Friday, July 30, 2010

વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ : ફિલ્મ રિવ્યૂ


કલાકાર : અજય દેવગણ, ઇમરાન હાશમી, કંગના રાણાવત, પ્રાચી દેસાઇ, રણદીપ હૂડા


દિગ્દર્શન : મિલન લૂથરિયા


રેટિંગ :  ૪/૫

સ્ટોરી : ફિલ્મ 1970ના સમયની યાદ તાજી કરાવે છે, જ્યારે સ્મગલિંગ સાવ ધૃણાસ્પદ કાર્ય ગણાતું હતું અને પરોપકારી ડોન સુલતાન મિર્ઝા(રેફરન્સ:હાજી મસ્તાન) તે સમયે માફિયા કિંગ હતો. ફિલ્મ કીર્તિવંત રોબિન હૂડની આકૃ્તિમાં મુંબઈમાં ડોન સુલતાનનો ઉદય અને તેનું આધિપત્ય દર્શાવે છે. સાથે સુલતાનના તેના સૌથી મોટા પ્રશંસક શોએબ ખાન(રેફરન્સ:દાઉદ ઇબ્રાહીમ) સાથેના સંબંધોનું ચિત્રણ છે, જ્યાં બાદમાં શોએબ સુલતાનનો સૌથી મોટો દુશ્મન બની જાય છે. શોએબ એક ગેંગસ્ટર તરીકે સુલતાનના ગ્રુપમાં જોડાય છે, જેની પાછળ તેનો આશય સુલતાનની સત્તા પચાવી પાડવાનો અને તેના કરતા વધારે સારું રાજ કરવાનો હોય છે. અહીંથી જ મુંબઈમાં ભયંકર ગુનાઓ, ગેંગવોર, શૂટ આઉટ, આતંક શરૂ થાય છે.

મૂવી રીવ્યૂ : તમે 'સત્યા' જોઇ છે અને તમને તે ગમી છે, તમને 'કંપની' પણ પસંદ પડી છે, તેમજ 'બ્લેક ફ્રાઇડે'નો સ્વાદ પણ તમારી જીભને ગમ્યો છે, તમે મુંબઈના અંડરવર્લ્ડ વિશે ઘણું વાંચ્યું પણ હશે તેમ છતાં જો તમને થતું હશે કે હજુ કંઇક વિશેષ જાણવા મળે તો સારું, તો તમારા શ્વાસ થામીને બેસો, કારણ કે 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' તમને અંડરવર્લ્ડના અનેક રંગોથી પરિચિત કરાવશે.

ફિલ્મ મુંબઈની સૌથી જાણીતી ક્રાઇમ સ્ટોરીથી રીઓપન થાય છે જેમાં હાજી મસ્તાન અને દાઉદ ઇબ્રાહિમના ઉગ્ર સંબંધો દર્શાવવામાં આવે છે. જો કે ફિલ્મ રીયલ લાઈફ કરતા થોડી વધારે ઉગ્રતા સાથે શરૂ થાય છે. તેમ છતાં તેની તીવ્રતા દર્શકોને સીટ પર જકડી રાખવા માટે પુરતી છે.  

ડિરેક્ટર મિલન લુથરિયાએ તેમની ફિલ્મને માત્ર બંદૂકની ગોળીઓથી લથબથ કરવાની જગ્યાએ તેને ઇમોશનલ ટચ આપવાનો પ્રયોગ પણ કર્યો છે, કદાચ ફિલ્મની મજબૂત પકડનું આ મુખ્ય કારણ છે. ફિલ્મમાં ઓછા હિંસક દ્રશ્યો અને વધારે ઇમોશનલ સરવાળા બાદબાકી જોવા મળે છે. જેમ કે સુલતાન મિર્ઝા(અજય દેવગણ) અન્ડરવર્લ્ડમાં તેના શહેનશાહિયત મોભાથી તેની નવી ટીમના બદમાશ સભ્ય શોએબ ખાન(ઇમરાન હાશમી)ને કાબૂમાં રાખે છે. અને અહીં રજત અરોરાની ડાયનેમિક સ્ક્રીપ્ટ કામ કરી જાય છે. જે ફિલ્મના બે મુખ્ય પાત્રો વચ્ચેના કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. એક તરફ જ્યાં સુલતાન મજબૂત નૈતિક મુલ્યો સાથે ચાલનારો બદમાશ છે ત્યાં બીજી તરફ શોએબ નીતિહીન અને મુલ્યોમાં નહીં માનનારો માણસ છે. શોએબ દરેક પ્રકારના દુષ્કૃત્યો પર હાથ અજમાવવા તૈયાર હોય છે, જેમ કે ગેંગ વોર, આતંક, લૂંટફાંટ, લોહીની નદીઓ વહેવડાવવી વગેરે. જાણે તેણે તેની આ હિંસક ક્રિયામાં ભગવાન શોધી લીધા હોય તેમ તે વર્તવા લાગે છે.  "મુંબઈ મેરે નીચે ઓર મેં ધુંએ કી તરહ ઉપર", આ ડાયલોગ જેવી તેની જિંદગી હોય છે. તમામ અનૈતિક કાર્યો તેના જીવનનો ભાગ બની જાય છે. જાણે તે મુંબઈ શહેરને તેના હાથમાં પકડેલા રીમોટ કન્ટ્રોલ દ્વારા જ ચલાવવા લાગે છે. પણ આ બધું બહું લાંબુ નથી ચાલતું.

મહત્વની વાત એ છે કે ફિલ્મમાં સુલતાનના પાત્રને વધારે પડતું ચિતરવામાં નથી આવ્યું, એટલે કે વાસ્તવિક જીવનમાં તેનો જે રોલ હતો તેના કરતા ફિલ્મમાં થોડું પણ વધારે દર્શાવવાનો પ્રયત્ન નથી કરવામાં આવ્યો. ફિલ્મમાં તેની નૈતિક પહોંચને જાળવી રાખવામાં આવી છે સાથે સાથે ફિલ્મમાં એક ક્રિમિનલ તરીકેના તેના સર્વોત્કૃષ્ટ પાત્રની સીક્વન્સ પણ જળવાય છે.

અંડરવર્લ્ડની દુનિયા સાથે સંકળાયેલા આ પાત્રોના જીવનમાં હિંસક કર્મોની સાથે પ્રેમ પણ જોડાયેલો છે. આ બંને ગુનેગારોના જીવનમાં સુંદર સ્ત્રીઓ પણ છે. સુલતાન હિરોઇન રેહાના(કંગના રાણાવત) સાથે પ્રેમમાં છે, જે ઓન સ્ક્રીન યાદગાર લાગણીઓની સુગંધ છોડી જાય છે. જ્યારે શોએબ તેની શરમાળ શૉરૂમ ગર્લ મુમતાઝ(પ્રાચી દેસાઇ) સાથે જોવા મળે છે.

'લવ સેક્સ ઓર ધોકા'ના પ્રયોગ બાદ પ્રોડ્યુસર એકતા કપુર ફરી એકવાર એક સંપૂર્ણ એન્ટરટેનર મૂવી આપવામાં સફળ રહી હોય તેવું કહી શકાય. ફિલ્મમાં રસપ્રદ સ્ટોરી છે, વ્યવસ્થિતિ અને અસર છોડનારા સંવાદો છે, પ્રિતમનું સંગીત પણ સારું છે. અને સ્ક્રીન પરથી નજર હટાવવાનું મન ન થાય તેવા કેટલાક પાત્રોનો અભિનય દર્શકોને સંતોષ કરાવશે. અજય દેવગણ અને ઇમરાન હાશમીએ તેમના ગેંગસ્ટર્સના પાત્રોને પુરતો ન્યાય આપ્યો છે. અભિનયની દ્રષ્ટિએ તેમના પાત્રો આ વર્ષના સૌથી સારા પાત્રો તરીકે યાદ રખાશે. જ્યારે કંગના રાણાવત અને પ્રાચી દેસાઇ પણ ગેંગસ્ટરની વેશ્યા તરીકે આબેહૂબ ઉપસી આવે છે. વધુમાં મુખ્ય પોલીસ તરીકેનું પાત્ર ભજવનાર રણદીપ હૂડા અને સુલતાનના વફાદાર મદદનીશ નાવેદ એહમદના પાત્રો પણ જોવાલાયક છે. 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઈ' તમને જરૂરી મસાલો પણ પુરો પાડે છે અને ઇમોશન્સની વચ્ચે ફિલ્મ ચેતનાનો સંચાર પણ કરે છે. ફિલ્મ એકવાર તો જવી જ રહી.
અભિનય : અજય દેવગણ અને ઇમરાન હાશમીનો અભિનય આઇ કેચી છે. કહી શકાય કે આ પહેલા તેમનો આવો અભિનય ક્યાંય જોવા નથી મળ્યો. કંગના અને પ્રાચીના અભિનયને પણ દાદ દેવી ઘટે.

