Tuesday, December 21, 2010

અમદાવાદ-મુંબઇમાં મોટા આતંકી હુમલાની આશંકા

- ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણી દરમિયાન ઇન્ડિયન મુજાહિદ્દીન સહિતના ૩૩ ભાગેડુ આતંકીઓ હુમલાની પેરવીમાં
- કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ ત્રાસવાદીઓની વાતચીત આંતરતા મળેલી સ્ફોટક વિગતો બાદ બંને શહેરોમાં એલર્ટ જાહેર

ગુજરાત પોલીસને શક છે અને બાતમી મળી છે કે ઈન્ડિયન મુજાહિદ્દીનના ત્રણ શંકાસ્પદ ત્રાસવાદીઓ, મુજીબ, આફ્રીદી પઠાણ અને સુભાન એલિયાસ તૌકીર અમદાવાદમાં ઘૂસી ગયાં છે. પોલીસ, ઓટીએસ હાઈ એલર્ટ પર છે. સાંજે ચાર વાગ્યે આ અંગે પત્રકાર પરિષદ પોલીસ સંબોધશે, સમગ્ર અમદાવાદ શહેરમાં સઘન ચેકિંગ.

ન્યૂ યરની ઉજવણીમાં મસ્ત બનતાં બે મહાનગરો અમદાવાદ-મુંબઇમાં ત્રાસવાદી હુમલાની દહેશત વ્યક્ત કરવામાં આવી છે. આ માટે પોલીસને એલર્ટ કરવામાં આવી છે. રેલવેમાં પણ ડોગ સ્કવોડ સાથે ચેકિંગ શરૂ કરી દેવાયું છે. કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાએ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત ત્રાસવાદીઓની વાતચીત આંતરતા હુમલાની હકીકત ઉજાગર થઈ છે. લશ્કર-એ-તોઈબા અને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આતંકીઓ આ બંને શહેરમાં પ્રવેશી ચૂક્યા છે અને હુમલો કરે તેવી સંભાવના છે, એમ ગુજરાત પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે, તાજેતરમાં વારાણસીના ઘાટ પર ઇન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કર્યા હતા. બાદમાં આતંકીઓએ ધમકીભર્યો ઇ-મેલ મોકલ્યો હતો, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ગોધરા રમખાણોના કેસમાં ક્લીનચીટ આપવા સામે વાંધો વ્યક્ત કર્યો હતો. ઉપરાંત તેમણે મુંબઈ જેવાં મહાનગરોમાં પણ તબાહી મચાવવાની ધમકી આપી હતી. જેના કારણે કેન્દ્રીય ગુપ્તચર સંસ્થાઓ સતર્ક બની ગઈ હતી.

દરમિયાન સંસ્થાઓએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં સ્થિત આતંકવાદીઓ અને ભારતમાંના સ્લીપર સેલના સભ્યો વચ્ચે થયેલી વાતચીત આંતરી હતી. જેમાં આતંકીઓએ મુંબઈ અને અમદાવાદમાં હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હોવાનું ઉજાગર થયું હતું. જે પછી મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને આ બાબતે એલર્ટ જારી કરાયું છે.

અમદાવાદ પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે, આ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ઈન્ડિયન મુજાહિદ્દીનના ૩૩ ભાગેડુ આરોપીઓની યાદી પણ સોંપવામાં આવી હતી. આ યાદી પૈકીના ૧૦ જણા અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં હોવાની સંભાવના છે. તેથી તેમને પકડવા તમામ શહેર અને જિલ્લા પોલીસને એલર્ટ કરવામાં આવી છે.

એટીએસના વડા અજય તોમરે કહ્યું છે કે અમને કેન્દ્રીય એજન્સીઓ તરફથી અમદાવાદ અને મુંબઈમાં આતંકી હુમલાની દહેશત વ્યક્ત કરતો અહેવાલ મળ્યો છે. અમને જ્યારે પણ આવા અહેવાલ મળે છે ત્યારે અમે ગંભીરપૂર્વક તપાસ કરીએ છીએ અને આ વખતે પણ કરી રહ્યા છીએ.

No comments:

Post a Comment