Friday, December 24, 2010

ચેસમાં ગુજરાતે સર્જ્યો વિશ્વવિક્રમ

અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં એક સ્થળે ૨૦,૪૮૬ ખેલાડીઓએ એકીસાથે શતરંજ રમીને એક નવો વિશ્વવિક્રમ સ્થાપિત કર્યો છે. આ અગાઉ મેક્સિકોમાં ૧૩,૩૪૬ ખેલાડીઓએ શતરંજ રમીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. રાજ્યના ચેસના ખેલાડીઓએ આ વિક્રમ તોડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં ગુજરાતને પ્રતિષ્ઠારૂપ સ્થાન અપાવ્યું છે.

સૌથી વધુ ખેલાડીઓ દ્વારા રમવાનો રેકોર્ડ
ચેસ ઘેર ઘેર રમાય તેવી નેમઃ નરેન્દ્ર મોદી

સ્વર્ણિમ જયંતી વર્ષ નિમિત્તે આયોજિત ચેસ મહોત્સવમાં ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિ તારિકા વારાએ સત્તાવાર ઘોષણા કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત થયા બદલ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રમાણપત્ર એનાયત કર્યું હતું. આ ઐતિહાસિક ક્ષણને હજારો રમતવીરોએ તાળીઓના ગડગડાટ સાથે વધાવી લીધી હતી. સ્વર્ણિમ ચેસ મહોત્સવમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરતાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતની જનશક્તિના સાક્ષાત્કાર દર્શન કરાવતાં શતરંજની રમતને ઘેર ઘેર સુધી પહોંચાડવાનું સ્વપ્ન સાકાર કરવા અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે,

અત્યાર સુધી ભારતના ફાળે ૨૯૯ વિશ્વવિક્રમ આવ્યા છે અને આજે ગુજરાતે શતરંજમાં વિશ્વવિક્રમ નોંધાવીને ૩૦૦માં વિક્રમની ભેટ આપી છે. ગુજરાતે અગાઉ અમદાવાદમાં ૧૧ લાખ વૃક્ષો રોપી, ૫૦ લાખ લોકોએ પુસ્તક વાંચી, તાનારીરી સંગીત મહોત્સવમાં ૯૯ કલાકની ગાયકીના રેકોર્ડ સ્થાપ્યા છે. શતરંજની રમત એ આજની લાઇફ સ્ટાઇલમાં ધૈર્ય અને ધીરજના ગુણ શીખવે છે અને માનસિક મનોબળ મજબૂત બનાવે છે. શતંરજએ રમત નહીં પણ જિંદગી જીવવાની કલા છે. વિવિધ સમસ્યાઓનું સમાધાન છે ત્યારે આ રમત શાળા અને પરિવારમાં વધુ પ્રચલિત બને તેવી સરકારની નેમ છે.

વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે આ અનેરા પ્રસંગે જણાવ્યું કે, ‘એક વર્ષ અગાઉ શતરંજની સ્પર્ધાનો વિચાર મુખ્યમંત્રીએ ખુદ રજૂ કર્યો ત્યારે તેમની દીર્ઘદૃષ્ટિનો મને પરિચય થયો. મારી એક ઇચ્છા રહી હતી કે શતરંજની રમત વધુ ને વધુ પ્રચલિત બને. જે ગુજરાત સરકારે સાકાર કરીને બતાવ્યું છે. આજે ગુજરાતે જ્યારે એક રેકોર્ડ નોંધાવ્યો છે ત્યારે મને અનહદ ખુશી થઇ છે.’  રમતગમત મંત્રીએ પણ પ્રસંગોપાત વક્તવ્ય રજૂ કર્યું હતું. આ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબહેન પટેલ, અભિનેતા પરેશ રાવલ અને મનોજ જોશી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

સમગ્ર મહોત્સવમાં પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ આકર્ષણ જમાવ્યું હતું. અમદાવાદ સહિત રાજ્યભરમાંથી કુલ ૧૪૦ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓએ શતરંજની રમતમાં પોતાનું કૌશલ્ય દેખાડયું હતું. એકી સાથે ૬૪ ટેબલ પર શતરંજ રમતાં ખેલાડીઓએ વિશ્વ ચેમ્પિયન વિશ્વનાથનને પણ પ્રભાવિત કર્યાં હતા. મુખ્યમંત્રીએ પણ ૧૦ હજાર ટેબલ પર શતરંજ ખેલતાં ખેલાડીઓને નિહાળીને પ્રોત્સાહિત કર્યા હતા.

આનંદ માટે ૨૪-૧૨ ફરી આનંદમય

અમદાવાદ : વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ માટે ૨૪ ડિસેમ્બરનો દિન ફરી મહત્ત્વનો બની રહ્યો હતો. ૨૦૦૦માં આ જ દિવસે તેણે વિશ્વ ચેસ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો અને આ જ દિવસે ગુજરાતે પણ ચેસમાં વિશ્વવિક્રમ સ્થાપ્યો છે.

No comments:

Post a Comment