વાર્તા : રજત અરોરાએ હાલના સિનેમાને ધ્યાનમાં રાખીને ડ્રામા જીવંત રહે તેવા પુરા પ્રયત્નો કર્યા છે અને તેમાં સફળ પણ રહ્યા છે.

સંવાદો : અદ્ભૂત, કદાચ ઘણા લાંબા સમય બાદ તમને ઓન સ્ક્રીન કેટલાક સારા સંવાદો આ ફિલ્મના માધ્યમ દ્રારા સાંભળવા મળશે.

સિનેમેટોગ્રાફી : અસીમ મિશ્રા પ્રેમ અને ભૂતકાળના સમન્વય સાથે ઘણી સારી રીતે ફિલ્મમાં જૂના મુંબઈનું ચિત્ર ઉપસાવવામાં સફળ રહ્યા છે.

સંગીત : પ્રિતમે કેટલાક સારા ટ્રેક્સ આપ્યા છે. ખાસ કરીને 'પી લૂં...'

સ્ટાઇલ : ફિલ્મમાં 1970ની ફેશનને જીવંત કરવામાં આવી છે. ખાસ કરીને તમને ફિલ્મમાં પ્રાચી દેસાઇના વસ્ત્રોમાં 'બોબી'ની ડિમ્પલ કાપડિયાની સ્ટાઇલ જોવા મળશે. 

પ્રેરણા : 1970નું મુંબઈનું અંડરવર્લ્ડ.

Thursday, July 29, 2010

સીબીઆઈનું ગીથા જોહરીને સમન્સ : શોહરાબુદ્દીન કેસ


સોહરાબુદ્દીન ફેક એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના એક પછી એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓની પુછપરછ કરી રહેલી કેન્દ્રીય તપાસ સંસ્થા સીબીઆઈએ આજે હાલમાં રાજકોટ પોલીસ કમિશનરના પદે ફરજ બજાવી રહેલા ગીથા જોહરીને આ કેસ અંગે સમન્સ પાઠવ્યું હતું જેમાં તેમને 10 ઓગષ્ટે સીબીઆઈ સમક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે જોહરીએ આ કેસની જ્યારે સીઆઈડી તપાસ કરી રહી હતી ત્યારે તેની આગેવાની કરી હતી અને આ અગાઉ પણ જોહરીની સીબીઆઈ આ કેસમાં બેવાર પુછપરછ કરી ચુકી છે.

બીજી તરફ શોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમા સીબીઆઈએ બુધવારે મોડી સાંજે રાજયના પૂર્વ ડીજીપી પી.સી.પાંડેને હાજર થવા માટે સમન્સ પાઠવ્યા હોવાની વિગતો સીબીઆઈ સૂત્રો પાસેથી જાણવા મળી હતી. તેમને ૧૧ ઓગસ્ટે હાજર થવા ફરમાન કરાયું હોવાનું જાણવા મળ્યું છે. 

ઉલ્લેખનીય છે કે, શોહરાબુદ્દીન કેસમાં પી.સી.પાંડેને પહેલીવાર સમન્સ પાઠવવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટ દ્વારા સૌપ્રથમવાર શોહરાબુદ્દીન કેસની તપાસ સોંપાઈ તે સમયે સીઆઈડી ક્રાઈમના એડિ.ડીજી જી.સી.રાયગરના માર્ગદર્શન હેઠળ ગીતા જોહરી દ્વારા તપાસ કરાઈ હતી. આ તપાસના પહેલા જ એકશન ટેન રિપોર્ટમાં એન્કાઉન્ટર ફેક હોવાનું બહાર આવી ગયું હતું. તે પછી ઉચ્ચ સ્તરેથી તપાસને આડે પાટે ચઢાવવાની કામગીરી અને કેસમાં દખલગીરી શરૃ થઈ ગઈ હતી.

આ દરમિયાનના સમયગાળામાં ૩૦ જાન્યુઆરી ૨૦૦૭ના દિવસે રાજ્યના તે સમયના ડી.જી.પી. પી.સી.પાંડે, શોહરાબ કેસની તપાસ કરી રહેલાં ગીતા જોહરી અને સીઆઈડીના ડી.જી. જી.સી.રાયગર વચ્ચે મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં શોહરાબુદ્દીન કેસ સંદર્ભે ચર્ચા કરી અમુક કેસને નુકસાન પહોંચાડવાનો નિર્ણય કરાયો હતો.

જો કે, મિટીંગમાં શું ચર્ચા કરાઈ હતી તે અંગેની તમામ વિગતો સીબીઆઈને મળી ગઈ છે. પરંતુ રાજયના ડીજીપી તરીકે પી.સી.પાંડે પણ આ મિટીંગમા હાજર હતા અને સીબીઆઈ તેમની પાસેથી જ મિટીંગમાં શું ચર્ચા થઈ હતી તે અંગેની વિગતો જાણવા ઈચ્છે છે અને આ જાણવા માટે જ તેમને સમન્સ પાઠવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Tuesday, July 27, 2010

અમિત શાહના વકીલ ને ચાર્જશીટ અપાઈ.

સોરાબ બોગસ એન્કાઉન્ટર કેસમાં જેલવાસ ભોગવી રહેલા આઈ.પી.એસ. અધિકારી ડો. એન.કે. અમીને આજે સીબીઆઈ કોર્ટમાં તાજના સાક્ષી બનવા માટેની અરજી કરતાં ભૂતપુર્વ રાજ્યકક્ષાના ગૃહપ્રધાન અમીત શાહની મુશ્કેલીઓમાં વધારો થવાના સંકેતો મળ્યા છે. દરમિયાન, અમિત શાહના જામીન માગતી અરજી પણ આજે કોર્ટમાં દાખલ થઈ છે. આ અરજી સાથે દેશના વરિષ્ઠ ધારાશાસ્ત્રી ઔરામ જેઠમલાણી અદાલતમાં હાજર થયા હતા. જેની સુનાવણી બીજી ઓગસ્ટે થશે.

અજય પટેલ, યશપાલ ચુડાસમા સામે ધરપકડ વોરન્ટ જી.સી. રાયગરની સઘન પૂછપરછ કરતી સીબીઆઇ

તા. 25 જુલાઇ રવિવારના રોજ સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા રાજ્યના ભૂતપૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન અમિત શાહ વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા કોર્ટમાં તા. 24ના રોજ ફાઈલ કરવામાં આવેલી 30000 પાનાની ચાર્જશીટ આજે અમિત શાહના વકીલ મિતેષ અમિનને સોંપવામાં આવી હતી.

આ તરફ વરિષ્ઠ વકીલ અને ભાજપના રાજ્યસભાના સભ્ય રામ જેઠમલાણીએ ચાર્જશીટની વિગતો મીડિયામાં લીક થવા અંગે સીબીઆઈની ઝાટકણી કાઢી હતી.

જેઠમલાણીએ કહ્યું હતું કે, આરોપીને ચાર્જશીટ નથી મળી પરંતુ મીડિયાને તેની માહિતી મળી ગઇ છે અને આ બધુય સીબીઆઈ દ્વારા ગોઠવાયેલું છે. તેમણે જણાવ્યું હતું કે ચાર્જશીટને લગતા સમાચાર અખબારોમાં દરરોજ આવે છે પરંતુ શાહને હજુસુધી તેની કોપી આપવામાં આવી નથી.

સીબીઆઈ પર વધારે આરોપો મુકતા જેઠમલાણીએ કહ્યું હતું કે આ સીબીઆઈનો દુરઉપયોગ છે અને હું તેની નિંદા કરૂં છું. વરિષ્ઠ વકીલે એમ પણ કહ્યું હતું કે ચાર્જશીટની કોપી શાહને આપવામાં આવે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના રાજસ્થાનના રાજ્યસભાના સભ્ય જેઠમલાણી રાજ્યસભામાં સોગંદવિધી પુરી કરીને ગઇકાલે તાત્કાલિક શાહનો કેસ જોવા અમદાવાદ આવ્યા હતા. તેમણે કોર્ટમાં કહ્યું હતું કે તેમને પુછપરછનો કોઇ વાંધો નથી પરંતુ સીબીઆઈ દ્વારા કરાયેલી પુછપરછનું રેકોર્ડિંગ કરવામાં આવે.

Thursday, July 22, 2010

અમિત શાહને સમન્સ : આવતીકાલ સુધીમાં હાજર થવું.

ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અમિત શાહને સીબીઆઇ દ્વારા આજે બપોરે બીજી વાર સમન્સ મોકલવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ પણ અમીત શાહના કોઈ સગડ મળ્યા નથી. તેઓ સીબીઆઇ સમક્ષ આવતીકાલ બપોર સુધીની આપવામાં આવેલી સમય મર્યાદા સુધીમાં હાજર થશે કે નહીં તે અંગે કોઈ નક્કર માહિતી પ્રાપ્તથઈ નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, સીબીઆઇના અધિકારીઓના જણાવ્યા મુજબ આજે સવારે અમીત શાહને તેમના અમદાવાદ સ્થિત નિવાસસ્થાન, ગાંધીનગર સ્થિત મંત્રી બંગલો અને સચિવાલય ખાતેના તેમના કાર્યાલય પર સીબીઆઇના અધિકારીઓ રૂબરૂ જઈને સમન્સ પહોંચાડી આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સીબીઆઇ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસની તપાસ કરી રહી છે અને આ એન્કાઉન્ટરમાં સીબીઆઇ તેમની પૂછપરછ કરવા માંગે છે.

અત્રે નોંધનીય છે કે આ મામલે સીબીઆઈની એક ટીમ રાજસ્થાન રવાના થઈ છે તથા ત્યાના એક દિગ્ગજ મંત્રીની પણ ધરપકડ થવાની શક્યતા છે.

Wednesday, July 21, 2010

હાઇવે હાઇકોર્ટ ની સામે અમિત જીતવા ની હત્યા.

અમદાવાદમાં હાઈકોર્ટની સામે આવેલા બિલ્ડીંગના પાર્કિંગ પાસે ગિર નેચર યુથ કલબના પ્રમુખની ફાયરિંગ કરી હત્યા કરવામાં આવી છે. સત્યમેવ કોમ્પલેક્સમાં વકીલને મળી પોતાની જીપ્સી કારમાં બેસવા જતા અમિત ઉપર બાઈક ઉપર આવેલા બે શખ્સોએ પાછળથી ફાયરિંગ કર્યું હતું. અમિત જેઠવાએ પ્રતિકાર કરતા બે હુમલાખોરો બાઈક અને એક તમંચો છોડી પલાયન થઈ ગયા હતા. સાયોના સિટી તરફ દોડીને નાસેલા હુમલાખોરોને પકડવા પોલીસે નાકાબંધી કરી છે. ગિરના જંગલમાં સિંહ અને પર્યાવરણની રક્ષાના નામે લડત આપતા અને અમુક વખત ચર્ચાસ્પદ બનેલા અમરેલી જિલ્લાના ખાંભાના વતની અમિત જેઠવાની હત્યાના કારણ અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. હાઈકોર્ટ સામે ફાયરિંગ કરી હત્યાના બનાવથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ, ક્રાઈમ બ્રાંચમાં દોડધામ મચી ગઈ છે.

વકીલને મળી જીપ્સીમાં બેસવા જતા અમિત જેઠવા પર ફાયરિંગ પ્રતિકાર કરતા બે હુમલાખોરો બાઈક અને તમંચો છોડીને પલાયન

અમરેલી જિલ્લાના ખાંભાના વતની અને છેલ્લા પંદરેક વર્ષથી ગિર નેચર યુથ કલબના નામે ગિરના જંગલમાં પર્યાવરણ અને સિંહની રક્ષા માટે સક્રિય બનેલા અમિત પી. જેઠવા (ઉ.વ. ૩૩) છેલ્લા એકાદ વર્ષથી અમદાવાદના ઘાટલોડીયાના વિશ્વાસ સિટી-૨માં સ્થાયી થયા હતા. પર્યાવરણ અને સિંહોના મુદ્દે અનેક રિટ કરનાર અમિત જેઠવા આજે રાતે હાઈકોર્ટ સામે આવેલા સત્યમેવ કોમ્પલેક્સમાં બીજા માળે વકીલ વિજય નાગેશને મળવા ગયા હતા.

રાતે પોણા નવ વાગ્યાના અરસામાં વકીલની ઓફીસમાંથી નીકળી પ્રથમ માળે કાગળોની ઝેરોક્સ કરાવી કોમ્પલેક્સના કોર્નર ઉપર પાર્ક કરેલી જીપ્સીમાં બેસવા જતા હતા. ડ્રાયવર સીટનો દરવાજો ખોલ્યો ત્યાં બાઈક ઉપર બે શખ્સો આવ્યા હતા. આ શખ્સોએ તમંચામાંથી ફાયરિંગ કર્યું હતું. પીઠમાં ગોળી વાગવા છતાં અમિત જેઠવાએ હૂમલાખોરો ઉપર તરાપ મારી હતી. ઝપાઝપી થતાં હુમલાખોરો બાઈક અને એક તમંચો છોડી નાસ્યા હતા. હુમલાખોરો સત્યમેવ કોમ્પલેક્સના ખૂણેથી સાયોના સિટી તરફ જતા રસ્તે ભાગ્યા હતા.

આ અંગે તરત જ સ્થળ પર પહોંચેલા સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એમ. કુંડલિયાએ જણાવ્યું હતું કે, જે રીતે અમીત જેઠવાના હાથ પણ પોતાના લોહીવાળા થયા અને એવા જ હાથે ઝપાઝપી કરી હોવાથી નાસી ગયેલા હુમલાખોરોમાંથી એકના શર્ટ પર લોહીના ડાઘ પડયા હોવાનું પોલીસ માની રહી છે. મૃતદેહને તત્ત્કાળ સોલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. જે અંગે તેમના પરિવારજનો અને મિત્રોને જાણ કરવામાં આવી રહી છે. પોલીસને બાઈક નીચેથી એક તમંચો પણ મળ્યો છે. છેલ્લે મળેલી માહિતી મુજબ, આરોપીઓ જે તરફ નાસ્યા ત્યાં પોલીસે ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરેલી તપાસમાં ૧૨ બોરના બે જીવતા કારતૂસ પણ મળ્યા હતા.

હાઈકોર્ટની સામે જ બનેલી ઘટનાની ગંભીરતા જોઈ સેક્ટર-૧ના જેસીપી સતીષ શર્મા, ઝોન-૧ના ડીસીપી બી.કે. ઝા અને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Monday, July 19, 2010

સીએના પરિણામમાં ભારતમાં ત્રીજો ક્રમ લાવનારો અમદાવાદ નો અર્ચિત શાહ.

અમદાવાદમાં રહેતા ૨૨ વર્ષના અર્ચિત અતુલભાઈ શાહે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ)ના ઓલ્ડ કોર્સની ફાઈનલ પરીક્ષાના પરિણામમાં સમગ્ર ભારતમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે. પ્રથમ પ્રયાસમાં નિષ્ફળ રહેલા અર્િચતે બીજી વાર બમણી મહેનત કરી ૮૦૦માંથી ૪૪૯ ગુણ મેળવવાની ઝળહળતી સિદ્ધિ મેળવી છે.

બીબીએ કરી રહેલા અર્િચતે જણાવ્યું હતું કે ‘સખત મહેનત, શ્રદ્ધા અને નસીબે આપેલા સાથથી મને આજે સારી સફળતા મળી છે. પ્રથમ પ્રયાસ વખતે મેં કોચિંગ લીધું હતું પણ મને સફળતા મળી ન હતી. જોકે મેં નિરાશ થવાના બદલે રેન્ક સાથે પાસ થવાના ઈરાદા સાથે બમણી મહેનત કરી હતી. મને આશા ન હતી કે મારો આટલો ઊંચો રેન્ક આવશે જ. પ્રથમ પ્રયાસમાં રહેલી ખામીઓ શોધી મેં આઠ વિષયની તૈયારી માટે સમય ફાળવ્યો હતો. સફળતા માટે  ફેરફારો સાથે અપડેટ રહેવું અને બુદ્ધિશક્તિનો ઉપયોગ મહત્ત્વનો હોય છે. આ માટે રેફરન્સનો મહત્તમ ઉપયોગ અને પેપર સોલ્વ કરવાથી ફાયદો રહે છે.’ ભાવિ પ્લાનિંગ અંગે અર્િચતે કહ્યું કે ‘પહેલાં કોર્પોરેટ ફાઈનાન્સ કંપનીમાં અનુભવ લેવા માંગુ છું, અને ત્યાર પછી થોડા વર્ષ પછી બિઝનેસ શરૃ કરવાનું પ્લાનિંગ છે.’

