Wednesday, February 16, 2011

સેનેટની ચૂંટણીમાં ABVP, વેલફેર બોર્ડમાં NSUIનો ડંકો


વિદ્યાર્થી સેનેટમાં સાત બેઠકો પર એબીવીપીનો ત્રણ બેઠકો પર એનએસયુઆઈનો કબજો

બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરમાં કુલ આઠ બેઠકો એનએસયુઆઈને, છ બેઠકો એબીવીપીને

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની ૮ બેઠકની ચૂંટણીના પરિણામમાં એબીવીપીએ છ બેઠકો પર અને એનએસયુઆઈએ બે બેઠકો પર જીત મેળવતા ઘણાં વર્ષો બાદ એનએસયુઆઈનું પ્રભુત્વ ઘટ્યું છે. જો કે બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ૧૦ બેઠકોની ચૂંટણીમાં એનએસયુઆઈના આઠ ઉમેદવારો વિજેતા બન્યા છે,તેની સામે એબીવીપીના માત્ર બે ઉમેદવારોએ જીત મેળવતા તેમાં એનએસયુઆઈનું પ્રભુત્વ જોવા મળ્યું છે.

મંગળવારે મતગણતરીની પ્રક્રિયા અને બિનહરીફ ઉમેદવારોને ધ્યાનમાં લેવામાં આવે તો વિદ્યાર્થી સેનેટની અગાઉ બિનહરીફ સાથેની મળીને કુલ ૧૦ બેઠકોમાંથી સાત બેઠકો એબીવીપીના ફાળે, ત્રણ બેઠકો એનએસયુઆઇને મળી છે. બીજી તરફ બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની કુલ ૧૪ બેઠકોમાંથી આઠ બેઠકો એનએસયુઆઈને, છ બેઠકો એબીવીપીને ફાળે ગઈ છે.

મંગળવારે વહેલી સવારથી યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે વિદ્યાર્થી સેનેટ હોલ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ચૂંટણીની મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જે અંતર્ગત ચૂંટણીનાં પરિણામો જાણવા માટે એબીવીપી-એનએસયુઆઈના ઉમેદવારો - મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઊમટી પડ્યા હતા. એક પછી એક પરિણામોની જાહેરાત થતાં વિજેતા ઉમેદવાર- સમર્થકો ભારે ઉત્સાહમાં આવી ગયા હતા અને વિજયી સરઘસ નીકાળ્યા હતા.

Monday, February 14, 2011

ગુજરાત યુનિ. વિદ્યાર્થી સેનેટની મતગણતરી શરુ


ગુજરાત યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાની વિદ્યાર્થી સેનેટની આઠ અને બોર્ડ ઓફ 10 બેઠક માટે ચૂંટણી રવિવારે યોજાઈ હતી. તેની મતગણતરી આજે સવારે યુનિવર્સિટી ખાતે આવેલ સેનેટ હોલ ખાતે પ્રારંભ થયો છે. સવારે 10 કલાકે મતગણતરીનો પ્રારંભ થયો હતો.

ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થી સેનેટની વિવિધ વિદ્યાશાખાની આઠ અને બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની ૧૦ બેઠકોની ચૂંટણી રવિવારે ૧૧થી પ સુધી યોજાઈ હતી.

વિદ્યાર્થી સેનેટની ૧૦ બેઠકોમાંથી બે (મેડિકલ-ડેન્ટલ) બેઠકો, બોર્ડ ફોર સ્ટુડન્ટ વેલફેરની કુલ ૧૪ બેઠકમાંથી ચાર બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.

એલિસબ્રિજની જી.એલ.એસ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કોમર્સ-આર્ટ્સની બેઠક માટે, ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની એજ્યુકેશનની બેઠક માટે મતદાન થયું હતું.

જ્યારે આશ્રમરોડની સી.સી. શેઠ કોલેજ ઓફ કોમર્સ ખાતે ગ્રેજ્યુએટ લેવલની કોમર્સની બેઠક માટે,વસ્ત્રાપુર સ્થિત આર.જે. તિબ્રેવાલ કોમર્સ કોલેજ ખાતે ગ્રેજ્યુએટ- પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની સાયન્સ બેઠક માટે, ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલની લો શાખાની બેઠક માટે મતદાન રાખવામાં આવ્યું હતું.

