧૦ના પરીક્ષાર્થીઓ પાસેથી ઉઘરાવવામાં આવેલી રકમમાંથી લગભગ રૃ.૫૦ લાખ જેટલી બચત નવા નિર્ણયના કારણે થઇ રહી છે ત્યારે વધેલી રકમ પરીક્ષાર્થીઓને પરત કરવી જોઇએ તેવી માગણી જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ કરી છે. પરંતુ વહીવટી દ્રષ્ટિએ જો તે શકય ના હોય તો રૃ. ૫૦ લાખ જેવી આ માતબર રકમ દ્વારા વિદ્યાર્થીઓ માટેનો કોઇ ખાસ પ્રોજેકટ ઊભો કરવો જોઇએ. બોર્ડે આ રકમ પોતાના વહીવટમાં વાપરવી જોઇએ નહીં.

No comments:

Post a Comment