સુરતની દીપ્તિ બંકાએ સીએ ફાઇનલના નવા કોર્સમાં ૮૦૦માંથી ૫૧૭ માર્ક મેળવી સમગ્ર ભારતમાં ચોથો ક્રમ પાપ્ત કર્યો છે. પરિણામથી અત્યંત ખુશ દીપ્તિએ જણાવ્યું હતું કે એકાદ ઘટનાથી જીવન ડગુમગુ થવું જોઈએ નહીં અને મારા કપરા દિવસોમાં પરિવારજનોએ મને આપેલું પ્રોત્સાહન આજે આ સ્તરે લઈ આવ્યું છે અને હવે નોકરી કરવી છે.  સીએ ફાઈનલમાં ૨૦મો ક્રમ મેળવનાર રાજકોટના તેજસ રૃપાણીએ ન્યુ કોર્સમાં ૮૦૦માંથી ૪૭૩ ગુણ મેળવ્યા છે. તેજસનું કહેવું છે કે ‘પ્રથમ પ્રયાસે જ સફળતા મેળવવાનું કારણ એટલું જ કે હું કોઈ દબાણમાં રહેતો ન હતો. દિવસમાં મહત્તમ ૧૦ કલાક અભ્યાસ કરતો. ખાસ કરીને તમને ટ્રેઇનિંગમાં જે પ્રેક્ટિકલ જ્ઞાાન મળે છે તે મહત્ત્વનું બની રહે છે.’ તેજસ હવે જોબ કરીને અનુભવ મેળવ્યા પછી સીએ પ્રોફેશનલ બનવા માંગે છે.

પ્રેક્ટિકલ પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછાતાં પરિણામ ઘટ્યું

સી.એ. ઇન્સ્ટિટ્યૂટ વેસ્ટર્ન ઇન્ડિયા રિજિયનના ચેરમેન સીએ નિરેન નાગોરી કહે છે કે, ‘સીએ ફાઇનલની પરીક્ષાના પ્રશ્નોનું માળખું બદલાયું હોવાથી પરિણામ પર વપિરીત અસર પડી છે. અગાઉ પેપરમાં થિયરેટિકલ પ્રશ્નો પૂછાતા હતા. હવે પ્રેક્ટિકલ પ્રશ્નો ટિ્વસ્ટ કરીને પૂછાતા હોવાથી પરિણામમાં ઘટાડો થયો હોવાનું માની શકાય તેમ છે.’

Sunday, July 18, 2010

વરસાદી વાતાવરણથી લોકો પરેશાન

વરસાદ ની ભર્યું વાતાવરણ હોવા છતા વરસાદ પડતો ન હોવાથી લોકો ખુબજ ત્રાહિમામ થઇ ગયેલા જોવામળે છે.ખાલી અમદાવાદમાં જ વરસાદ નથી બાકી બધે સારો વરસાદ પડી ગયો છે.

અમદાવાદમાં અડધો જુલાઇ મહિનો વીતી ગયો હોવા છતાં હજુ વરસાદ ક્યાંય દેખાતો નથી. છેલ્લા બે દિવસથી શહેરમાં વરસાદી વાતાવરણ લોકોને અકળાવી રહ્યું છે. વરસાદ હમણા તૂટી પડશે તેવી ઉત્સુકતા લાવ્યા બાદ વાતાવરણમાં તરત જ ઉઘાડ નીકળી જાય છે. બીજી બાજુ વરસાદ આવતાં પહેલા વાતાવરણમાં પ્રવર્તી રહેલા ભેજના કારણે લોકોને મૂંઝારો થઇ રહ્યો છે.

બે દિવસથી વાદળો છવાય છે પણ વરસાદ નથી આવતો :બપોરે કેટલાક વિસ્તારમાં માત્ર ઝાપટું

જુલાઇ માસ અડધો વીતી ગયો છતાં શહેરમાં હજુ સુધી માત્ર ૬.૬૮ ઇંચ જ વરસાદ પડયો છે. છેલ્લા બ દિવસથી શહેરમાં આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહે છે પણ વરસાદ દેખાતો નથી. આજ બપોરે શહેરમાં ઝાપટું તૂટી પડયું હતું જેમાં માત્ર ૧.૬૫ મીમી વરસાદ પડયો હતો. આ વરસાદ ઇંચનો દસમો ભાગ પણ નહોતો. છેલ્લા બે દિવસમાં શહેરમાં એક પણ ઝોનમાં પા ઇંચ પણ વરસાદ પડયો નથી. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ ્અને સૂરજદાદા સંતાકૂકડી રમી રહ્યા છે. શહેરમાં માત્ર તુટક ઝાપટાં લોકોને અકળાવી રહ્યા છે. ભર ચોમાસે લોકોને વરસાદની રાહ જોવી પડી રહી છે.

ભેજના કારણે બ્લડપ્રેશર, ડાયાબીટીશ અને ભારે શરીર ધરાવતાં લોકોને ભારે મૂંઝવણ થઇ હતી. આખો દિવસ અકળાવનારા વાતાવરણને લીધે લોકો પરસેવે રેબઝેબ થઇ ગયા હતાં. શહેરમાં ઝાપટું આવી ને ગયા બાદ તરત જ તડકો નીકળતા શહેરમાં થયેલો કાદવકિચડ સૂકાઇ જાય છે. જેને લીધે શહેરમાં ધૂળ ખૂબ ઊડી રહી છે. ધૂળના કારણે અસ્થમાના દર્દીઓને પરેશાની થઇ રહી છે. ભારે ગરમી સહન કર્યા બાદ હવે ્અમદાવાદીઓને ભેજ સહન કરવાનો વારો આવ્યો છે. લોકો હવે ધોધમાર વરસાદ આપવા માટે વરુણદેવને પ્રાર્થના કરી રહ્યા છે.

Friday, July 16, 2010

અમદાવાદમાં ૭૯ પાર્ટી પ્લોટો સીલ : ગેરકાયદે બાંધકામ ને પાર્કિંગ ને લીધે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલા ૭૯ પાર્ટી પ્લોટને સીલ મારતાં પાર્ટી પ્લોટના સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨ પ્લોટ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૪ પાર્ટી પ્લોટને સીલ કરાયા છે. ગેરકાયદે બાંધકામ અને પાર્કિંગની સુવિધા વિનાના પાર્ટી પ્લોટને સીલ મારવાની ઝૂંબેશનો પ્રારંભ કરાયો છે અને બે-ત્રણ દિવસમાં આ કાર્યવાહી પૂરી કરાશે.

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨ અને મધ્ય ઝોનમાં ૪ પાર્ટી પ્લોટ સીલ કરાયાઃ પાર્ટી પ્લોટના સંચાલકોમાં ફફડાટ

છેલ્લા કેટલાક દિવસથી પાર્ટીપ્લોટ્સ સીલ કરવા માટે વિચારણા ચાલી રહી હતી. રથયાત્રાના કારણે પોલીસ બંદોબસ્ત મળી શક્યો નહોતો, તેથી શુક્રવારે પોલીસ બંદોબસ્ત મળતાં જ જુદા જુદા ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતાને પાર્ટીપ્લોટ સીલ મારવાની કાર્યવાહી શરૂ કરવા ડે. કમિશનર તરફથી આદેશ આપવામાં આવ્યો હતો.

પાર્ટીપ્લોટ્સ ઉપર ત્રાટકવાનો આદેશ મળતાં જ પશ્ચિમ ઝોનમાં ૩૨, નવા પશ્ચિમ ઝોનમાં ૧૦, ઉત્તર ઝોનમાં ૧૦, દક્ષિણ ઝોનમાં ૧૩, પૂર્વ ઝોનમાં ૧૦ અને મધ્ય ઝોનમાં ચાર મળી કુલ ૭૯ પાર્ટીપ્લોટને સીલ મારી દેવામાં આવ્યાં હતાં. દરેક ઝોનમાં એસ્ટેટ ખાતાના અધિકારીઓએ દબાણની ગાડીઓ તથા કર્મચારીઓના કાફલા સાથે સવારથી જ પાર્ટીપ્લોટ સીલ કરવાનું શરૂ કર્યું હતું. જે પાર્ટીપ્લોટને સીલ કરવાના બાકી છે તેને આવતીકાલે અને રવિવારે પણ કાર્યવાહી ચાલુ રાખી સીલ મારી દેવાશે. મ્યુનિ. દ્વારા પાર્ટીપ્લોટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરાતાં સંચાલકો એકત્ર થઈ ગયા હતા અને વાતાવરણમાં ભારે ઉશ્કેરાટ વ્યાપી ગયો હતો અને એક તબક્કે મ્યુનિ. કર્મચારીઓને માર પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી.

કયા ઝોનમાં કયો પાર્ટીપ્લોટ સીલ કરાયો ?