યુનિવર્સિટી સંલગ્ન અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, પંચમહાલ, ખેડા, દાહોદ, આણંદ જિલ્લાની કોલેજોમાં આવેલા બાવન મતદાન કેન્દ્રોમાં મતદાન થયું હતું.

Tuesday, February 8, 2011

આજે વસંત પચંમીઃ ગુજરાતમાં હજારો લગ્ન


- સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે

- મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો

સમગ્ર ગુજરાતમાં આજે વસંત પંચમીના રોજ હજારોની સંખ્યામાં લગ્ન યોજાઈ રહ્યાં છે. લગ્ન માટે વસંતપંચમી શ્રેષ્ઠ મુહૂર્ત ગણાય છે. આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં લગ્ન સહિતના શુભ પ્રસંગોની ભરમાર રહેશે.

આજે ૮મી ફેબ્રુઆરીએ, મહા સુદ પાંચમ છે, જે વસંત-પંચમી, શ્રી પંચમી તરીકે ઓળખાય છે. આ દિવસમાં શુભ કાર્યો કરવા લોકો કાગડોળે રાહ જોતા હોય છે.

એક અંદાજે વસંત પંચમીના શ્રેષ્ઠ અને શુભ મૂર્હૂતમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં અંદાજે બે હજારથી વધારે લગ્ન યોજાશે. એક જ દિવસમાં શુભ પ્રસંગોની ભરમાર થતાં મેરેજ હોલ, રસોઇયા, બેન્ડવાળાના એડવાન્સ બુકિંગ કરાવવા પ્રસંગો યોજનારને દોડધામ કરવી પડી રહી છે.

એક દિવસે વધારે સંખ્યામાં લગ્ન હોવાથી મેરેજ હોલ, પાર્ટી પ્લોટ, સમાજવાડી, બેન્ડવાજાં, ફોટોગ્રાફરો વગેરેને પણ તડાકો પડ્યો હતો. એક દિવસે વધારે સંખ્યામાં વરઘોડા નીકળવાને કારણે અનેક સ્થળોએ ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.

Thursday, January 27, 2011

કાળુપુર વિસ્તારમાં 8 લોકોને બચાવાયા, 10 અંદર ફસાયા



  • દસ થી વધુના દટાયાની આશંકા.
  • 5 માળની નિર્માણાધીન ઈમારત ધરાશાયી,
  • 8 લોકોને બહાર કઢાયા, બચાવ કામગીરી ચાલુ
  • કાળુપુરની સૌદાગરની પોળમાં વહેલી સવારે મકાન ધડાકાભેર તુટી પડ્યું. 
  • આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું. 
  • સ્થાનિક લોકોના જણાવ્યાં મુજબ સવારના 8.05 વાગ્યે ઈમારત તૂટી પડી હતી.


અમદાવાદ શહેરનાં અતીગીચ ગણાતા કાળુપુર વિસ્તારમાં આવેલી સોદાગરની પોળમાં એક પાંચ માળનું નવનીર્મીત મકાન ધડાકાભેર તુટી પડતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ધરાશાયી થયેલી બીલ્ડીંગના કાટમાળ નીચે દસથી વધુ લોકો દટાયા હોવાની આ શંકા બચાવ ટુકડીઓએ વ્યકત કરી છે. તો બીજી તરફ ફાયરબ્રીગેડ સહિતની ઇમર્જન્સી સર્વિસીસ યુધ્ધના ધોરણે બચાવ કામગીરીમાં જોડાઇ ગઇ છે. સોદાગરની પોળમાં તુટી પડેલા આ મકાનને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ નુકશાન થયું છે

પ્રાથમીક વિગતો અનુસાર, શુક્રવાર વહેલી સવેરે સોદાગરની પોળમાં થોડા સમય અગાઉ બનેલી પાંચ માળની ઇમારત એકાએક ધરાશાયી થઇ હતી. સ્થાનીકોના જણાવ્યા અનુસાર આ ઈમારતના કાટમાળ નીચે ૨૫થી ૩૦ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ઘટનાની જાણ થતા અમદાવાદ ફાયરબ્રીગેડ સહિત ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સહિત તમામ ઇમર્જન્સી સર્વિસીસ સ્થળ પર પહોંચી ગઇ છે અને કાટમાળ નીચે દટાયેલાઓને બહાર કાઢવાની કામગીરી યુધ્ધના ધોરણે આરંભી દિધી છે.

