અમદાવાદમાં વાદળઘેર્યા વાતાવરણ વચ્ચે આજે વરસાદના હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. છેલ્લાં ૨૪ કલાકમાં સરેરાશ ૧૧ મી.મી. વરસાદ પડયો હતો જેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ ૩૩ મી.મી. વરસાદ નોંધાયો હતો. પૂર્વ ઝોનમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ચોમાસું શરૃ થયા પછી ભુવા પડવાનું પણ ચાલુ રહ્યું છે અને આજે વધુ ૮ ભુવા પડયા છે. વરસાદને કારણે ૧૧ ઝાડ ધરાશાયી થયા છે.
પૂર્વ ઝોનમાં સવા ઈંચથી વધુ વરસાદને લીધે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાઃ ૧૧ સ્થળે ઝાડ ધરાશાયી થયા
આજે પૂર્વમાં ૩૩ મિ.મી., પશ્ચિમમાં ૦.૧૭ મિ.મી., નવા પશ્ચિમ ઝોનમાં ૧.ર૦, મધ્ય ઝોનમાં ૦.પ મિ.મી., ઉત્તર ઝોનમાં ૧૪ મિ.મી., અને દક્ષિણ ઝોનમાં ૧૬ મિ.મી. વરસાદ નોંધાયો છે. શહેરનો સરેરાશ અર્ધો ઈંચ વરસાદ પડયો હતો. જેના લીધે શહેરમાં ૮ સ્થળે ભૂવા પડયાની અમ્યુકોના કન્ટ્રોલરૃમને ફરિયાદ મળી હતી. જેમાં ઓઢવ વિમલપાર્ક પાસે, ઓઢવ રોડ પર, ઘાંચીની પોળમાં, ખુદ અમ્યુકો કચેરી પાસે દાણાપીઠ, ચંદ્રનગર જવાના રસ્તે અંજલિ ચાર રસ્તા, સુમેરું સોસાયટી વેજલપુર, સોમેશ્વર કોમ્પલેક્ષ થલતેજ રોડ અને બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે એમ કુલ ૮ સ્થળે ભૂવા પડયા હતા.
ગોમતીપુર ફાયર સ્ટેશન પાસે, ઓઢવ, બાપુનગર જનરલ હોસ્પિટલ પાસે, સૈજપુર ગરનાળું, બાલકૃષ્ણનગર, ભાર્ગવ રોડ, બંગલા એરિયા, સત્યનારાયણ દૂધવાળાની ગલી, છોટાલાલની ચાલી, સૈજપુર ટાવર પાસે, સરદારનગર સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં રાહદારીઓ અને વાહનચાલકો માટે આ રસ્તા બંધ થઈ ગયા હતા. સૈજપુર ગરનાળામાં તો ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. પાણી ભરાઈ જવાના કારણે લોકોએ બેથી અઢી કિલોમીટર ફરીને જવું પડતું હતું. લોકો આટલી હાલાકી વેઠી રહ્યા હોવા છતાં અધિકારીઓ કે પદાધિકારીઓનું પેટનું પાણી હલ્યું નહોતું.

No comments:
Post a Comment