મધ્ય ઝોન : (શાહીબાગ- ગિરધરનગર) રાણી શક્તિ સેવા સમિતિ, પંચાલ મિલન મંદિર, મહેશ્વરી સેવા સમિતિ, ઘાસીરામ ચૌધરી હોલ

પૂર્વ ઝોન :  (નિકોલ, ઓઢવ, ભાઇપુરા, રાજપુર) જીવણવાડી, ભગવતી મેરેજ હોલ, કમલપૂજા, બળિયાદેવ, દદુ પાર્ટી પ્લોટ, તિલક પાર્ટીપ્લોટ, પ્રિયા પાર્ટીપ્લોટ, પાર્શ્વનાથ જૈન ભવન, પાયલ તથા ગોવર્ધન પાર્ટીપ્લોટ

દક્ષિણ ઝોન : (બાગે ફિરદોસ, વટવા, ઇસનપુર)- શ્રી મનમંદિર ફાર્મ પાર્ટીપ્લોટ, કરણ કમલેશ, શ્રીરામ પાર્ટીપ્લોટ, વૃંદાવન- બંસીધર અને મંગલદીપ પાર્ટીપ્લોટ, ભરત, શકરીબા, જલારામ તથા રાધાકૃષ્ણ પાર્ટીપ્લોટનો તેમજ નાથાભાઇ તેમજ મહાશક્તિ પાર્ટીપ્લોટ અને પાલખી ફાર્મ

નવા પશ્ચિમ ઝોન : (વેજલપુર, ઘાટલોડિયા, ચાંદલોડિયા, ચેનપુર, ગોતા)- વિવેકાનંદ, સૂર્યા તથા કે.કે. નગર પાર્ટીપ્લોટ, વિવાહ, બૂટભવાની તેમજ ઉમિયા પાર્ટીપ્લોટ તથા અમિરાજ અને અવનિ પાર્ટીપ્લોટ ઉપરાંત ડી.એસ. ફાર્મ તથા ક્રિષ્ણા ફાર્મ પાર્ટીપ્લોટળ

પશ્ચિમ ઝોન : (ભૂયંગદેવ, સોલારોડ, નારણપુરા, મેમનગર) સહેલી, મંગળતીર્થ, લાડલી તથા પૂજન પાર્ટીપ્લોટ, ઉત્સવ, શૃંગાર સ્વાગત, અમૃતબાગ તથા અંબિકા પાર્ટીપ્લોટ, ભૂમિ, શ્રીપદ, મનોરમા (કોંગ્રેસના ધારાસભ્ય શૈલેશ પરમાર) તથા કનક, અતિથિ અને પાર્થ પાર્ટી પ્લોટ, સાજન, આતિથ્ય, પાયલ, હર્ષ, આશીર્વાદ, સુહાગ, અક્ષર અને સોપાન પાર્ટીપ્લોટ, મંગળા ફાર્મ પાર્ટીપ્લોટ, સપ્તક (વિવેક પ્રહલાદભાઈ પટેલ-ભાજપ), સિંદૂર તથા પૂજા પાર્ટી પ્લોટ અને અર્ચના, કેશવબાગ, શકમ્બા, ચંદ્રગુપ્ત તથા માનવમંદિર પાર્ટીપ્લોટ

ઉત્તર ઝોન : (કુબેરનગર, સરદારનગર, ઠક્કરબાપાનગર) - ગુલશન પાર્ટીપ્લોટ, પ્લેઝર, પિકનિક, અવસર, રિસર્જન પાર્ટીપ્લોટ તથા શ્રીમતી હરદેવી, શાંતિ પ્રસાદ તથા ગણેશ, મધુસંબંધ અને ખોડિયાર પાર્ટીપ્લોટ

અમદાવાદ એરપોર્ટ માં નવું ટર્મિનલ.

અમદાવાદ માં ડોમેસ્ટીક ટર્મિનલ તો અપડે જોયું હશે પણ એની સામે નવું ટર્મિનલ બન્યું જે ખુબજ દયાન કેન્દ્રિત કરે તેવું છે.

અમદાવાદ એરપોર્ટના નવા ટર્મિનલ -૨નું ડિઝાઈન ખૂબ જ અધ્યતન સ્ટાઇલનું હોવાથી મુસાફરો ઉપરાંત તેમને લેવા કે મુકવા આવતાં લોકોને ઘણી રાહત થશે. આ નવું ટર્મિનલ સંપૂર્ણપણે કાચથી બનેલું હોવાથી અંદર પ્રવેશનારી દરેક વ્યક્તિ રન-વેના સીધા ‘દર્શન’ કરી શકશે.

હાલ ચાલતા ઇન્ટરનેશનલ ટર્મિનલમાં રન-વેથી વિમાનોની અવરજવર જોવા માટે વ્યુઅર્સ ગેલેરીમાં જવું પડે છે અને તેના માટે રૂ. ૬૦ની ટિકિટ લેવી પડે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નવા ટર્મિનલ-૨માં પ્રવેશ ફી તો રાખવામાં આવશે. પરંતુ તે કેટલી હશે તે હજુ નક્કી થયું નથી. પરંતુ એ વાત ચોક્કસ છે કે રન-વેથી અવરજવર કરતા વિમાનો જોવાનો લ્હાવો ટર્મિનલમાં પ્રવેશતી દરેક વ્યક્તિ સરળતાથી લઇ શકશે.

Thursday, July 15, 2010

ભારતીય નાણું રૂપિયા ને મળી નવી ઓળખ.

ભારતીય રૂપિયો હવે ડોલર, પાઉન્ડ સ્ટર્લિંગ, યૂરો અને યેન જેવા ચલણોની કલબમાં સામેલ થઇ જશે, જેને પોતાનું આગવું પ્રતિક ચિન્હ મળી ગયું છે. રૂપિયાનું ચિહ્ન નક્કી કરવા માટે પાંચ સભ્યોની પેનલે આઇઆઇટી પોસ્ટ ગ્રેજ્યુએટ ડી.ઉદયકુમારના સિમ્બોલને શોર્ટલિસ્ટમાંથી પસંદ કર્યું છે અને તેને કેબિનેટની મંજૂરી માટે મોકલવામાં આવ્યો છે. આજે કેન્દ્રીય કેબીનેટની યોજાનાર બેઠકમાં આ સિમ્બોલને મહોર લાગી જાય તેવી શક્યતા છે.

પાંચ સભ્યોની જજ પેનલે રૂપિયા માટે ચિન્હને જુદા જુદા ચિન્હોમાંથી સિલેક્ટ કર્યો છે. આ ડિઝાઈન આઈઆઈટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડી. ઉદય કુમાર દ્વારા મોકલાવામાં આવી હતી. સભ્યોએ આ ડિઝાઈન એપ્રુવલ માટે કેબિનેટની મોકલી છે જેના પર ફાઈનલ મહોર લાગી જવાની તૈયારીમાં છે.

ઉદય કુમારે આ ચિહ્નની ડિઝાઈન વિશે વાત કરતાં જણાવ્યું હતું કે મારો સિમ્બોલ ભારતના ત્રિરંગા ઉપર આધારિત છે જે સિમ્બોલની ઉપરની બે લાઈન દ્વારા દર્શાવાય છે. જેથી રૂપિયાના સિમ્બોલમાં ભારતીય ધ્વજની ઝાંખી થાય. જ્યારે ભારતીય અને રોમન ભાષાનું મિશ્રણ કરવામાં આવ્યું છે જેમાં કેપિટલ R અને દેવનાગરી ‘ર’ એમ બંનેમાં ‘રૂપિયા’ના પ્રથમ અક્ષર તરીકે પ્રસ્તુત કરે છે. જે ભારતીય અને વિદેશી બંને ભાષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

Wednesday, July 14, 2010

ગુરુકુળમાં રથયાત્રા ફરી જેણે ઘણું આકર્ષણ રાખ્યું.

પશ્ચિમ અમદાવાદના મેમનગર ગુરુકુળ દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી યોજાતી રથયાત્રા આ વરસે પણ દબદબાપૂર્વક નીકળી હતી. પશ્ચિમ વિસ્તારના શહેરીજનોએ ભક્તિભાવપૂર્વક યાત્રામાં ભાગ લીધો હતો. યાત્રા દરમિયાન આશરે ચારથી પાંચ હજાર કિલો મગ, જાંબુ, કાકડી અને વિવિધ ફળોનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો.

યાત્રાના આયોજકો દ્વારા સ્વર્ણિમ ગુજરાતના સંકલ્પરૂપે ૧૦ હજાર ફળાઉ અને ઘટાદાર વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું હતું. સ્વામીનારાયણ ગુરુકુળના પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી અને ભક્તિપ્રસાદદાસજી સ્વામી તથા વિશ્વ હિંદુ પરિષદ અને માનવમંદિરના ૫૦થી વધુ સંતો-મહંતોએ અષાઢી બીજે બપોરે ભગવાનની આરતી ઉતારી હતી જ્યારે ગૃહ રાજ્યમંત્રી અમિત શાહ અને પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પહિન્દ વિધિ કરાવી યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.

