Thursday, December 2, 2010

SITની નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ!

  • એસઆઈટીએ નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપી
  • 2002ના રમખાણોના મામલામાં ક્લિનચીટ
  • એસઆઈટીને મોદી વિરુદ્ધ નક્કર પુરાવા મળ્યા નહીં
  • એસઆઈટીના સૂત્રોને ટાંકી અંગ્રેજી અખબારમાં અહેવાલ
  • જજોને સોંપાયેલા સ્ટેટસ રિપોર્ટમાંથી કોઈ જાણકારી નહીં



સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમે 2002ના ગુજરાત રમખાણોના મામલામાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લિન ચીટ આપી દીધી છે. એસઆઈટીના રિપોર્ટમાં મોદીને આ આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા છે. નરેન્દ્ર મોદી પર દિવંગત કોંગ્રેસી નેતા અહેસાન જાફરનીના વિધવા ઝકીયા જાફરીએ આરોપ લગાવ્યો હતો કે ગોધરા કાંડ બાદ 2002ના હુલ્લડો સમયે નરેન્દ્ર મોદીએ પોતાની બંધારણીય જવાબદારીઓનું વહન કર્યું ન હતું.


સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એસઆઈટીને નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા મળ્યા નથી. એક અંગ્રેજી અખબારે એસઆઈટીના સૂત્રોને ટાંકીને આ રિપોર્ટ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે એસઆઈટીએ છ દિવસ પહેલા જ પોતાનો સ્ટેટસ રિપોર્ટ સીલબંધ કવરમાં સુપ્રિમ કોર્ટને સોપ્યો છે. સુપ્રિમ કોર્ટે ગત વર્ષ 27 એપ્રિલે સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક આર. કે. રાઘવનની અધ્યક્ષતામાં એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીને ગુજરાત રમખાણો દરમિયાન માર્યા ગયેલા કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની પત્ની ઝાકીયા જાફરનીની ફરિયાદ પર તપાસ કરવાનું કહેવાયું હતું. ત્યાર બાદ એસઆઈટીએ જાફરીની ફરીયાદમાં આરોપી બનાવાયેલા શખ્સો ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહીતના શખ્સોની તપાસ કરી હતી. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની એસઆઈટી દ્વારા પુછપરછ 9 કલાક સુધી ચાલી હતી.


ઝકીયાએ મોદી પર આરોપ લગાવ્યો હતો કે તેમણે હુલ્લડખોરોને ભડકાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઝકીયાના પતિ અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ અહેસાન જાફરીની ગુજરાતના કોમી રમખાણો દરમિયાન ગુલબર્ગ સોસાયટી હત્યાકાંડમાં ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાય હતી. આરોપ લાગ્યો હતો કે પોલીસે હુલ્લડોને રોકવા માટે કંઈ જ કર્યું ન હતું. સુપ્રિમ કોર્ટની જસ્ટિસ ડી. કે. જૈન, જસ્ટિસ પી. સદશિવમ અને જસ્ટિસ આફતાબ આલમની ખંડપીઠ સમક્ષ સીલબંધ કવરમાં રજૂ થયેલા રિપોર્ટ સંદર્ભે હજી સુધી કોઈ જ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પરંતુ રિપોર્ટ આપનારા અગ્રણી અંગ્રેજી અખબારના જણાવ્યા પ્રમાણે, એસઆઈટીએ ઝકીયા જાફરીની ફરીયાદ પર તપાસ પૂરી કરી દીધી છે અને તેને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કોઈ નક્કર પુરાવાઓ હાથ લાગ્યા નથી.

No comments:

Post a Comment