મળતી વિગતો અનુસાર, જે ઈમારત ધરાશાયી થઇ છે તે ગેરકાયદે હોવાનો પણ આક્ષેપ છે, એટલુંજ નહી આ ઈમારતના પાયામાં કોઇ તકલીફ હોઇ બીલ્ડર દ્વારા ફરી ત્યાં કામકાજ હાથ ધરાયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ આ બીલ્ડીંગને કારણે આસપાસનાં પાંચેક મકાનોને પણ મોટુ નુકશાન થયું છે.

Sunday, January 16, 2011

અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ ફાસ્ટ-ટ્રેક પર ચડ્યો

ગુજરાત સરકારે લગભગ R 12 હજાર કરોડના અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને ઝડપથી અમલી બનાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે પ્રસ્તાવિત 'સાઈટ સર્વે' પૂર્ણ કરી લેવામાં આવ્યા છે.

રાજ્યના બંદર અને પરિવહન વિકાસ અધિક મુખ્ય સચિવ બી. કે. સિંહાએ માહિતી આપી હતીકે, "મેટ્રો પ્રોજેક્ટ અંગેના સર્વે બે વખત પૂર્ણ કરી લેવામાં આવ્યા છે. હવે, તેને શરૂ કરવા માટે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે." આ અંગે ડીએમઆરસી દ્વારા જમીનની સમસ્યાના પગલે પ્રથમ તબક્કામાં ઉપરથી જ રૂટને પસાર કરવાનું સૂચન કરવામાં આવ્યું છે. જ્યારે નેહરૂનગરથી અમદાવાદ જંકશનનો મેટ્રો રૂટ અંડરગ્રાઉન્ડ હશે.

- અમદાવાદ મેટ્રોનો પ્રોજેક્ટ ફાસ્ટ-ટ્રેક પર ચડ્યો 
- પહેલા તબક્કામાં થલતેજ થી અમદાવાદ જંકશનનો રૂટ તૈયાર કરાશે
- L&T ની PPPના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે R પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી
- નેહરૂનગરથી અમદાવાદ જંકશનનો માર્ગ અંડરગ્રાઉન્ડ હશે
- સરકાર ગિફ્ટ સિટી અને એરપોર્ટને પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સાંકળી લેવા માંગે છે

જાણીતી નિર્માતા કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ આ પ્રોજેક્ટમાં રસ દાખવ્યો છે. ઉપરાંત પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના મોડલથી અમદાવાદના મોનોરેલ પ્રોજેક્ટ માટે R પાંચ હજાર કરોડનું રોકાણ કરવાની તૈયારી દાખવી છે. આ માટેના કરાર તાજેતરમાં સંપન્ન થયેલ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2011માં કરવામાં આવ્યા હતા. ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેના મેટ્રો પ્રોજેક્ટ માટે મેટ્રોલિન્ક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ માટે વિશેષ કંપની ઊભી કરવામાં આવી છે. જેની R 200 કરોડની સત્તાવાર મૂડી હશે જ્યારે R 10 કરોડની પેઈડ-અપ કેપિટલ હશે. મેટ્રોમાં દૈનિક સત્તર લાખ પ્રવાસીઓ આવ-જા કરશે તેવો અંદાજ મુકવામાં આવી રહ્યો છે.

આ મેટ્રો એપીએમસી, વાસણાથી અક્ષરધામ વાયા આશ્રમ રોડ અને કોબા સર્કલ (32.65 કિલોમીટર) ચાલશે. જેમાં 31 સ્ટેશન આવરી લેવામાં આવશે. પહેલા તબક્કામાં થલતેજ થી અમદાવાદ જંકશનનો રૂટ તૈયાર કરાશે જે વાયા સાબરમતિ રિવર ફ્રન્ટ અને દિલ્હી દરવાજા ચાલશે. (10.90 કિમી)ના આ રૂટ પર 11 સ્ટેશન આવેલા છે. સરકાર ગિફ્ટ સિટી અને એરપોર્ટને પણ મેટ્રો રેલ પ્રોજેક્ટ સાથે સાંકળી લેવા માંગે છે.

બીજા તબક્કામાં સરકાર સરખેજ થી ગાંધીનગરના ઈંદ્રોડા સર્કલ સુધી લાઈન નાખવા માગ છે. જ્યારે વાસણા થી સરખેજની વચ્ચે અન્ય એક લાઈન પાથરવામાં આવશે. સરકારે વર્ષ 2005માં મેટ્રો માટે સર્વે કરાવ્યો હતો. જોકે, પાછળથી બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમને પહેલા પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.