ગુરુકુળના શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વર્ણિમ ગુજરાત, હરિયાળું ગુજરાત બને તેવા ઉમદા હેતુથી આ વર્ષે ‘છોડમાં રણછોડ’ એ સૂત્રને સાર્થક કરવાના સઘન પ્રયાસો કરવામાં આવ્યા છે. વ્યસનમુક્તિનાં બેનર્સ દ્વારા નગરજનોને સ્વાસ્થ્ય સંબંધી સંદેશો પહોંચાડવામાં આવ્યો છે. શહેરની પરંપરાગત યાત્રાનાં દર્શને જઈ ન શકતા આબાલવૃદ્ધોએ આ યાત્રાનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

જયારે આપણે જાણીએ છીએ તેમ શહેરમાં તો લોકો ના ટોળે-ટોળાઓ થઇ જાય છે અને આ વખત ની રથયાત્રા માં ખાસ વસ્તુ આપણ ને એ જોવા મળી કે શાહપુર,દરિયાપુર જેવી જગ્યાઓ એ મુસ્લિમ પરિવારો એ દર્શન અને પ્રશાદ લેવા માટે પડ-પડી કરી હતી જેથી તેઓ રથ ને આવકાર્ય અને એમના દર્શન કાર્ય. આ પ્રકાર ની ક્રિયા સાથે ભગવાન આપના પર ખુબજ પ્રેમભાવ દર્શાવા માંગે છે જેથી આપડે લોકો એ હળી-મળીને રેહવું જોઈએ અને એક-બીજાને મદદરૂપ થવું જોઈએ.જેથી આવખતે શહેર નું વાતાવરણ જ કંઈક અલગ આપણ ને જોવા મળે છે.

Monday, July 12, 2010

૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપ માં કરોડોનો સટ્ટો રમાયો - સ્પીન ફેવરીટ.

૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપની રવિવારે મોડીરાત્રે ફાઇનલ મેચ પર કરોડો રૂપિયાનો સટ્ટો ખેલાયો હતો. પ્રથમવાર ફાઇનલમાં પહોંચનાર સ્પેનને હોટ ફેવરિટ ગણાવી તેનો ભાવ ૧.૦૭ પૈસા ખોલ્યો છે. બીજી તરફ ઓક્ટોપસ બાબાની સતત સાચી પડી રહેલી આગાહીને જોતાં ઓક્ટોપસ અને પોપટની આગાહીઓ પર પણ રમાઇ રહેલા સટ્ટામાં બુકીઓએ ઓક્ટોપસ પર પસંદગી ઉતારી તેનો ભાવ ૫૭ પૈસા રાખ્યો છે.

બે વર્ષી ઓક્ટોપસ પૌલે અગાઉથીજ ફૂટબોલની ફાઇનલમાં સ્પેન જીતશે તેવી આગાહી કરતાં બુકીઓએ પણ સ્પેન તરફ પસંદગી ઉતારી સ્પેનનો ભાવ મેચ શરૂ થતાં પહેલાં ૧.૦૭ પૈસા ખોલ્યો છે, જ્યારે નેધરલેન્ડનો ભાવ ૩.૧૦ પૈસા છે. સ્પેન અને નેધરલેન્ડની ફાઇનલ મેચ ડ્રો થવાનો ભાવ ૨.૫૦ પૈસા ભાવ ખોલ્યો છે.

મેચ ઘણીજમતા લોકો માં ઘણા બધા ઉતાર - ચડાવ જોવા મળ્યાતા અને લોકોમાં ભારે ઉત્સુકતા પણ જોવા મળી હતી.જેથી સ્પીન વધારે ફેવરીટ હોવાથી મોટા ભાગના લોકો એ એની તરફ વધારે ધ્યાન આપ્યું હતું ને પસંદ કર્યું હતું.છેલ્લી ઘડીએ દિલધડક ગોલ મારતાની સાથે સ્પીન ૨૦૧૦ ફિફા ફૂટબોલ વર્લ્ડકપ જીતી ગયું.

બીજી તરફ ફૂટબોલ મેચમાં જીત પર આગાહી કરી રહેલા ઓક્ટોપસ અને ફિફા...પોપટ પૈકી બુકીઓએ ઓક્ટોપસ પર પસંદગી ઉતારી ઓક્ટોપસનો ભાવ ૫૭ પૈસા જ્યારે ખાવાનો ભાવ ૫૯ પૈસા ખોલ્યો છે, આજ રીતે પોપટનો ભાવ ૧ રૂપિયો અને ખાવાનો ભાવ ૧.૧૦ પૈસા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

Friday, July 9, 2010

અમદાવાદ સહીત ૧3૬ રથયાત્રા નીકળવાની હોવાથી પોલીસ સતર્ક.

રાજ્યમાં આગામી ૧૩મી તારીખે અમદાવાદ સહિત ૮૯ સ્થળોએથી નિકળનારી ભગવાન જગન્નાથની રથયાત્રા અને ૪૭ જેટલી શોભાયાત્રા માટે રાજ્ય પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે તેમ જણાવી રાજ્યના પોલીસ વડા એસ.એસ.ખંડવાવાલાએ કહ્યું હતું કે, તકેદારીના ભાગરૃપે રાજ્યમાં તમામ પોલીસ અધિકારી અને જવાનોની રજાઓ ઉપર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. અમદાવાદમાં રથયાત્રા દરમ્યાન જરૃર જણાશે તો હેલીકોપ્ટર મારફતે નિગરાની રાખવામાં આવશે. આ વખતે રથયાત્રા દરમ્યાન કોઈ અનિચ્છનીય બનાવ અંગે આઈબી દ્વારા કોઈ જ પ્રકારના ઈનપુટ મળ્યા નથી. પડોશી રાજ્યો દ્વારા પણ ૧૫ થી વધુ કંપનીઓ ફાળવવામાં આવનાર છે.

પોલીસ અધિકારીઓ, જવાનોની રજા પર પ્રતિબંધ ઃ જરૃર પડે હેલિકોપ્ટરનો ઉપયોગ ઃ ખંડવાવાલા

આ ઉપરાંત કેન્દ્ર સરકાર પાસેથી૨૦ ટીમો ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્ર રાજ્ય પાસેથી ૧૦-૧૦ કંપનીઓની માગણી રાજ્યના પોલીસવડાએ કરી હતી. જેમાંથી રાજસ્થાનની પાંચ કંપનીઓ ગુજરાતમાં રથયાત્રાના બંદોબસ્ત માટે આવી ગઈ છે. જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની ૧૫ કંપનીઓ એકાદ દિવસમાં આવશે તેમ વધુમાં ખંડવાવાળાએ ઉમેર્યું હતું.

રાજ્યમાં શાંતિમય રીતે રથયાત્રાની ઉજવણીમાં સહેજેય કચાશ ના રહે તે હેતુથી એટીએસ તથા સીઆઈડીના ઈન્ટેલિજન્સ બ્યુરોના અધિકારીઓને સતત મોનિટરિંગ  રાખવા  સૂચના આપવામાં આવેલ છે. આ ઉપરાંત ખાનગી કપડાંમાં પણ પોલીસ તહેનાત રહેશે. જે જગ્યાએ રથયાત્રા મોટાપાયે ઉજવાય છે તે તમામ જગ્યાએ રેલવે સ્ટેશન, બસ સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ફોર્સ રાખી  આવવા-જતાં મુસાફરો અને શંકાસ્પદ વ્યક્તિઓની પોલીસ તલાશી લઈ રહી છે. આ ઉપરાંત એટીએસના હેડકવાર્ટસ ખાતે ૨૮મી જૂનથી ત્રીજી જુલાઈ સુધી  નિષ્ણાતો દ્વારા  બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલની તાલીમ રાજ્યના કેટલાક અધિકારીઓને આપવામાં આવી છે. રથયાત્રા સંદર્ભે પોલીસ વિભાગના અધિકારી તથા અન્ય સ્ટાફની રજાઓ  કેન્સલ કરી તેમને સ્ટેન્ડ ટુ પર રહેવાનો હુકમ પણ રાજ્યના પોલીસવડાએ કર્યો છે. રથયાત્રાના કારણે આર્મીને પણ એલર્ટ રાખવામાં આવી છે.

દરિયાપુર માં જુનું મકાન તૂટી પડ્યું.૨ ના મોત.

અમદાવાદના દરિયાપુર વિસ્તારના પોપટીયાવાડમાં એક વર્ષો જૂનું મકાન શુક્રવારે વહેલી સવારે જમીનદોસ્ત થતા ચાર લોકો દટાયા હતાં જેમાંથી બે ના મોત થયાનું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગ્યાની આસપાસ દરિયાપુરના પોપટીયાવાડમાં આવેલું એક મકાન અચાનક ધડાકાભેર ધરાશાયી થયું હતું. જેથી તેમાં રહેતા ચાર લોકો દટાયા હતાં. ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડ અને આજુબાજુ રહેતા લોકો બચાવ કાર્યમાં જોતરાઈ ગયા

ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢવા પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે બીજી બાજુ ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના જવાનો દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી કાટમાળ નીચે દટાયેલા પરિવારના સભ્યોને બહાર કાઢ્યા હતા.

જે પૈકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ. જ્યારે અન્ય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે વાસા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જો કે હાલમાં પોલીસની કામગીરી ચાલી રહી હોવાથી મૃતક તેમજ ઇજાગ્રસ્તોના નામ પ્રાપ્ત થઇ શક્યા નથી.

Wednesday, July 7, 2010

આતંગવાદીઓ રથયાત્રા માં અશાંતિ સર્જે તેવી શક્યતા.

થાડોઅક સમયથી ભારત પર આતંગવાદી હુમલાનું જોખમ રહેલું જોવામળે છે.જેથી અમદાવાદ માં રથયાત્રા દરમિયાન અશાંતિ ફેલવવા આતંકવાદી તત્વો સ્થાનિક શખ્સોનો ઉપયોગ કરી શકે છે તેવા ગુપ્તચર શાખાના અહેવાલને પગલે શહેર પોલીસ સફાળી જાગી છે. જે અંતર્ગત કોમી તોફાનોમાં ભૂતકાળમાં પકડાયેલા શખ્સો,પ્રોફેશનલ છુરાબાજ,હિસ્ટ્રિશિટરો તેમજ ગંભીર ગુનાઓમાં નાસતા ફરતા શખ્સોની તપાસ માટે પોલીસે શહેરભરમાં ખાસ ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું. જેમાં ૯૪ પ્રોફેશનલ છુરાબાજ સહિત કુલ ૬૩૬ તત્વોને ચેક કરાયા હતા.

કેટલાક ભાંગફોડિયાં તત્વો દ્વારા રથયાત્રા દરમિયાન વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં ચાલુ વર્ષની રથયાત્રા દરમિયાન આતંકવાદી હુમલાની દહેશત હોવાની આશંકા ગુપ્તચર શાખાએ વ્યક્ત કરી હતી. તેમાં પણ રથયાત્રામાં અશાંતિ ફેલાવવા માટે સ્થાનિક શખ્સોનો ઉપયોગ કરવામાં આવવાનો હોવાની આશંકા ગુપ્તચર શાખાએ વ્યક્ત કરી હતી.

જેની ગંભીરતાથી નોંધ લઇ રથયાત્રા દરમિયાન તકેદારીના ભાગરૂપે શહેર પોલીસ દ્વારા ૬ જુલાઇને મંગળવારે બપોરે ૩.૦૦ થી સાંજના ૭.૦૦ વાગ્યા સુધી ખાસ ચેકિંગ અભિયાન હાથ ધરાયું હતું. જેમાં ભૂતકાળમાં કોમી તોફાનોમાં સંખ્યાબંધ વખત પકડાયેલા ૧૮૭ શખ્સોને ચેક કરાયા હતા.

આ ઉપરાંત કોમી તોફાનોમાં એક વખત પકડાયેલા, ખૂન-ખૂનની કોશિશ જેવા ગુનાઓમાં પકડાયેલા તેમજ એક કરતા વધારે વખત પકડાયેલા કુલ ૧૩૯ શખ્સોને ચેક કરાયા હતા.

આ સાથે ૨૯૬ હિસ્ટ્રિશિટરો તેમજ ૯૪ પ્રોફેશનલ છુરાબાજ ઉપરાંત જુદા જુદા ગુનાઓમાં નાસતા ફરતા ૧૫ આરોપી અને ૯ એમસીઆર કાર્ડધારક (વાહનચોરી, ઘરફોડ,ધાડ,લૂંટ સહિતના મિલકત સંબંધી ગુનાઓમાં એક વખત પકડાયા હોય તેવા) ચેક કરવામાં આવ્યા હતા.

વરસાદ ની સરુઆત થતાજ અમદાવાદ માં ઠેરઠેર ભૂવાઓ પડ્યા.

અમદાવાદમાં વાદળઘેર્યા વાતાવરણ વચ્ચે આજે વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. છેલ્લાં ૨૪ કલાકમાં સરેરાશ ૧૧ મી.મી. વરસાદ પડયો હતો જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસું શરૃ થયા પછી ભુવા પડવાનું પણ ચાલુ રહ્યું છે અને આજે વધુ ૮ ભુવા પડયા છે. વરસાદને કારણે ૧૧ ઝાડ ધરાશાયી થયા છે.

પૂર્વ ઝોનમાં સવા ઈંચથી વધુ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ ૧૧ સ્થળે ઝાડ ધરાશાયી થયા

આજે  પૂર્વમાં ૩૩ મિ.મી., પશ્ચિમમાં ૦.૧૭ મિ.મી., નવા પશ્ચિમ ઝોનમાં ૧.ર૦, મધ્ય ઝોનમાં ૦.પ મિ.મી., ઉત્તર ઝોનમાં ૧૪ મિ.મી., અને દક્ષિણ ઝોનમાં ૧૬ મિ.મી. વરસાદ નોંધાયો છે. શહેરનો સરેરાશ અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. જેના લીધે શહેરમાં ૮ સ્થળે ભૂવા પડયાની અમ્યુકોના કન્ટ્રોલરૃમને ફરિયાદ મળી હતી. જેમાં ઓઢવ વિમલપાર્ક પાસે, ઓઢવ રોડ પર, ઘાંચીની પોળમાં, ખુદ અમ્યુકો કચેરી પાસે દાણાપીઠ, ચંદ્રનગર જવાના રસ્તે અંજલિ ચાર રસ્તા, સુમેરું સોસાયટી વેજલપુર, સોમેશ્વર કોમ્પલેક્ષ થલતેજ રોડ અને બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એમ કુલ ૮ સ્થળે ભૂવા પડયા હતા.

ગોમતીપુર ફાયર સ્ટેશન પાસે, ઓઢવ, બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે, સૈજપુર ગરનાળું, બાલકૃષ્ણનગર, ભાર્ગવ રોડ, બંગલા એરિયા, સત્યનારાયણ દૂધવાળાની ગલી, છોટાલાલની ચાલી, સૈજપુર ટાવર પાસે, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે આ રસ્તા બંધ થઈ ગયા હતા. સૈજપુર ગરનાળામાં તો ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જવાના કારણે લોકોએ બેથી અઢી કિલોમીટર ફરીને જવું પડતું હતું. લોકો આટલી હાલાકી વેઠી રહ્યા હોવા છતાં  અધિકારીઓ કે પદાધિકારીઓનું પેટનું પાણી હલ્યું નહોતું.

Monday, July 5, 2010

શહેર માં મોડીરાત્રે બે ટોળા વચ્ચે પથ્થરમારો, SRP નો ગોળીબાર.

ખાનપુરમાં કલ્યાણીવાસ નજીક બે ધર્મ સ્થળો આવેલા છે. જેમાંથી આજે સાંજે એક ધર્મસ્થળ પાસે સંદલ વિધિનો કાર્યક્રમ ચાલતા હોવાથી લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું. સ્પીકરના અવાજને લઇને સંદલ વિધિમાં શણગાર કરતા બે ટોળાં વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યાર પછી જોતજોતમાં બે પક્ષો વચ્ચે પથ્થરમારો શરૃ થઇ ગયો હતો. જોકે ફરજ પર તહેનાત એસઆરપી જવાનોએ ટોળાંને કાબૂમાં લેવા હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. પરિણામે ટોળાં વિખેરાઇ  પથ્થરમારો બંધ થઇ ગયો હતો.

કલ્યાણીવાડ પાસેના ધાર્મિક સ્થળ પર કાર્યક્રમ હતો. જેના કારણે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. જમણવાર ચાલુ હતો ત્યાં બે અલગ અલગ કોમના યુવકો વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચકતા બંને કોમનાં ટોળા આમને સામને આવી ગયાં હતાં અને એકબીજા પર પથ્થરમારો કરવા લાગ્યા હતા.

દરમિયાન સ્થાનિક પોલીસ પહોંચે તે પહેલા બંદોબસ્તમાં તહેનાત એસ આર પીના જવાનો તાત્કાલિક ત્યાં પહોંંચી ગયાં હતાં અને હવામાં બે રાઉન્ડ ગોળીબાર કરીને ટોળાને વિખેરી નાંખ્યાં હતાં. શાહપુર પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી અને તોફાની તત્વોને પકડવા માટે કોમ્બિંગ ઓપરેશન શરૂ કર્યું હતું.

શાહપુરમાં અજંપાભરી શાંતિ

દોઢ મહિના પહેલા શાહપુરમાં મોટાપાયે કોમી તોફાનો થયાં હતાં, જેમાં એક શખ્સનું મોત પણ નીપજ્યું હતું. શાહપુર સંવેદનશીલ વિસ્તાર હોવાથી આજુબાજુના વિસ્તારમાંથી પોલીસ કૂમક બોલાવીને પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે. આ લખાય છે ત્યારે શાહપુરમાં અજંપાભરી શાંતિ પ્રવર્તી રહી છે.

Saturday, July 3, 2010

અમુલ દૂધ માં એક લીટરે ૨ નો વધારો થશે.

ગુજરાત અને દિલ્હીમાં દૂધની કિંમતમાં પ્રતિ લીટર રૂપિયા બેનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં દૂધની કિંમતનો આ વૃદ્ધિદર જુલાઈના બીજા અઠવાડિયાથી લાગુ પડશે. આ અંગે જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર. એસ સોઢીએ જણાવ્યું હતું, "ઈંધણની કિંમતોમાં થયેલી વૃદ્ધિ આ ભાવવધારાનું કારણ છે. ગુજરાતમાં અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિની કિંમતમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે અમૂલ તાજા અને સ્લિમ તેમજ ટ્રિમમાં પ્રતિ લીટર 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે."

આ વધારાની સાથે અમૂલ ગોલ્ડ અને અમૂલ શક્તિની કિંમત ક્રમશ: 30 અને 28 રૂપિયા પ્રતિ લીટર થશે. જ્યારે અમૂલ તાજાની કિંમત 24 રૂપિયા પ્રતિ લીટર થશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2010માં અમૂલે બીજી વખત તેની કિંમતમાં વધારો કર્યો છે. આ પહેલા ફેબ્રુઆરી માસમાં જીસીએમએમએફે દૂધની કિંમતમાં વધારો કર્યો હતો.

વરસાદ નું ધમાકેદાર આગમન : અમદાવાદ

ઉનાળાની પ્રચંડ ગરમી બાદ એક પખવાડિયા સુધી અસહ્ય ઉકળાટ, ગરમી વચ્ચે ત્રસ્ત નગરજનોની આતુરતાનો અંત શુક્રવારે મોડી સાંજે આવ્યો હતો. લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ મોડી સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને પવનના સૂસવાટા, વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વર્ષા રાણીનું આગમન થતાં શહેરીજનો નાચી ઊઠયા હતા.

ઠેરઠેર લોકો મોસમના પ્રથમ વરસાદમાં પલળવાનો આનંદ લેવા માટે રોડ ઉપર આવી ગયા હતા. પશ્ચિમ વિસ્તારમાં લોકો ગાડીઓ લઇને ઊમટી પડયા હતા. જ્યારે પોતાના ધંધા-રોજગારના સ્થળેથી ઘરે જઇ રહેલા દ્વીચક્રિ વાહન ચાલકોએ પણ પલળવાનો આનંદ માણ્યો હતો. આજે દિવસભર ઉકળાટ બાદ મોડી સાંજે શહેરમાં ઠંડો પવન ફૂંકાયો હતો. ત્યાર બાદ રાત્રે શહેરના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડયો હતો. જેમાં ચાંદખેડા, સાબરમતી, નરોડા, શાહીબાગ સહિત પૂર્વના કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોડી રાત્રે પશ્ચિમ અમદાવાદમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ પડતા સમગ્ર વાતાવણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમીમાં ત્રાહિમામ્ પોકારી ગયેલા લોકોએ કાગડોળે વરસાદની રાહ જોયા બાદ આજે રાત્રે શહેરના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને પવનના સૂસવાટા અમદાવાદમાં મેઘરાજાની પધરામણી થતાં લોકોના જીવમાં જીવ આવ્યો હતો. ચારેકોર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા સહિત આહ્લાદકતા પ્રસરી ગઈ છે.

કાગડોળે મેઘરાજાની રાહ જોતાં તમામ લોકો જાણે કે નવું જીવન મળ્યાનો અહેસાસ કર્યો હતો. મોડી રાત્રી સુધી અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થયાનું અને વરસાદ ચાલુ હોવાના અહેવાલ મળી રહ્યા છે. વરસાદ પડવાને કારણે છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ઉકળાટથી ત્રાહિમામ પોકારી ઊઠેલી પ્રજાને ગરમીથી છુટકારો મળ્યો હતો. આ ઉપરાંત મોડી રાત સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ઉત્તર ગુજરાત અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-પવનના સૂસવાટા સાથે વરસાદ પડયો હતો.
 

Friday, July 2, 2010

મિસ્ટર અને મિસ્સ અમદાવાદ સેન્ટ્રલ 2010

અમદાવાદ સેન્ટ્રલ મોલે પોતાની જાહેરાત માટે તારીખ ૨૭ જુન ના રોજ મિસ્ટર અને મિસ્સ અમદાવાદ સેન્ટ્રલ નું આયોજન કર્યું હતું. જેમાં મોડેલ્સ અને ફ્રેશર્સ એ ભાગ લીધો હતો.જેમાં ઘણા બધા મોડેલ્સ એ બીજી જગ્યાઓથી વિજેતા થયેલા હતા.જેથી તેઓએ બધાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.આ સ્પર્ધા માટે તે લોકોએ ઘણી  બધી મેહનત કરી હતી. જેથી લોકો ઘણા ઉત્સાહ સાથે જોવા તૈયાર હતા.

આ સ્પર્ધામાં જેમણે ભાગ લીધો હતો તેમની પાસે થી કેટ વોક કરાવ્યું હતું.અને બીજી ગેમ્સ રમાડી હતી.પણ આપણે જાણીએ જ છીએ કે વિજેતાતો ૧ જ બનવાનું હતું.છતાં પણ લોકો ના સાથ સહકાર થી આ પ્રોગ્રામ સારો રહ્યો અને વિજેતા જાહેર કરાયા હતા.

Thursday, July 1, 2010

કુલપતિ પરિમલ ત્રિવેદી પર અબીવીપી ના કાર્યકરો નો ઘરમાં ઘૂસીને હુમલો.

ગુજરાત યુનિવર્સિટીના ઈતિહાસના કાળા પન્ને લખાય તેવા કિસ્સામાં કુલપતિને ઘરમાં ઘૂસીને વિદ્યાર્થીઓએ હુમલો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. કુલપતિ પરિમલ ત્રિવેદી આજે સાંજે કુલપતિ નિવાસ ઉપર મહેમાન સાથે બેઠા હતા ત્યારે વિદ્યાર્થી પરિષદ (એ.બી.વી.પી.)ના દસ વિદ્યાર્થીઓ ઘરમાં ઘૂસી ગયા હતા. રજૂઆતોના મામલે કુલપતિના પગ પકડી લેતા પોલીસ બોલાવાઈ હતી. આથી વિદ્યાર્થીઓએ કુલપતિ ઉપર હુમલો કરી ફેંટો અને ગડદાપાટુનો માર માર્યો હતો અને નખ પણ વગાડયા હતા. ઝપાઝપીમાં કુલપતિનું શર્ટ પણ ફાડી નાંખવામાં આવ્યું હતું. પોલીસે એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય કારોબારી સભ્ય સહીત દસ વિદ્યાર્થીઓની લાઠીચાર્જ કરી ધરપકડ કરી છે.

કોઈ કારણ કે રજૂઆત વગર ગેરકાયદે ઘરમાં ઘૂસી હુમલો કર્યાની ફરિયાદઃ ૧૦ની ધરપકડ, લાઠીચાર્જ

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પરિમલભાઈ હસમુખભાઈ ત્રિવેદી (ઉ.વ. ૪૮) આજે સાંજે મહેમાન સાથે કુલપતિ નિવાસમાં વાતચિત કરી રહ્યા હતા. ૬-૪૫ વાગ્યાના અરસામાં એ.બી.વી.પી.ના રાષ્ટ્રીય સભ્ય કુણાલ કમલભાઈ શાહ, દીલજીત રૃકકડ, કુણાલ પટેલ, રવિ દેસાઈ, વિપુલ પટેલ, સિધ્ધાર્થ રાઠોડ, રાહુલ ગાયકવાડ, ઈશાન પુરોહીત, આદિત્ય પટેલ અને ચિરાગ સેટ્ટે સહીત ૧૦ વિદ્યાર્થીઓ દરવાજામાં તોડફોડ કરી કુલપતિના ઘરમાં ઘૂસી ગયા હતા.

કુલપતિ શું કહે છે?

કુલપતિએ જણાવ્યું હતું કે, ‘બુધવારે સાંજે નિવાસસ્થાને એબીવીપીના કાર્યકરો આવી પહોંચ્યા હતા અને મારા બાળકો-પત્ની પર લાકડી વડે હુમલો કર્યો હતો. ઉપરાંત મને મૂઢ માર મારીને શર્ટ ફાડી નાખ્યો હતો.’